પાકિસ્તાનના DGMOએ ભારતને ફોન કર્યો, બંને દેશ વચ્ચે યુદ્ધવિરામ લાગુ: ભારતીય વિદેશ મંત્રાલય
India-Pakistan Ceasefire : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ફરી પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. આ દરમિયાન ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, ભારત-પાકિસ્તાનમાં યુદ્ધ વિરામ લાગુ થઈ ગયું છે. ભારતે પોતાની શરતો પર યુદ્ધ વિરામ લાગુ કર્યું છે. બંને દેશોના DGMO વચ્ચે આજે બપોરે 3.35 કલાકે વાતચીત થઈ હતી. ત્યારબાદ સાંજે 5.00 કલાકથી યુદ્ધ વિરામ લાગુ થઈ ગયું છે.
જમીન, વાયુ અને સમુદ્રમાં ફાયરિંગ અને સૈન્ય કાર્યવાહી બંધ
ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ યુદ્ધ વિરામની જાહેરાત કરતાં કહ્યું છે, કે 'પાકિસ્તાનના ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઓપરેશને(DGMO) ભારતના DGMOને બપોરે 3.35 વાગ્યે ફોન કર્યો હતો. જે બાદ બંને દેશો દ્વારા જમીન, વાયુ અને સમુદ્રમાં સાંજે 5.00 વાગ્યાથી ફાયરિંગ અને સૈન્ય કાર્યવાહી બંધ કરાઈ છે. હવે બંને દેશોના DGMO 12મી તારીખે બપોરે 12 વાગ્યે ફરી વાતચીત કરશે.'
અમેરિકાની મધ્યસ્થતાથી યુદ્ધ વિરામ થયું, ટ્રમ્પનો દાવો
ઓપરેશન સિંદૂર બાદથી બેબાકળું થયેલું પાકિસ્તાન સતત ગુજરાતથી લઈને કાશ્મીર સુધી સરહદી વિસ્તારોમાં મિસાઇલ અને ડ્રોનથી હુમલાના નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે. એવામાં હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન બંને દેશો સીઝફાયર માટે તૈયાર થયા છે. ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે પોસ્ટ કરીને જાણકારી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે, અમેરિકાની મધ્યસ્થતામાં લાંબી વાતચીત બાદ જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણપણે અને તાત્કાલિક યુદ્ધ વિરામ (સીઝફાયર) માટે તૈયાર થયા છે. બંને દેશોને શુભકામના.'
અમે PM મોદી અને PM શરીફ સાથે વાત કરી: અમેરિકાના વિદેશમંત્રીનો દાવો
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ X પર પોસ્ટ કરીને દાવો કર્યો છે, કે 'છેલ્લા 48 કલાકમાં મેં અને ઉપપ્રમુખ જે. ડી. વેન્સે ભારત અને પાકિસ્તાનના ટોચના નેતાઓ સાથે વાતચીત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે પણ વાત કરાઈ છે. ત્યાર બાદ ભારત અને પાકિસ્તાન બંને યુદ્ધ વિરામ માટે રાજી થયા છે.'
બંને દેશો વચ્ચેના સંઘર્ષમાં પાકિસ્તાનને ઘણું નુકસાન
ભારતીય વિદેશ મંત્રાલયે આજે સવારે પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન ભારતીય સેનાએ જણાવ્યું કે, પાકિસ્તાન સેનાના અગ્રીમ વિસ્તારમાં સેનાની તહેનાતી વધારાઈ રહી છે, જે સ્થિતિને ભડકાવવાનો પ્રયાસ કરે છે. સાથે જ સામાન્ય નાગરિકો અને સૈન્ય ઠેકાણાને નિશાન બનાવાઈ રહ્યા છે. શુક્રવારે રાત્રે 1:40 વાગ્યે પાકિસ્તાને પંજાબના એરબેઝ પર હાઇસ્પિડ મિસાઇલ છોડી હતી, જેને નષ્ટ કરી દેવાઈ છે. ત્યારબાદ ભારતીય વાયુસેનાના ફાઇટર વિમાનોએ પાકિસ્તાનના 6 સ્થળે હુમલા કર્યા. આ હુમલામાં પાકિસ્તાનને ઘણું નુકસાન થયું છે. પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાન પર ભારત વિશે ફેક ન્યૂઝ ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો. આ દરમિયાન કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાનના તમામ ખોટા દાવાની પોલ ખોલી હતી.