દેશમાં પાંચ વર્ષમાં 65 વિમાનોના એન્જિન હવામાં ફેઈલ થયા, RTIના ડેટામાં ચોંકાવનારો ઘટસ્ફોટ
RTI Report on Plane Engine : અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર તૂટી પડવાની દુર્ઘટના અંગે એએઆઈબીના પ્રાથમિક રિપોર્ટ પર ભારે વિવાદ સર્જાયો છે. એએઆઈબી પર પાઈલટ પર દોષારોપણ નાંખીને અમેરિકન વિમાન કંપની બોઈંગને બચાવવાના આક્ષેપ થઈ રહ્યા છે. આવા સમયે એક આરટીઆઈમાં ઘટસ્ફોટ થયો છે કે છેલ્લા પાંચ વર્ષમાં હવામાં જ 65 વિમાનોના એન્જિન ફેઈલ થઈ ગયા હતા.
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ)ના આંકડા મુજબ વર્ષ 2020થી 2025 વચ્ચે ઉડ્ડયન સમયે ૬૫ વખત એન્જિન ફેઈલ થઈ ગયા. આ સિવાય 17 મહિનામાં 11 મેડે કોલ નોંધાયા હતા. જોકે, આ આંકડામાં લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ-171, જે અમવાદાવાદમાં તૂટી પડી હતી અને ઈન્ડિગોની ડાયવર્ટ કરાયેલી ઘરેલુ ફ્લાઈટનો સમાવેશ કરાયો નથી.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ પાસેથી માહિતીના અધિકાર હેઠળ માગવામાં આવેલી વિગતો મુજબ ઈંધણમાં પાણી અથવા અન્ય ગંદકી આવી જવાથી, ટર્બાઈનમાં ખામી થવાથી, ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં ગડબડી, ઈંધણ પૂરવઠામાં અવરોધ જેવી બાબતોના કારણે હવામાં એન્જિન ફેઈલ થયા હોઈ શકે છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે દુનિયામાં ક્યાંય પણ એન્જિન ફેઈલ થવું અથવા મેડે કોલ સંપૂર્ણપણે ્સામાન્ય નથી, પરંતુ ભારતમાં તેને ચિંતાજનક બનાવી દેવાયું છે.
આરટીઆઈ મુજબ ભારતમાં સંચાલિત પ્રત્યેક એરલાઈનનપ્રત્યેક એક મહિને એક વિમાનના એન્જિનમાં ખામી સર્જાઈ છે. એરક્રાફ્ટ એક્સિડન્ટટ ઈન્વેસ્ટિગેશન બ્યુરોના રિપોર્ટ મુજબ બંને ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ કટઓફ મોડમાં આવી જતા બંને એન્જિનને ઈંધણ મળવાનું બંધ થઈ ગયું હશે, જેને પગલે એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર તૂટી પડયું હશે.
ડીજીસીએ ટેકઓફ સમયે અથવા હવામાં જ એન્જિન બંધ થઈ ગઈ હોય તેવી બધી જ ઘટનાઓનો ડેટા રાખે છે. આરટીઆઈમાં મેળવાયેલી વિગતો એએઆઈબીનો રિપોર્ટમાં એઆઈ બોઈંગ 787-8 ડ્રીમલાઈનરમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વિચમાં ખામી અંગેના સંકેતોને અનુરૂપ છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન પાયલટ્સના પ્રમુખ કેપ્ટન સી. એસ. રંધાવાએ જણાવ્યું હતું કે, બધી જ ૬૫ ઘટનાઓમાં પાયલટ્સ વિમાનને એક જ એન્જિન પર વિમાનને સફળતાપૂર્વક નજીકના એરપોર્ટ પર લઈ જવામાં સક્ષમ બન્યા છે.