For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસનો 'સંકલ્પ સત્યાગ્રહ', દિલ્હી પોલીસે રાજઘાટ પર કલમ 144 લાગુ કરી

પાર્ટી સંગઠનના મહાસચિવ કે.સી.વેણુગોપાલે તમામ રાજ્યના એકમોને મોકલેલા પત્રમાં કહ્યું કે ન્યાયની આ લડતમાં રાહુલ ગાંધી એકલા નથી

આ સત્યાગ્રહ સવારના 10 વાગ્યાથી સાંજના 5વાગ્યા સુધી ચાલશે

Updated: Mar 26th, 2023

image : Twitter

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદથી અયોગ્ય જાહેર કરવાના વિરોધમાં પાર્ટીના નેતા અને કાર્યકરો આજે મહાત્મા ગાંધીની પ્રતિમા સામે એક દિવસનું સત્યાગ્રહ કરી રહ્યા છે. પાર્ટીના જણાવ્યાનુસાર રાહુલ ગાંધી પ્રત્યે એકજૂટતા બતાવવા આ સંકલ્પ સત્યાગ્રહ તમામ રાજ્યો અને જિલ્લામાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે થઈ રહ્યો છે.  આ સત્યાગ્રહ સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. જોકે આ અંગે તેમને જરૂરી પરવાનગી ન આપી હોવાના પણ અહેવાલ છે. બીજી બાજુ રાહુલ ગાંધીએ તેમના ટ્વિટર પ્રોફાઈલ પર ડિસ્ક્વૉલિફાઈ એમપી લખી દીધું છે. 

કોંગ્રેસના દિગ્ગજો સામેલ થયા 

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરા અને કોંગ્રેસના અનેક નેતા દિલ્હીમાં રાજઘાટ પર આયોજિત સંકલ્પ સત્યાગ્રહમાં સામેલ થયા છે. કેરળના વાયનાડથી સંસદીય સીટનું પ્રતિનિધિત્વ કરનારા રાહુલ ગાંધીને સુરતની એક કોર્ટ દ્વારા 2019ના માનહાનિન કેસમાં બે વર્ષની સજા ફટકારાયા બાદ શુક્રવારે લોકસભાના સભ્યપદથી અયોગ્ય જાહેર કરી દેવાયા હતા. લોકસભા સચિવાલય તરફથી આ મામલે નોટિફિકેશન જાહેર કરાઇ હતી. 

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવે લખ્યો પત્ર 

ઉલ્લેખનીય છે કે સુરતની એક કોર્ટે તેમને મોદી અટક અંગે ટિપ્પણી કરવા મામલે દાખલ માનહાનિના કેસમાં આ સજા કરી હતી. રાહુલે દાવો કર્યો હતો કે મને અયોગ્ય એટલા માટે જાહેર કરાયો કેમ કે પીએમ મોદી એ વાતથી ડરી ગયા હતા કે સંસદમાં હું ભાષણ આપવાનો હતો. પાર્ટી સંગઠનના મહાસચિવ કે.સી.વેણુગોપાલે તમામ રાજ્યના એકમોને મોકલેલા પત્રમાં કહ્યું કે ન્યાયની આ લડતમાં રાહુલ ગાંધી એકલા નથી. લાખો કોંગ્રેસી અને કરોડો લોકો તેમની પડખે ઊભા છે. અમે આપણા નેતા અને તેમની નીડર લડાઈના સમર્થનમાં સત્યાગ્રહ કરીશું. 

Gujarat