India EU Free Trade Agreement 2026 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સહિત દુનિયાના અનેક દેશોને ટેરિફના નામે ધમકી આપતા રહે છે. બીજી તરફ ભારત અને યુરોપ આજે ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલની જાહેરાત કરી છે. અમેરિકાના ટૅરિફ છતાં ભારતીય અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે. ઓમાન અને ન્યૂઝીલૅન્ડ બાદ હવે આજે ભારત-EU ફ્રી ટ્રેડ ડીલની જાહેરાતથી સ્વાભાવિક રીતે જ અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ધુંઆપુંઆ છે.
આજે ભારત અને અમેરિકા ઐતિહાસિક જાહેરાત કરશે
ભારત અને યુરોપે ગઈકાલે મુક્ત વેપાર સમજૂતી અંગે વાટાઘાટો સંપન્ન કરી હતી, જેની આજે સત્તાવાર જાહેરાત કરાઈ છે. આ ડીલથી બંને પક્ષે રોકાણ અને વેપારને પ્રોત્સાહન મળશે. જો કે, આ ડીલ તબક્કાવાર ડીલ લાગુ કરાશે.
યુરોપિયન આયોગના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન પરિષદના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા હાલ ભારતના પ્રવાસે છે. આ બંને નેતા ગઇકાલે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ચીફ ગેસ્ટ તરીકે જ ભારત આવી ગયા હતા. આ મુદ્દે બંને પક્ષે 26 જાન્યુઆરીએ જ ફ્રી ટ્રેડ ડીલ અંગે વાટાઘાટો શરૂ કરી હતી, જેને 27 જાન્યુઆરીએ આયોજિત 16માં શિખર સંમેલનમાં અંતિમ રૂપ અપાયું હતું. યુરોપ આ ડીલને 'મધર ઓફ ઑલ ડીલ્સ' કહે છે.
વર્ષ 2025માં ભારત અને યુરોપ વચ્ચે કુલ 136.53 અબજ ડૉલરનો વેપાર થયો. ભારતે 60.7 અબજ ડૉલરનો સામાન આયાત કર્યો જ્યારે 75.9 અબજ ડૉલરના સામાનની નિકાસ કરી. એવામાં ટ્રેડ ડીલમાં ટૅરિફમાં ઘટાડો થતાં ઉપભોક્તા અને ઉત્પાદક બંનેને લાભ થશે.
ભારત-યુરોપ ટ્રેડ ડીલની સૌથી મોટી જાહેરાતો
- મેડિકલ અને સર્જીકલ ઉપકરણોમાં 90 ટકા પ્રોડક્ટ્સ પર કોઈ ટેક્સ નહીં લેવાય.
- યુરોપના ફ્રૂટ જ્યૂસ પર 100%, મશીનરી પર 44% અને કેમિકલ પર 22% ટેરિફ નાબૂદ.
- યુરોપથી આવતી દવાઓ પર 44 ટકા સુધીનો ટેક્સ લેવાય છે, જે નાબૂદ કરાશે.
- યુરોપના બિયર પર 50%, લિકર પર 40% અને વાઈન પર 30% ટેરિફ નાબૂદ કરાશે.
- આગામી બે વર્ષમાં કાર્બન ઉત્સર્જન ઓછું કરવા માટે યુરોપ ભારતને 500 મિલિયન યુરો આપશે.
- યુરોપની ફાઈનાન્શિયલ કંપનીઓમાં ભારતીયોને સરળતાથી એન્ટ્રી મળશે.
- મેરિટાઈમ, બેન્કિંગ, શિપિંગ સેવાઓ સસ્તી થશે.
- 2032 સુધીમાં ભારત-યુરોપ વેપાર બમણો કરવાનું લક્ષ્ય.
- ભારતમાં ગ્રીન ટેકનોલોજી અને ક્લિન એનર્જીમાં પ્રોત્સાહન આપવામાં યુરોપ મદદ કરશે.
ભારત-ઈયુ ટ્રેડ ડીલથી શું લાભ થશે?
ભારત યુરોપથી હાઇ કેટેગરી મશીનરી, ઈલેક્ટ્રોનિક્સ, વિમાન, મેડિકલ ઉપકરણ વગેરે આયાત કરે છે. જ્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, સ્માર્ટફોન, કાપડ, ફાર્મા પ્રોડક્ટ્સ, જ્વેલરી, લોખંડની નિકાસ કરવામાં આવે છે. એવામાં આ ડીલમાં 90 ટકા સામાન પર ટૅરિફ ઓછો અથવા નહિવત થઈ શકે છે. આ સેક્ટરમાં કામ કરતાં ઉદ્યોગો અને બિઝનેસમેનને તેનો મોટો લાભ મળશે.
- યુરોપના કુલ 27 દેશોના બજારમાં ભારતની પહોંચ વધશે.
- યુરોપના 45 કરોડ લોકોના બજારમાં ભારતીય કંપનીઓની સીધી એન્ટ્રી થશે.
- ટેક્સ ઓછો થવાના કારણે ભારતની નિકાસ વધશે.
- યુરોપની કંપનીઓ ભારતમાં રોકાણ વધારશે, FDI વધશે.
- નિકાસ અને રોકાણના કારણે રોજગાર વધશે.
- સપ્લાય ચેઇનમાં સુધારો થતાં ચીન પરની નિર્ભરતા ઘટશે.


