ઇસ 1580 માં અકબરે મહાભારતનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો
- ફારસી સમાનાર્થી છતાં સંસ્કૃત શબ્દોનો હુબહુ પ્રયોગ થયો છે
- મહાભારતને રજમનામા એટલે કે યુધ્ધની કથા નામ અપાયું હતું સંસ્કૃત શબ્દોને ફારસીમાં ઢાળવા ફારસી કવિતાનો પણ ઉપયોગ
નવી દિલ્હી,, તા. 23 મે 2020, શનિવાર
રામાયણ ઉપરાંત મહાભારત ધારાવાહિકનું દુરદર્શન પરથી પ્રસારણ ખૂબજ લોકપ્રિય બન્યું છે. ભારતના મહાકાવ્ય મહાભારતનો સંસ્કૃતમાંથી ફારસી ભાષામાં અનુવાદ માટે મોગલ બાદશાહ અકબરે ઇસ ૧૫૭૪માં ફતેપુર સિકરીમાં ખાસ અનુવાદ રુમ તૈયાર કર્યો હતો.
૧૫૮૦માં આ અનુવાદ કાર્ય પુરુ થયું જેને રજમનામા નામ આપવામાં આવ્યું જેનો અર્થ યુધ્ધની કથા થાય છે. રજ્મનામા વિશિષ્ટ ચિત્રોના કારણે મહત્વનું ગણાય છે તેની ત્રણ પ્રતોમાં એક જયપુર અજાયબ ઘરમાં છે જે પ્રતના મુખ્ય ચિત્રકાર દશવંત, વશાવંત અને લાલ છે.
ઇસ ૧૫૯૯માં બનેલી બીજી રજમનામાના ચિત્રકાર અસી, ધનુ અને ફટુ છે જયારે ત્રીજી પ્રત ઇસ ૧૬૧૬માં તૈયાર થઇ હતી.
ઇતિહાસકાર ઓડ્રી ટ્રેશે પોતાના પુસ્તક કલ્ચર ઓફ એન કાઉન્ટસ એટ ધ મુગલ કોર્ટમાં જણાવ્યા મુજબ મહાભારતના ફારસી અનુવાદની જવાબદારી અકબરે પોતાના સહિત્યિક રત્નો ફૈજી અને અબૂલ ફઝલને સોંપી હતી. મહાભારતના અનુવાદ માટે ફારસી અને સંસ્કૃત વિદ્વાનોની ટીમ પણ તૈયાર કરી હતી દુનિયાના સૌથી મોટા મહાકાવ્ય મહાભારતનો અનુવાદ કરવો સરળ ન હતો. મહાભારતના સેંકડો સંસ્કૃત શબ્દોને ફારસીમાં ઢાળવા ફારસી કવિતાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કાર્યમાં સૌથી મોટી મુશ્કેલી એકેશ્વરવાદ અને બહુદેવવાદના ધાર્મિક મતભેદની હતી. ૨જ્મનામાની શરુઆતમાં બ્રહ્માના સ્થાને ખુદાવદનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. રજ્મનામામાં લખ્યું છે કે કથા સંભળાવાની શરુઆત કરી ત્યારે ખુદાને યાદ કરીને તેમનો મહિમા કરવા માટે જલ્લા જલાલહુ વા અમ્મા નવાલહુ કહેવામાં આવે છે આ બદલાવનો હેતું ફારસી વાંચવાવાળાને આત્મિયતા અનુભવ કરાવવાનો હતો.
નવાઇની વાત તો એ છે કે ફારસી કે અરબી ભાષામાં સમાનાર્થી શબ્દો મળતા હોવા છતાં અનુવાદમાં ઘણા સ્થળે સંસ્કૃત શબ્દનો હંુબહુ પ્રયોગ કરવામાં આવ્યો છે. ફારસીમાં મહાભારતની કથાના અનુવાદમાં ભગવદ્ ગીતાનો ધાર્મિક સંદેશ અઘરો હોવાથી તેના ભાગને ટૂંકો કરીને અર્થ બદલાય નહી તે રીતે ફેરફાર કરવામાં આવ્યા છે.
ભગવદ્ ગીતામાં કુલ ૭૦૦ શ્લોક છે જેને થોડાક પાનામાં જ સમાવવામાં આવ્યા છે. મહાભારત ઉપરાંત રામાયણનો પણ ફારસીમાં પછીથી અનુવાદ થયો હતો.