India

જનતાના સહકારથી સરકારનું નેતૃત્વ સંભાળવાના મે 24 વર્ષ પૂર્ણ કર્યા : મોદી

By GS TEAM
8 Oct 20252 mins read
જનતાના સહકારથી સરકારનું નેતૃત્વ સંભાળવાના મે 24 વર્ષ પૂર્ણ કર્યા : મોદી

- પ્રથમ વખત સીએમ તરીકે લીધેલી શપથને મોદીએ યાદ કરી

- કેન્દ્રીય નેતૃત્વના 11 વર્ષમાં શાસનમાં ભારતે અનેક સિદ્ધીઓ મેળવી, ૨૫ કરોડને ગરીબીમાંથી બહાર કાઢ્યા : વડાપ્રધાન

નવી દિલ્હી : નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તે પૂર્વે લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી પણ રહ્યા. આમ મોદીના રાજ્ય અને બાદમાં કેન્દ્રીય નેતૃત્વના ૨૪ વર્ષ થઇ ગયા છે અને ૨૫માં વર્ષમાં પ્રવેશ થયો છે. મોદીના જીવનમાં ૭ ઓક્ટોબર ૨૦૦૧થી સરકારનું નેતૃત્વ લેવાની શરૂઆત થઇ હતી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમ વખત શપથ લીધા હતા તે ઘટનાને મોદીએ વાગોળી હતી.    

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આજ તારીખ ૭ ઓક્ટોબરના રોજ વર્ષ ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમ વખત શપથ ગ્રહણ કર્યા હતા. મને સતત આશિર્વાદ આપવા બદલ દેશના નાગરિકોનો ખુબ ખુબ આભાર, સરકારના વડા તરીકે હું ૨૫માં વર્ષમાં પ્રવેશી રહ્યો છું. મારા જીવનના આ વર્ષોમાં મે હંમેશા નાગરિકોના જીવનને સુધારવાનો પ્રયાસ કયો છે. અગાઉની યુપીએ સરકારના શાસનમાં ભ્રષ્ટાચારે ભરડો લીધો હતો પરંતુ હવે દેશ સ્વાસ્થ્ય સહિતના ક્ષેત્રમાં પ્રગતી કરી રહ્યો છે. 

વડાપ્રધાન તરીકેના પોતાના કાર્યકાળને યાદ કરતા મોદીએ કહ્યું હતું કે છેલ્લા ૧૧ વર્ષના શાસનમાં આપણે ભારતના નાગરિકોએ સાથે મળીને કામ કર્યું, જેને કારણે અનેક સિદ્ધીઓ પ્રાપ્ત કરી. આ દરમિયાન ૨૫ કરોડ નાગરિકોને ગરીબીમાંથી ઉગારી લેવાયા, વૈશ્વિક અર્થતંત્રોમાં ભારતને ઉજળતા સ્થાને રાખીને જોવામાં આવે છે. વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પૂર્વે વર્ષ ૨૦૧૩માં મને જ્યારે ભાજપે વડાપ્રધાનના પદ માટે પસંદ કર્યો હતો ત્યારે દેશ વિશ્વાસ અને ગવર્નન્સના સંકટમાંથી પસાર થઇ રહ્યો હતો. વિશ્વમાં ભારતને નબળા દેશ તરીકે જોવાઇ રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના પ્રમુખ પુતિન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને તેમને જન્મદિવસથી શુભકામના પાઠવી હતી. તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે મે મારા મિત્ર પુતિન સાથે વાત કરી તેમને ૭૩માં જન્મ દિનની શુભેચ્છા પાઠવી.