Get The App

અંતરિક્ષમાં ભારત-રશિયાની મિત્રતા એક ઓર્બિટમાં બન્નેના સ્પેસ સ્ટેશનો

Updated: Dec 8th, 2025

GS TEAM

Google News
Google News
અંતરિક્ષમાં ભારત-રશિયાની મિત્રતા એક ઓર્બિટમાં બન્નેના સ્પેસ સ્ટેશનો 1 - image

રશિયાએ સ્પેસમાં પણ ભારત સાથે કામ કરવાની જાહેરાત કરી

એક જ ઓર્બિટમાં બન્ને દેશોના સ્પેસ સ્ટેશનો ભ્રમણ કરશે તો સાથે મળી સંશોધન કરી મદદરૂપ થઇ શકશે

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (આઇએસએસ)ની સફર વર્ષ ૨૦૩૦-૩૧ સુધીમાં ખતમ થવા જઇ રહી છે. જે બાદ રશિયા અને ભારત ભવિષ્યના પોતાના અંતરિક્ષ સ્ટેશનોંને એક જ ઓર્બિટમાં સ્થાપિત કરશે. 

એટલે કે જળ, જમીન, આકાશ અને હવે અંતરિક્ષમાં પણ ભારત અને રશિયાની મિત્રતા જોવા મળશે. 

એક જ ઓર્બિટ ક્ષેત્રમાં ભારત અને રશિયા બન્નેના અંતરિક્ષ સ્ટેશનો સંચાલિત કરવાની જાહેરાત રશિયાની અંતરિક્ષ એજન્સી રોસ્કોસ્મોસના પ્રમુખ દમિત્રી બકાનોવે દિલ્હીની મુલાકાત દરમિયાન કરી હતી. તેઓ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની સાથે ભારતની મુલાકાતે આવ્યા હતા. બન્ને સ્ટેશનો ૫૧.૬ ડિગ્રી ઝૂકાવ વાળી કક્ષા કે ઓર્બિટમાં ચક્કર લગાવશે. આ એ જ ક્ષેત્ર કે ઓર્બિટ છે કે જ્યાં આઇએસએસ એટલે કે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ફરે છે. બન્ને દેશોના અંતરિક્ષ સ્ટેશનોને એક જ ઓર્બિટમાં સ્થાપિત કરવાથી એક મોટો ફાયદો એ થશે કે બન્ને દેશોના અંતરિક્ષ યાત્રી સરળતાથી એકબીજાના સ્ટેશનો પર આવ જા કરી શકશે. સાથે મળીને વૈજ્ઞાાનિક પ્રયોગો કરી શકશે. એટલુ જ નહીં ઇમર્જન્સીની સ્થિતિમાં પણ એકબીજાને મદદરૂપ થશે. રશિયન સ્પેસ સેંટર એનર્જિયા દ્વારા આ સ્ટેશન વિકસિત કરાશે. જે ૨૦૨૮માં લોંચ કરવામાં આવી શકે છે જ્યારે ભારતનું બીએએસ ઇસરો દ્વારા વર્ષ ૨૦૩૫ સુધી પૂર્ણ કરવાની શક્યતા છે.