દેશમાં ફરી કોરોનાના કેસમાં વધારો : છેલ્લા 24 કલાકમાં 684 નવા કેસ, 4 દર્દીનાં મોત
- લોકોએ ગભરાવાની નહીં પણ સાવચેતી રાખવી જરૂરી
- સૌથી વધુ કેરળમાં 1336 કેસ, મહારાષ્ટ્રમાં 467 અને ગુજરાતના 265 સહિત કોરોનાના કુલ કેસ 3395, કુલ મોત 22થી વધુ
Corona case update : દેશભરમાં કોરોનાના કેસમાં ફરી સતત વધારો જોવા મળી રહ્યો છે, જેણે સરકાર અને નાગરિકોની ચિંતા વધારી દીધી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 684 કેસ સામે આવ્યા છે તથા ચાર લોકોનાં મોત થયા છે. આ સાથે કુલ કેસ 3395 થયા છે જ્યારે કોરોનાથી કુલ 22થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ કેરળમાં નોંધાયા છે, જ્યાં 24 કલાકમાં નવા 189 કેસ સાથે કુલ 1336 કેસ નોંધાયા છે. સરકારે કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી, માત્ર લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે 31 મેના રોજ કોરોનાના આંકડા જાહેર કર્યા હતા, જે મુજબ કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 3395 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં જ 685 નવા કેસ સામે આવ્યા છે જ્યારે કોરોનાથી ચાર લોકોનાં મોત નીપજ્યાં છે, જેમાં છત્તીસગઢ, કર્ણાટક, કેરળ અને ઉત્તર પ્રદેશમાં એક-એક દર્દીનાં મોત થયા છે. બીજીબાજુ કોરોનાના 1435 દર્દીએ સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા લીધી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે બધા જ રાજ્યોને એલર્ટ રહેવા અને ટેસ્ટિંગ વધારવા માટે નિર્દેશ આપ્યા છે. નાગરિકોને પણ હળવા લક્ષણ પણ દેખાય તો તુરંત તપાસ કરાવવા અને જરૂરી સાવચેતીઓનું પાલન કરવા નિર્દેશ આપ્યા છે. કર્ણાટક સરકારે કોરોનાના કેસમાં થઈ રહેલા વધારા અને સ્કૂલો ફરીથી શરૂ થવાના સંદર્ભમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે સર્ક્યુલર જાહેર કરીને બધા જ વાલીઓને તેમના સંતાનોને તાવ, ઉધરસ, ખાંસી અથવા કોવિડ સંબંધિત અન્ય લક્ષણ જોવા મળે તો તેમને સ્કૂલ નહીં મોકલવા વિનંતી કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઓમિક્રોનના બે નવા સબ-વેરિન્ટ એલએફ.7 અને એનબી.1.8.1એ ટેન્શન વધારી દીધું છે.
કોરોનાના કેસોમાં અચાનક આવેલા આ વધારા માટે આ બંને વેરિઅન્ટને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. જોકે, જેએન.1 હજુ પણ કોરોના થવાનું મુખ્ય વેરિઅન્ટ છે. નિષ્ણાતોએ જણાવ્યું કે, નવા વેરિઅન્ટમાં કંઈક હદે પ્રતિરક્ષાથી બચવાની ક્ષમતા હોઈ શકે છે, પરંતુ આ વેરિઅન્ટ લાંબા સમય સુધી ગંભીર ચેપનું કારણ હોઈ શકે છે તેના કોઈ પુરાવા નથી.
કેન્દ્ર સરકારે લોકોને કોરોનાથી ગભરાવાના બદલે સાવચેતી રાખવા માટે જણાવ્યું છે. કેન્દ્ર સરકારે બધા જ રાજ્યોને કોરોનાનો સામનો કરવા માટેની યોજનાઓ તૈયાર કરી બે જૂન સુધીમાં બેઠક યોજવા માટે જણાવ્યું છે.