Get The App

આજથી 'INDIA'ની ત્રીજી બેઠક, 28 પક્ષો મુંબઈમાં એકજૂટ, સંયોજકનું નામ ફાઈનલ થવાની શક્યતા

લોગો- સીટ વહેંચણી જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી શકે છે

પીએમના ચહેરા માટે હાલ કોઈ ચર્ચા નહીં, મોદી સરકારને પડકારવાની તૈયારી

Updated: Aug 31st, 2023

GS TEAM


Google News
Google News
આજથી 'INDIA'ની ત્રીજી બેઠક, 28 પક્ષો મુંબઈમાં એકજૂટ, સંયોજકનું નામ ફાઈનલ થવાની શક્યતા 1 - image

image : Twitter


2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના NDA ગઠબંધનને પડકારવા માટે રચાયેલા વિપક્ષી ગઠબંધન 'INDIA'ની બે દિવસીય બેઠક આજથી મુંબઈમાં યોજાશે. તેમાં  INDIAના સંયોજકનું નામ નક્કી કરવા ઉપરાંત, સંકલન સમિતિની રચના થવાની અપેક્ષા છે.  આ સાથે બેઠકમાં સીટોની વહેંચણી મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. 

પીએમ પદના ચહેરા માટે ચર્ચાનો દોર શરૂ

આ બેઠક પહેલા વિપક્ષી ગઠબંધનમાં સામેલ પક્ષો વચ્ચે પીએમ પદ માટે દાવો કરવા માટે સ્પર્ધા ચાલી રહી હતી. કોંગ્રેસ બાદ JDU અને તૃણમૂલ, સપા, શિવસેના-UBT અને આમ આદમી પાર્ટી (AAP)એ પણ PM પદ માટે દાવો કર્યો છે. જોકે, મહાગઠબંધનના મુખ્ય નેતાઓએ આ મુદ્દાને હાલ પૂરતો ટાળવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ AAPએ સ્પષ્ટતા કરી છે કે અરવિંદ કેજરીવાલની આવી કોઈ આકાંક્ષા નથી. તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ પીએમ પદ સાથે જોડાયેલા પ્રશ્નોને ફગાવી દેતા કહ્યું કે ગઠબંધન જ પીએમ પદનો ચહેરો છે.

બેઠકમાં 28 પક્ષો ભાગ લેશે

વિપક્ષી એકતાની બેઠકમાં 28 પક્ષો ભાગ લેશે. બેઠકમાં મહાગઠબંધનના નેતા, સંયોજક અને સંકલન સમિતિ ઉપરાંત 'એક બેઠક એક ઉમેદવાર'ની ફોર્મ્યુલા હેઠળ પસંદ કરાયેલી 450 બેઠકો પર ચર્ચા થઈ શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગઠબંધનના નેતા પદની રેસમાં સૌથી આગળ હોવાનું કહેવાય છે.

મહાગઠબંધનમાં સીટની વહેંચણી પર હજુ સુધી કોઈ ચર્ચા થઈ નથી

એનસીપીના સુપ્રીમો શરદ પવારે બુધવારે ભારત ગઠબંધનની બેઠકના એક દિવસ પહેલા ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે વિપક્ષી ગઠબંધન દેશમાં રાજકીય પરિવર્તન લાવશે. તેમણે કહ્યું કે 'INDIA'માં સીટ વહેંચણી પર કોઈ ચર્ચા થઈ નથી. અમે કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ જોડાણને આગળ લઈ જઈશું. પવારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિપક્ષી ગઠબંધન રાજકીય પરિવર્તન લાવવા માટે મજબૂત વિકલ્પ પ્રદાન કરશે.

જુદી જુદી વિચારધારા, એક જ ધ્યેય...

સાથે જ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે દેશમાં લોકશાહી બચાવવા માટે એક થયા છીએ. અમારી વિચારધારાઓ અલગ હોઈ શકે છે, પરંતુ અમારો ઉદ્દેશ્ય લોકશાહીનું રક્ષણ કરવાનો છે. અમે સરમુખત્યારશાહી અને જુમલાબાજીની વિરુદ્ધ છીએ.

Tags :