5 Accident, 60 Death In The Last 24 Hours : છેલ્લા 24 કલાકમાં દેશભરના રસ્તાઓ પર મોતનું તાંડવ જોવા મળી રહ્યું છે. રાજસ્થાનથી લઈને તેલંગાણા અને ઉત્તર પ્રદેશ સુધી થયેલા અકસ્માતોમાં 60થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ મૃતકોમાં નિર્દોષ બાળકો, મહિલાઓ અને આખેઆખા પરિવારોનો સમાવેશ થાય છે. આટલી મોટી સંખ્યામાં થયેલા મૃત્યુએ રસ્તા પર ઝડપ, બેદરકારી અને વ્યવસ્થાની નિષ્ફળતાને ઉજાગર કરી છે.
જયપુર, રાજસ્થાન : બેકાબૂ ડમ્પરે અનેકને કચડ્યા, 19ના મોત
સોમવારે બપોરે જયપુરના હરમાડા વિસ્તારમાં રોજીંદા પ્રવાસીઓથી ભરેલો માર્ગ જોતજોતામાં વિનાશના દૃશ્યમાં ફેરવાઈ ગયો હતો. એક પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ટ્રકે ઓછામાં ઓછા ૧૭ વાહનોને કચડી નાખ્યા હતા, જેમાં ૧૯ લોકોનાં મોત થયાં અને ૧૦ લોકો ઘાયલ થયા. લોહ મંડી પાસે થયેલી આ ભયાનક ટક્કરમાં મૃતદેહો સડક પર વેરવિખેર થઈ ગયા, કારો કચડાઈ ગઈ અને અનેક મોટરબાઇક ડમ્પર નીચે ચગદાઈ ગઈ.



તેલંગાણા : બસ અને ટીપર લોરી વચ્ચે ટક્કર, 19ના મોત
સોમવારે સવારે તેલંગાણાના ચેવેલ્લા નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. અહીં તેલંગાણા આરટીસી બસની ટીપર લોરી સાથે ભીષણ ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે લોરી પલટી ગઈ અને તેમાં ભરેલી બજરીનો ઢગલો બસની અંદર પડ્યો, જેના કારણે ૧૯ મુસાફરોનાં મોત થયાં અને ૨૦ ઘાયલ થયા.





ફલોદી, રાજસ્થાન : ટ્રકમાં ટેમ્પો ટ્રાવેલ ઘૂસ્યા, 15ના મોત
રવિવારે મોડી સાંજે રાજસ્થાનના ફલોદી વિસ્તારમાં ભારત માલા એક્સપ્રેસ-વે પર વધુ એક મોટી દુર્ઘટના થઈ હતી. કોલાયત મંદિરના દર્શન કરીને જોધપુર પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલો એક ટેમ્પો ટ્રાવેલર ઊભેલા ટ્રેલર ટ્રકમાં ઘૂસી ગયો હતો. આ અકસ્માતમાં ૧૦ મહિલાઓ અને ચાર બાળકો સહિત ૧૫ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ચિત્રકૂટ, ઉત્તર પ્રદેશ : SUV-બસ વચ્ચે ટક્કર, ત્રણના મોત
ઝાંસી-મિર્ઝાપુર નેશનલ હાઈ-વે પર એસયુવી અને યુપી રોડવેઝ બસ વચ્ચે થયેલી ટક્કરમાં બે સગા ભાઈઓ અને તેમના પિતરાઈ ભાઈ સહિત ત્રણનાં મોત થયા.

આંધ્ર પ્રદેશ : કાર-કન્ટેનર ટ્રક વચ્ચે ટક્કર, ચારના મોત
કાર્લપાલેમ નજીક લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા પરિવારની કાર અને કન્ટેનર ટ્રક વચ્ચે ટક્કર થતાં ચાર લોકોનાં મોત અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઓવરટેક કરવાના ચક્કરમાં કારે નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના કારણે કાર ટ્રકને ટકરાઈ ગઈ હતી.

ભારતમાં દર વર્ષે 1.5 લાખ લોકોના માર્ગ અકસ્માતોમાં મોત
સરકારી ડેટા મુજબ, ભારતમાં દર વર્ષે લગભગ 1.5 લાખ લોકો માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામે છે, જેનો અર્થ છે કે દરરોજ સરેરાશ 400થી વધુ મોત થાય છે. આ તાજેતરની ઘટનાઓએ ફરી એકવાર એ સવાલ ઊભો કર્યો છે કે દેશની સડકો પર સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે ક્યારે નક્કર પગલાં લેવાશે.


