પાક. કોર્ટે ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ચૂંટણી યોજવાનો આદેશ આપતા હોબાળો : ભારતે વિરોધ નોંધાવ્યો
- ભારતે પાક. કોર્ટના નિર્ણયને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ ગણાવ્યો
- ભારતે પાક. કોર્ટના નિર્ણયને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ ગણાવ્યો
- સુપ્રીમ કોર્ટે સુધારાને માન્ય રાખતો ચુકાદો આપ્યો
(પીટીઆઈ) નવી દિલ્હી, તા.04 મે 2020, સોમવાર
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ચૂંટણી યોજવાનો આદેશ આપતા હોબાલો મચ્યો હતો. ભારતે આ નિર્ણયનો આકરો વિરોધ કર્યો હતો. ભારતે આ ચુકાદાને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ ગણાવ્યો હતો. ભારત સ્થિત પાકિસ્તાન રાજદૂતને વિદેશ મંત્રાલયે નોટિસ પાઠવી હતી.
પાકિસ્તાનની સરકારે૨૦૧૮માં ગિલગિટ અને બાલ્ટિસ્તાન અંગેના કાયદામાં સુધારો કર્યો હતો. એ સુધારા પ્રમાણે આ વિસ્તારમાં ચૂંટણી યોજાવાની હતી. એ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે સરકારના સુધારાને માન્ય રાખીને ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાં ચૂંટણી યોજવાની પરવાનગી આપી દીધી હતી.
પાક. સુપ્રીમ કોર્ટની પરવાનગી પછી હોબાળો મચ્યો હતો. ભારતે આ ચુકાદાનો વિરોધ નોંધાવ્યો હતો. ભારતે કહ્યું હતું કે ગિલગિટ અને બાલ્ટિસ્તાન અંગેનો સુપ્રીમનો ચુકાદો ભૂલભરેલો છે. ભારત સ્થિત પાકિસ્તાની રાજદૂતને બોલાવીને સરકારે નોટિસ પાઠવી હતી.
ભારતના વિદેશ મંત્રાલયે આ નિર્ણય સામે વિરોધ નોંધાવતા કહ્યું હતું કે ગિલગિટ અને બાલ્ટિસ્તાન સહિતનો આખો પ્રદેશ ભારતના જમ્મુ-કાશ્મીર-લદાખનો અભિન્ન હિસ્સો છે. તેમાં કાયદાકીય ફેરફાર કરવો તે આંતરરાષ્ટ્રીય નિયમોનો ભંગ છે.
ભારતે કહ્યું હતું કે પાકિસ્તાનની સરકાર, પાકિસ્તાનના ન્યાયતંત્ર પાસે ગેરકાયદે રીતે પચાવી પાડેલા ભારતના હિસ્સા માટે નિર્ણય લેવાની કોઈ જ સત્તા નથી. ભારતને આ નિર્ણય સ્વીકાર્ય નથી. પાકિસ્તાને ગેરકાયદે પચાવેલા ક્ષેત્રોને તુરંત ખાલી કરવા જોઈએ એવી માગણી વિદેશ મંત્રાલયે મૂકી હતી.