India

હોર્મુઝ સંકટ વચ્ચે LPG માટે ભારતની મોટી તૈયારી, હવે 15 દેશોમાંથી આવશે ગેસ; જાણો ‘પ્લાન-બી’

By GS TEAM
25 Apr 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક ગેસ સપ્લાય પર જોખમ તોળાઈ રહ્યું છે. હોર્મુઝની ખાડીમાં સર્જાયેલી મડાગાંઠને જોતા ભારત સરકારે દેશમાં રાંધણ ગેસની અછત ન સર્જાય તે માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી લીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝ સંકટ વચ્ચે LPG માટે ભારતની મોટી તૈયારી, હવે 15 દેશોમાંથી આવશે ગેસ; જાણો ‘પ્લાન-બી’

India LPG Supply Update 2026: પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક ગેસ સપ્લાય પર જોખમ તોળાઈ રહ્યું છે. હોર્મુઝની ખાડીમાં સર્જાયેલી મડાગાંઠને જોતા ભારત સરકારે દેશમાં રાંધણ ગેસની અછત ન સર્જાય તે માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી લીધી છે. ભારતે હવે ખાડી દેશો ઉપરાંત અમેરિકા, રશિયા અને નોર્વે જેવા દેશો તરફ નજર દોડાવી છે.

સ્પૉટ માર્કેટથી ખરીદી શરૂ

હોર્મુઝ સંકટને કારણે ગેસ સપ્લાય ખોરવાતા સરકારી તેલ કંપનીઓએ હવે સ્પૉટ માર્કેટ એટલે કે તત્કાલ બજારમાંથી ખરીદી શરૂ કરી દીધી છે. એક અખબારના અહેવાલ મુજબ, જૂન અને જુલાઈ મહિનામાં અમેરિકાથી એલપીજીના મોટા કાર્ગો ભારત પહોંચવાની શક્યતા છે.

આ પણ વાંચો : બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન? SIRમાં 18 લાખ મતદારો ઘટ્યા છતાં 24 લાખ વોટ વધ્યા, રાજકીય પક્ષોના ધબકારા વધ્યા

ભારતનો પ્લાન-B શું છે?

અત્યાર સુધી ભારત પોતાની જરૂરિયાતનો 90% ગેસ માત્ર ખાડી દેશો (UAE, કતાર, સાઉદી અરેબિયા, કુવૈત વગેરે) પાસેથી ખરીદતું હતું. પરંતુ હવે સરકારે આયાતના સ્ત્રોતોમાં વિવિધતા લાવી છે. હવે ભારત અમેરિકા, નોર્વે, કેનેડા, અલ્જેરિયા અને રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ગેસ મંગાવી રહ્યું છે. પહેલા ભારત 10 દેશોમાંથી ગેસ આયાત કરતું હતું, જે હવે વધીને 15 થયા છે. સરકારે અગાઉથી જ 8 લાખ ટન એલપીજી કાર્ગો સુરક્ષિત કરી લીધો છે જે હાલ રસ્તામાં છે.

ઘરઆંગણે ઉત્પાદનમાં 20% નો વધારો

પેટ્રોલિયમ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્માના જણાવ્યા અનુસાર, ભારતમાં દરરોજ 80,000 ટન એલપીજીની જરૂરિયાત રહે છે. યુદ્ધ જેવી સ્થિતિને પહોંચી વળવા સરકારે સ્થાનિક ઉત્પાદન વધારવા પર ભાર મૂક્યો છે. સ્થાનિક ઉત્પાદન હવે 20% વધીને 46,000 ટન પ્રતિ દિવસ થયું છે. આ વધારાને કારણે વિદેશી આયાત પરની નિર્ભરતામાં મોટો ઘટાડો થયો છે. 

સામાન્ય જનતા પર શું થશે અસર?

સરકારના આ વ્યૂહાત્મક પગલાંને કારણે ઘરગથ્થુ અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના સપ્લાયમાં કોઈ કાપ નહીં આવે. મંત્રાલયે ખાતરી આપી છે કે, જ્યાંથી પણ શક્ય હશે ત્યાંથી અમે ગેસ ખરીદીશું, પણ દેશમાં સપ્લાય ખોરવાવા નહીં દઈએ.