અમેરિકા માટે પોસ્ટલ સેવાઓ પર હાલ પૂરતી રોક, ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો મોટો નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Post Halts Parcels to USA : ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદ વચ્ચે ભારતે મોટો નિર્ણય લીધો છે. ભારતીય પોસ્ટ વિભાગે અમેરિકા માટેની મોટા ભાગની સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરી છે. આ નિર્ણય અમેરિકાના નવા ફરમાનના કારણે ભારતે આ મોટો નિર્ણય લેવાની નોબત આવી છે.

કેમ લેવો પડ્યો નિર્ણય?
નોંધનીય છે કે ગયા મહિને 30 જુલાઈએ ટ્રમ્પ સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. અમેરિકાએ હવે 800 ડોલર સુધીના સામાન પર કસ્ટમ ડ્યુટીમાં મળતી છૂટ ખતમ કરી છે. અત્યાર સુધી 800 ડોલર સુધીના સામાન પર ડ્યુટી લાગતી નહોતી. પણ હવે એવું થશે નહીં. ભારતથી અમેરિકા જતાં સામાન પર 29 ઓગસ્ટથી કસ્ટમ ડ્યુટી લાગશે.
અમેરિકાના નિયમોમાં અસમંજસ
અમેરિકાના નવા નિયમ અનુસાર ટપાલ મારફતે અમેરિકા આવતા પાર્સલ પર ડ્યુટી જમા કરાવવાની રહેશે. જોકે હજુ સુધી આ કલેક્શન સિસ્ટમ કેવું હશે તેને લઈને કોઈ સ્પષ્ટીકરણ ના થયું હોવાથી ભારતીય પોસ્ટ વિભાગે ટપાલ સેવા પર રોક લગાવી છે. અમેરિકા જતાં એર કેરિયર્સે કહ્યું છે કે 25 ઓગસ્ટથી ટપાલનો સામાન સ્વીકારી શકશે નહીં.
શું છે નિર્ણય?
અમેરિકા માટેની ટપાલ સેવાઓ પર 25 ઓગસ્ટથી રોક
કેવી વસ્તુ મોકલી શકાશે?
100 ડોલર સુધીની ગિફ્ટ આઈટમ, પત્ર ( લેટર ) અને દસ્તાવેજ ( ડોક્યુમેન્ટ )
તમામ પાર્સલ પર કસ્ટમ ડ્યુટીનો અમેરિકાનો નિર્ણય ક્યારથી લાગુ થશે?
29 ઓગસ્ટ, 2025
ભારતીય પોસ્ટ પાર્સલ/ટપાલ સ્વીકારવાનું ક્યારથી બંધ કરશે?
25 ઓગસ્ટ, 2025
જયશંકરનો ટ્રમ્પને જવાબ- મધ્યસ્થી થવાનો દાવો ખોટો
ભારત અને અમેરિકાના સંબંધો હાલ તણાવપૂર્ણ પરિસ્થિતિમાં છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પહેલા તો ભારત-પાકિસ્તાન યુદ્ધમાં સીઝફાયરનો શ્રેય લેવા પ્રયાસ કર્યો. પછી રશિયાથી ઓઈલ ખરીદવા મુદ્દે ભારત પર 50 ટકા ટેરિફ ઝીંકવાની જાહેરાત કરી. હવે આ મામલે ભારતના વિદેશમંત્રી જયશંકરે જવાબ આપ્યો છે. જયશંકરે એક કાર્યક્રમમાં કહ્યું છે, કે 'પાકિસ્તાન સાથે સંઘર્ષ મુદ્દે ભારતે 1970થી અત્યાર સુધી આશરે 50 વર્ષમાં કોઈ પણ મધ્યસ્થી સ્વીકાર્યો નથી. ઓપરેશન સિંદૂર વખતે અમેરિકા જ નહીં, અન્ય દેશોએ પણ ફોન કર્યો હતો, આ કોઈ ગુપ્ત વાત નથી. પણ કોઈ મધ્યસ્થી થવાનો દાવો કરે તો તે ખોટું છે.'
ખેડૂતો મામલે કોઈ બાંધછોડ નહીં ચાલે: જયશંકર
ટ્રમ્પ પર નિશાન સાધતાં જયશંકરે કહ્યું, કે 'અમે ક્યારેય આવા અમેરિકન પ્રમુખ નથી જોયા જે વિદેશનીતિ સાર્વજનિક રૂપે સંચાલિત કરતાં હોય. અને આ બદલાવ માત્ર ભારત માટે જ નથી. ટ્રમ્પની દુનિયાના દેશો સાથે વ્યવહાર કરવાની પરંપરાગત નથી. હું તમને ઉદાહરણ સાથે સમજાવું તો ગેરવેપાર મુદ્દે ટેરિફ લગાવવા યોગ્ય નથી.' જયશંકરે વધુમાં કહ્યું, કે 'ભારત અને અમેરિકા વચ્ચે હજુ પણ વાટાઘાટો ચાલુ જ છે. એવું કશું નથી કે અમે નાના બાળકોની જેમ કિટ્ટા કરી લીધી હોય. પણ ભારતની અમુક રેડ લાઈન્સ છે, અમે ખેડૂતો અને નાના ઉત્પાદકો મામલે બાંધછોડ આપી શકીએ નહીં. ' રશિયાથી ઓઈલ ખરીદવા મામલે પણ જયશંકરે જવાબ આપ્યો, કે 'જો તમને ભારતથી રિફાઈન્ડ તેલ ખરીદવામાં વાંધો હોય તો ના ખરીદશો. '









