'લોકો મરે છે, આવી ઘટના બંધ કરો..' ગુજરાત આવતા જહાજ પર ઈરાનના હુમલાથી ભડક્યું ભારત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Middle East Conflict Impact: મિડલ ઈસ્ટમાં વધી રહેલા લશ્કરી સંઘર્ષની અસર હવે સીધી રીતે ભારતના દરિયાઈ વ્યાપાર અને નાગરિકો પર પડી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના કંડલા બંદર તરફ આવી રહેલા થાઈ કાર્ગો જહાજ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ભારત સરકારે વિરોધ નોંધાવ્યો છે. આ હુમલામાં બે ભારતીયોના મોત થયાના અહેવાલથી વિદેશ મંત્રાલયે ચિંતા અને રોષ વ્યક્ત કર્યો છે.
કંડલા આવતા 'મયુરી નારી' જહાજ પર હુમલો
વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર, 11મી માર્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં થાઈલેન્ડના ધ્વજ ધરાવતા 'મયુરી નારી' નામના જહાજ પર ઈરાની સુરક્ષા દળો (IRGC) દ્વારા નિશાન સાધવામાં આવ્યું હતું. આ જહાજ યુએઈના ખલીફા બંદરથી રવાના થઈ ગુજરાતના કંડલા બંદર તરફ આવી રહ્યું હતું. બુધવારે સવારે 11 વાગ્યે જહાજ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. રોયલ થાઈ નેવીએ 20 ક્રૂ સભ્યોને બચાવી ઓમાન ખસેડ્યા છે, જ્યારે હજુ પણ 3 સભ્યો ગુમ હોવાનું જણાય છે.
ભારતનો આકરો પ્રતિભાવ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 'પશ્ચિમ એશિયાના સંઘર્ષમાં વાણિજ્યિક જહાજોને નિશાન બનાવવાની ઘટના ભારત સખત શબ્દોમાં વખોડી કાઢે છે.' આ સંઘર્ષ દરમિયાન અત્યાર સુધીમાં બે ભારતીયોના મોત થયા છે અને એક નાગરિક ગુમ છે. વાણિજ્યિક જહાજોને નિશાન બનાવવાથી અને નિર્દોષ ક્રૂ સભ્યોના જીવ જોખમમાં મૂકવાથી વૈશ્વિક વેપારની સ્વતંત્રતા જોખમાય છે, જે તાત્કાલિક બંધ થવી જોઈએ.
1 કરોડ ભારતીયોની સુરક્ષા ટોચની અગ્રતા
ગલ્ફ દેશોમાં અંદાજે 1 કરોડ) ભારતીયો વસે છે. યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ તમામ પ્રવાસીઓની સુરક્ષા અને સુખાકારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ગલ્ફ ક્ષેત્રમાં વધતા તણાવને પગલે ભારત સરકાર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ જળમાર્ગોમાંથી એક છે, જ્યાંથી વિશ્વના કુલ ક્રૂડ ઓઇલના પુરવઠાનો 20 ટકા ભાગ પસાર થાય છે. ઈરાન દ્વારા અહીં જહાજો પર કરાતા હુમલાઓને કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠો ખોરવાવાની અને તેલના ભાવ વધવાની ભીતિ સેવાઈ રહી છે.









