BIG NEWS: પાકિસ્તાની ધ્વજ ધરાવતાં જહાજો પર પ્રતિબંધ, એક જ દિવસમાં ત્રીજો મોટો નિર્ણય
Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે કડક નિર્ણયો લીધા છે. ભારતીય સેના, ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળ હાઇ ઍલર્ટ મોડમાં છે. ત્યારે શિપિંગ મહાનિર્દેશાલય દ્વારા આજે (ત્રીજી મે) પાકિસ્તાની ધ્વજ ધરાવતાં જહાજો પર પ્રતિબંધ મૂક્યો છે. નોંધનીય છે કે, ભારતે પાકિસ્તાનથી તમામ માલની આયાત અને ટપાલ સેવા પર પ્રતિબંધ મૂક્યો છે.
ભારત સરકારે પાકિસ્તાન સામે કડક નિર્ણયો લીધા
અહેવાલો અનુસાર, પહલગામ હુમલા બાદથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. સિંધુ સંધિ તથા વિઝા રદ થયા બાદ પણ અનેક મોટા નિર્ણય લેવામાં આવી રહ્યા છે. બંને દેશોએ એકબીજા માટે એરસ્પેસ બંધ કર્યું છે. એવામાં આજે ભારતે ત્રણ મોટા નિર્ણય લીધા છે. ત્યારે ભારત સરકારે નિર્ણય લીધો છે કે હવે પાકિસ્તાની ધ્વજ લહેરાવતા કોઈપણ વેપારી જહાજને ભારતીય બંદરોમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત ભારતીય જહાજોને પાકિસ્તાનના કોઈપણ બંદર પર જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ આદેશ શિપિંગ મહાનિર્દેશાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.
ટપાલ સેવા તથા પાર્સલના આદાન-પ્રદાન પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ.
ભારત સરકાર દ્વારા પાકિસ્તાન સાથેની તમામ ટપાલ સેવાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી છે. બંને દેશો વચ્ચે વધતાં તણાવ અને પાકિસ્તાનની સતત ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય ટપાલ વિભાગે પુષ્ટિ આપી છે કે હવે પાકિસ્તાનમાં કોઈ પત્ર, પાર્સલ કે રજિસ્ટર્ડ પોસ્ટ મોકલવામાં આવશે નહીં અને ભારતમાં પાકિસ્તાનથી કોઈપણ ટપાલ સેવા સ્વીકારવામાં આવશે નહીં. અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા કારણો અને રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પાકિસ્તાનથી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ
બીજી તરફ ભારત સરકારે તાત્કાલિક અસરથી પાકિસ્તાનથી સીધા અથવા કોઈપણ રીતે આવતા તમામ પ્રકારના માલની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા બીજી મેના રોજ જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર, આ નિર્ણયને વિદેશી વેપાર નીતિ - FTP 2023માં સુધારો કરવામાં આવ્યો છે. આ પ્રતિબંધ હેઠળ, હવે પાકિસ્તાનથી આવતા કોઈપણ ઉત્પાદનની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે, પછી ભલે તે સીધી આયાત હોય કે પરોક્ષ રીતે ત્રીજા દેશ દ્વારા આ પ્રતિબંધ 2023ની વિદેશ વેપાર નીતિમાં નવી જોગવાઈ તરીકે ઉમેરવામાં આવ્યો છે.