Get The App

'લાત મારીને તગેડી મૂકીશ...', યુપી-બિહારના લોકો માટે રાજ ઠાકરેએ વાપર્યા વાંધાજનક શબ્દો

Updated: Jan 12th, 2026

GS TEAM

Google News
Google News
'લાત મારીને તગેડી મૂકીશ...', યુપી-બિહારના લોકો માટે રાજ ઠાકરેએ વાપર્યા વાંધાજનક શબ્દો 1 - image


Raj Thackeray news : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ ફરી એકવાર ઉત્તર પ્રદેશ અને બિહારનો મુદ્દો ઉઠાવીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. તેમણે હિન્દી ભાષાને લઈને ચેતવણી આપી છે કે તેઓ અન્ય રાજ્યોમાંથી આવતા વસાહતીઓને 'લાત મારીને' બહાર કાઢી દેશે. રવિવારે, રાજ ઠાકરેએ તેમના પિતરાઈ ભાઈ અને શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મળીને એક સંયુક્ત રેલીને સંબોધિત કરી હતી. ઉલ્લેખનીય છે કે બૃહન્મુંબઈ મહાનગરપાલિકા(BMC) માટે 15 જાન્યુઆરીએ મતદાન થવાનું છે.

વાંધાજનક શબ્દો વાપર્યા 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજે કહ્યું, "યુપી અને બિહારના લોકોએ સમજવું જોઈએ કે હિન્દી તમારી ભાષા નથી. મને ભાષા પ્રત્યે નફરત નથી, પરંતુ જો તમે તેને અમારા પર લાદવાનો પ્રયાસ કરશો, તો હું તમને લાત મારીને બહાર કાઢી દઈશ." તેમણે વધુમાં કહ્યું, "તેઓ ચારે બાજુથી મહારાષ્ટ્રમાં આવી રહ્યા છે અને તમારો હિસ્સો લઈ રહ્યા છે. જો જમીન અને ભાષા જતી રહેશે, તો તમે ખતમ થઈ જશો."

મરાઠી માણુસને અપીલ...

મરાઠી માણુસને ભાવનાત્મક અપીલ કરતાં તેમણે કહ્યું, "આ મરાઠી માણુસ માટે છેલ્લી ચૂંટણી છે. જો તમે આજે તક ગુમાવી દેશો, તો તમે ખતમ થઈ જશો. મરાઠી અને મહારાષ્ટ્ર માટે એક થઈ જાઓ." આ દરમિયાન, તેમણે પોતાના પક્ષના કાર્યકર્તાઓને પણ નિર્દેશ આપ્યા કે તેઓ મતદાનના દિવસે સવારે 6 વાગ્યાથી જ તૈનાત રહે અને જો કોઈ બે વાર મત આપવા આવે તો તેને બહાર ફેંકી દે.

ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર કર્યા પ્રહાર

રાજ ઠાકરે પછી રેલીને સંબોધિત કરતા, શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સવાલ ઉઠાવ્યો કે શું ભાજપ મુંબઈનું નામ બદલીને 'બંબઈ' કરવા માંગે છે. આ માટે તેમણે તમિલનાડુના ભાજપ નેતા કે. અન્નામલાઈની ટિપ્પણીઓનો ઉલ્લેખ કર્યો. ચૂંટણી પહેલા ભાજપ પર વિભાજનકારી રાજનીતિ કરવાનો આરોપ લગાવતા ઉદ્ધવે કહ્યું, "ભાજપનું હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ નકલી છે." તેમણે વધુમાં કહ્યું કે, "ભાજપ એક એવી પાર્ટી બની ગઈ છે જે રાષ્ટ્રને પહેલા રાખવાને બદલે ભ્રષ્ટાચારને પહેલા રાખે છે."