નવા દર સોના-ચાંદીની લગડી, અન્ય આઈટેમ્સને પણ લાગુ
આયાત પર અંકૂશ લાવી ચાલુ ખાતા તથા રૂપિયા પર દબાણને અટકાવવા લેવાયેલો નિર્ણય
પશ્ચિમ એશિયાની વર્તમાન કટોકટીને પગલે ઊભી થયેલી વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે દેશની બૃહદ્ આર્થિક સ્થિરતાને સુરક્ષિત કરવા, આયાત ઘટાડી ચાલુ ખાતાની ખાધ તથા રૂપિયા પરનું દબાણ હળવું કરવા તથા ફોરેકસ રિઝર્વ ટકાવી રાખવાના ભાગરૂપ સરકારનો આ નિર્ણય આવી પડયો છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેકટ ટેક્સિઝ અને કસ્ટમ્સ સત્તાવાળા દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન પ્રમાણે સોના તથા ચાંદી પરની કસ્ટમ્સ ડયૂટી ૬ ટકા પરથી વધારી ૧૫ ટકા કરાઈ છે જ્યારે પ્લેટિનમ પરની ડયૂટી ૬.૪૦ ટકા પરથી વધારી ૧૫.૪૦ ટકા કરવામાં આવી છે.
ગોલ્ડ પર બેઝિક કસ્ટમ્સ ડયૂટી ૧૦ ટકા ઉપરાંત એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રકચર અને ડેવલપમેન્ટ સેસ (એઆઈડીસી) ૧ ટકા પરથી પાંચ ગણો વધારી પાંચ ટકા કરીને એકંદર ડયૂટી દર ૧૫ ટકા કરાયો છે. આ ઉપરાંત સોનાના આયાતકારોએ ૩ ટકા આઈજીએસટી પણ ભરવાનો રહે છે. આમ ડયૂટીનો કુલ અસરકારક દર ૯.૧૮ ટકા પરથી વધી ૧૮.૪૫ ટકા કરાયો છે.
ડયૂટીના નવા દર સોના તથા ચાંદીની લગડી, કોઈન્સ તથા અન્ય સંબંધિત આઈટેમ્સને પણ લાગુ થશે. ચીન બાદ વિશ્વમાં ભારત સોનાનો મોટો વપરાશકાર દેશ છે.
ગત નાણાં વર્ષમાં ભારતની સોનાચાંદીની આયાત વાર્ષિક ધોરણે ૨૬.૭૦ ટકા વધી ૧૦૨.૫૦ અબજ ડોલર રહી હતી.
બિનજરૂરી એવી કિંમતી ધાતુઓની આયાત ઘટાડવાના ભાગરૂપ આ નિર્ણય આવી પડયો હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું, કારણ કે આવા પ્રકારની કિંમતી ધાતુની આયાતથી ફોરેકસ રિઝર્વમાંથી જંગી આઉટફલોસ થાય છે.
ક્રુડ ઓઈલ બાદ ભારતના આયાત બિલમાં સોનાનો ક્રમ બીજો આવે છે. બિનઆવશ્યક કોમોડિટીસની આયાત ઘટાડી ક્રુડ તેલ, ફર્ટિલાઈઝર, ઔદ્યોગિક કાચા માલ, સંરક્ષણના સાધનોની આયાત માટે ફોરેકસ રિઝર્વનો સરકાર ઉપયોગ કરવા માગે છે.
ત્રણ દિવસ પહેલા જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને એક વર્ષ સુધી સોનું નહીં ખરીદવા અપીલ કરી હતી.
આ અગાઉ સરકારે નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં સોના તથા ચાંદી પરની આયાત ડયૂટી ૧૫ ટકા પરથી ઘટાડી ૬ ટકા અને પ્લેટિનમની આયાત ડયૂટી ૧૫.૪૦ ટકા પરથી ઘટાડી ૬.૪૦ ટકા કરી હતી.
ક્રુડ તેલના ઊંચા ભાવને કારણે ચાલુ ખાતાની ખાધ પર દબાણ એકદમ વધે તે પહેલા જ અગમચેતીના પગલાંના ભાગરૂપ આ નિર્ણય આવી પડયો છે.


