અટલ પેન્શન યોજનામાં દર મહિને 2 હજારની જગ્યાએ 5 હજાર રુ. પેન્શન મેળવવા માટે શું કરવું પડશે? જાણો
Atal Pension Yojana: અટલ પેન્શન યોજના સરકાર દ્વારા સામાન્ય નાગરિકો જેમાં ખાસ કરીને અસંગઠિત વિસ્તાર, ગરીબો અને વંચિતોની નાણા સુરક્ષા વ્યવસ્થા આપવા માટે શરુ કરવામાં આવેલી એક સરકારી પેન્શન યોજના છે. આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી રુપિયા 1000થી 5000 સુધીનું માસિક પેન્શન મળે છે. જો તમે પણ આ સ્કીમમાં રોકાણ કરી રહ્યા છો અને તમારી પેન્શનની રકમ 2000 રુપિયા પસંદ કરેલી છે અને હવે તેને 5000 રુપિયા સુધી વધારવા માંગો છો. શું આવું કરવું શક્ય છે ? જો હા તો કેવી રીતે, આવો જાણીએ...
શું પેન્શનની રકમ 2000થી વધારીને 5 હજાર કરી શકાય
હા, તમે APY હેઠળ તમારી પેન્શન રકમ વધારી શકો છો. આ યોજના ગ્રાહકોને સંચય તબક્કામાં એટલે કે, 60 વર્ષની ઉંમર પછી પેન્શન મળવાનું શરુ થાય તે પહેલાંનો સમયગાળા દરમિયાન નાણાકીય વર્ષમાં એકવાર તેમની પેન્શન રકમ વધારવા અથવા ઘટાડવાની મંજૂરી આપે છે. આ સુગમતા સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકો તેમની નાણાકીય પરિસ્થિતિના આધારે તેમની સેવાનિવૃત્તિ લક્ષ્યોને સમાયોજિત કરી શકે છે.
બૅંકમાં કરવી પડશે અરજી
પેન્શનની રકમ વધારવા માટે તમારે તમારી APY ખાતાવાળી બૅંકમાં જવાનું રહેશે અને ત્યાં જઈ તમારે અરજી કરવી પડશે કે, તમે તમારા પેન્શનની રકમ વધારવા માંગો છો. તમે પેન્શન અપગ્રેડ માટે વિનંતી કરો છો કે તરત જ બેંક અથવા PFRDA તમારી વર્તમાન ઉંમરના આધારે તમારા નવા યોગદાનની ગણતરી કરશે. ત્યાર બાદ માસિક ડિપોઝિટ રકમ વધારવામાં આવશે જે દર મહિને તમારા બૅંક ખાતામાંથી આપમેળે કાપવામાં આવશે. આ માટે બૅંકમાં એક નવું ઓટો ડેબિટ ફોર્મ ભરવું પડશે. આ રીતે તમે તમારા પેન્શનની રકમ વધારી શકો છો.
શું છે અટલ પેન્શન યોજના (APY)
APY એક સ્વૈચ્છિક પેન્શન યોજના છે જે દરેક ભારતીય નાગરિકો માટે ખોલવામાં આવી છે. ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં લોકો માટે જેમની પાસે નિવૃત્તિનું કોઈ આયોજન નથી. આ યોજના હેઠળ રોકાણકારો તેમની પસંદ કરેલી પેન્શન રકમ અને જોડાવાના સમયના આધારે માસિક, ત્રિમાસિક અથવા અર્ધ-વાર્ષિક રીતે દર મહિને ફિક્સ રુપિયા 42થી 210નું યોગદાન આપે છે. આ યોજના હેઠળ પ્રતિ માસ 1000, 2000, 3000, 4000 અને 5000 રુપિયાનો વિકલ્પ પસંદ કરી શકે છે.