ભારતમાં કોરોનાના 7400 એક્ટિવ કેસ, 24 કલાકમાં 9ના મોત, જુઓ તમામ રાજ્યોની સ્થિતિ
India Covid-19 Case : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના વધુ 269 કેસ નોંધાયા છે, જ્યારે ચાર રાજ્યોમાં નવ દર્દીના મોત થયા છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં ચાર, કેરળમાં ત્રણ અને રાજસ્થાન-તમિલનાડુમાં એક-એક દર્દીનું મોત નિપજ્યું છે. સૌથી વધુ કેસો કર્ણાટક, ગુજરાત, કેરળ, દિલ્હીમાં સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. આ વર્ષે દેશમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 7400, કુલ મૃત્યુઆંક 23 પર પહોંચી ગયો છે.
દેશના ચાર રાજ્યોમાં કુલ નવ દર્દીના મોત
આરોગ્યમંત્રાલયે સવારે 8 વાગ્યાથી જાહેર કરેલા ડેટા મુજબ, છેલ્લા 24 કલાકમાં જે ચાર રાજ્યોમાં કોરોના દર્દીના મોત થયા છે, તેમાં મહારાષ્ટ્ર, કેરળ, રાજસ્થાન અને તમિલનાડુનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં વધુ 16 કેસ નોંધાવાની સાથે સક્રિય કેસોની સંખ્યા 613 પર પહોંચી ગઈ છે, જ્યારે વધુ ચાર દર્દીના મોત થતા આ વર્ષે કુલ દર્દીઓના મોતનો આંકડો 25 પર પહોંચી ગયો છે. રાજ્યમાં વધુ 114 દર્દીઓ પણ સાજા થયા છે.
કેરળમાં વધુ 53 કેસ નોંધાયા
કેરળમાં વધુ 53 કેસ નોંધાવાની સાથે ત્રણ દર્દીઓના મોત થયા છે, તેમજ વધુ 23 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં આ વર્ષે કુલ સક્રિય કેસોનો આંકડો 2109 પર પહોંચી ગયો છે. રાજસ્થાનમાં સાત કેસ નોંધાવાની સાથે એક દર્દીનું મોત થયું છે, જ્યારે વધુ 26 દર્દીઓ સાજા છે. રાજ્યમાં કુલ સક્રિય કેસોનો આંકડો 180 પર પહોંચ્યો છે. તમિલનાડુમાં પણ છેલ્લા 24 કલાકમાં 12 કેસ નોંધાયા છે, એક દર્દીનું મોત થયું છે અને 21 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આ વર્ષે કુલ સક્રિય કેસોની સંખ્યા 232 પર પહોંચી ગઈ છે.