ભારતીય સમાજને જોઈએ છે બલિનો બકરોઃ ક્રિકેટથી લઈને પોલિટિક્સ સુધી, ભારતીયોનું હીરો વર્શીપિંગ અને સ્કેપગોટિંગ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (AI IMAGE) |
Indian Society Needs Scapegoat Cricket Politics: આપણા દેશમાં ફિલ્મો, રાજકારણ, ધર્મ અને ક્રિકેટ સહિતના તમામ ક્ષેત્રોમાં હીરો વર્શીપિંગ એક દુષણ છે. કોઈ એક સમર્થ અને શક્તિશાળી વ્યક્તિને આખા સમૂહે કરેલા મહાન કાર્યનો શ્રેય આપવો એ કોઈ નવી વાત નથી. સામે આખા સમૂહની નિષ્ફળતા કે ભૂલ માટે કોઈ એકને દોષિત ઠેરવીને બલિનો બકરો બનાવી દેવો એ પણ ભારતીય સમાજની કુટેવ રહી છે.
ટીમ ઈન્ડિયાના ચાહકો માટે વ્હાઈટવૉશ સ્વીકારવો અઘરો
ભારતીય ક્રિકેટ ટીમનો 25 વર્ષ બાદ દક્ષિણા આફ્રિકા સામે ઘરઆંગણે ટેસ્ટ સીરિઝમાં વ્હાઇટવોશ થયો. અગાઉ ન્યૂઝીલૅન્ડ ઇતિહાસમાં પહેલી વખત ઘરઆંગણે ભારતનો વ્હાઇટવૉશ કરી ગયું. એ સમયે 12 વર્ષમાં ભારત પહેલી વખત ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ હારતાં ક્રિકેટ ચાહકોને આંચકો લાગ્યો. ટીમ ઇન્ડિયા જેવી ધરખમ ટીમ માટે આ બંને શ્રેણીનો પરાજય એ કારમો અને અવિશ્વસનીય પરાજય કહી શકાય. હાલ ક્રિકેટ જગતમાં કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજીત અગરકરની ખૂબ ટીકા થઈ રહી છે. જે ઘણે અંશે વ્યાજબી પણ હશે. કેટલાક મજબૂત કારણો આ ટીકા માટે જવાબદાર છે, પરંતુ ટીમ ગેમમાં કોઈ એક જ વ્યક્તિને વિજય માટે જવાબદાર કે પરાજય માટે દોષિત ઠેરવવી એ કેટલું યોગ્ય છે?
પરાજય વખતે જૂતાનો હાર પહેરાવવો અયોગ્ય
જો મેચ કે સીરિઝમાં જીત કે હાર માટે કોચ જવાબદાર હોય તો રિકી પોન્ટિંગના સમયની ઓસ્ટ્રેલિયન ટીમની સિદ્ધિઓ માટે બુકાનનને ક્રેડિટ મળવી જોઈએ. 2011માં ભારતના વર્લ્ડકપ વિજય માટે ગેરી કર્સ્ટનને ક્રેડિટ મળવી જોઈએ. એવી જ રીતે T20 વર્લ્ડકપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત માટે પણ રાહુલ દ્રવિડ અને ગૌતમ ગંભીરને શ્રેય મળવો જોઈએ! મેદાનમાં ઉતરતા પહેલાં વ્યૂહનીતિ અને ટીમ પસંદગીમાં ભૂલો થાય એ પણ શક્ય છે, પરંતુ હાર કે જીત છેલ્લે મેદાન પર ઉતરનારા ખેલાડીઓના દેખાવ પર આધારિત હોય છે. એમાં પણ ક્રિકેટ એક ટીમ ગેમ છે. કોઈ એક વ્યક્તિ ટીમને જીત પણ ન અપાવી શકે અને હાર પણ નહીં. માટે જીત વખતે કોઈ એકને ફૂલોનો હાર અને પરાજય વખતે કોઈ એકને જૂતાંનો હાર પહેરાવવો યોગ્ય નથી.
ન્યૂઝીલૅન્ડ સામેની સીરિઝમાં હારનો કુતર્ક
અમુક લોકોનું કહેવું છે કે, દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં ભારતનો પરાજય થયો કારણ કે, ટીમમાં રોહિત, કોહલી કે અશ્વિન જેવા ખેલાડીઓ નહોતા. પરંતુ અગાઉની ન્યૂઝીલૅન્ડ સામેની સીરિઝમાં તો તેઓ હતા જ. ત્યારે ટીમનો અને ખાસ તો બેટર્સનો દેખાવ કંગાળ રહ્યો એ પણ સ્વીકારવું રહ્યું. T20 ચેમ્પિયન ટીમના ધુરંધરો ટેસ્ટમાં આખો દિવસ બેટિંગ કરી ન શક્યા એ પણ વાસ્તવિકતા છે. ન્યૂઝીલૅન્ડ અને દક્ષિણ આફ્રિકા બંને સામે ભારત માત્ર એક જ મેચમાં ટોસ જીતી શક્યું હતું. અને બાકીની તમામમાં ટોસ હાર્યા બાદ છેલ્લી ઇનિંગમાં ભારતે બેટિંગ કરવાનો વારો આવ્યો હતો.
બલિનો બકરો અને સ્કેપગોટિંગની વાર્તા
ગુજરાતીમાં એક પ્રચલિત શબ્દ છે, 'બલિનો બકરો', જ્યારે અંગ્રેજીમાં શબ્દ છે સ્કેપગોટિંગ. આ શબ્દનો રેફરન્સ એક પાશ્ચાત્ય ધાર્મિક વિધિ પરથી મળે છે. આ પ્રથા અનુસાર આખા સમાજ કે ગામના પાપ ધોવા માટે બે બકરાની પસંદગી કરાતી. જેમાંથી એકની બલિ ચઢાવાતી અને બીજા બકરા પર પાદરી હાથ મૂકીને સમગ્ર સમૂહના પાપ ચઢાવી દેતા. પછી એ બકરાને જંગલમાં છોડી મૂકાતો અને લોકો માનતા કે ભગવાન હવે તેઓના તમામ પાપ ભૂલી જશે!
આ પણ વાંચો: સૌથી ગીચ વસતી ધરાવતાં દુનિયાના ટોપ-10 શહેરો, જાણો તેમાં ભારતના કેટલા?
આમ, રમતગમતનમાં પણ જીતમાં કોઈ એક ખેલાડીને હીરો બનાવીને સતત ક્રેડિટ આપવી અને પરાજયમાં કોઈ એક પર દોષનો ટોપલો ઢોળી દેવો એ ઘણાં લોકોની આદત છે. એ ન ભૂલવું જોઈએ કે આ રમત છે જેમાં ક્યારેક પરાજય પણ થાય. વર્ષો જૂના રૅકોર્ડ્સ પણ તૂટે અને ક્યારેય ન બની હોય એવી ઘટનાઓ પણ બને. એમાં પણ ક્રિકેટ જેવી ટીમ ગેમમાં તો સંયુક્ત જવાબદારી હોય છે. અમ્પાયરનો કોઈ એકાદ ખોટો નિર્ણય પણ ભારે પડે અને સતત પિચ તરફથી દગો મળે એવું પણ બને.
ખેર, હાલ ક્રિકેટ ફેન્સનો આક્રોશ વ્યાજબી છે. આમ છતાં કોચ, સિલેક્ટર્સ, કૅપ્ટન અને ટીમ મેદાન સિવાય કેટલીક ભૂલો સુધારીને, આ પરાજય ભૂલી ભવિષ્યમાં ટીમને વિજેતા બનાવી શકે છે.
ગુડ લક ટીમ ઇન્ડિયા!








