પાકિસ્તાનની મધ્યસ્થી વચ્ચે ઈરાને ભારતના કર્યા વખાણ! ચાબહાર બન્યું મિત્રતાનો ‘ગોલ્ડન બ્રિજ’
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India-Iran Friendship : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને ભારત સાથેના ગાઢ સંબંધોને ફરી વિશ્વ સમક્ષ રજૂ કર્યા છે. ભારતમાં સ્થિત ઈરાની દૂતાવાસે ચાબહાર પોર્ટની તસવીરો શેર કરતા તેને ભારત-ઈરાન મિત્રતાનો ‘ગોલ્ડન બ્રિજ’ ગણાવ્યો છે. આ સંદેશ એવા સમયે આવ્યો છે જ્યારે તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે સંઘર્ષવિરામ બાદ મંત્રણા ચાલી રહી છે.
ગોલ્ડન બ્રિજ બંને દેશો વચ્ચેના વિશ્વાસનું પ્રતીક : ઈરાન
ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા વીડિયો શેર કરીને પર લખ્યું છે કે, આ બંદર બંને દેશો વચ્ચેના સહયોગ અને વિશ્વાસનું પ્રતીક છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરના સંઘર્ષ દરમિયાન અમેરિકા-ઈઝરાયેલ દ્વારા ચાબહાર પોર્ટ સિટી પર હુમલા કરાયા હતા, જોકે પોર્ટને કોઈ નુકસાન થયું નહોતું. બીજી તરફ, ચીન-પાકિસ્તાન માટે ચાબહારમાં ભારતની હાજરી હંમેશા ખટકી રહી છે. ચીન તેના ‘બેલ્ટ એન્ડ રોડ’ પ્રોજેક્ટ દ્વારા અહીં પગપેસારો કરવા માંગે છે, જેની સામે ભારત એક મજબૂત હરીફ તરીકે ઉભરી આવ્યું છે.
સંઘર્ષ વચ્ચે પણ ભારત-ઈરાન વચ્ચે અતૂટ મિત્રતા
તાજેતરમાં અમેરિકા-ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામમાં પાકિસ્તાનની ભૂમિકા પણ મહત્વની મનાય છે, જેનો ઉદ્દેશ્ય સમુદ્રી માર્ગો ફરી ખોલવાનો છે. આ કપરી સ્થિતિ હોવા છતાં, ઈરાને ચાબહાર પોર્ટને મહત્ત્વ આપીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, ભારત સાથેના તેના આર્થિક અને વ્યૂહાત્મક સંબંધો અતૂટ રહેશે. ભારત માટે આ પોર્ટ એટલા માટે મહત્વનું છે કારણ કે તે પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી સીધો માર્ગ પૂરો પાડે છે.









