Get The App

મારા ઘરે કરોડો રૂપિયા કોણ મૂકી ગયું મને ખબર નથી : જજ વર્મા

Updated: Mar 23rd, 2025

GS TEAM

Google News
Google News
મારા ઘરે કરોડો રૂપિયા કોણ મૂકી ગયું મને ખબર નથી : જજ વર્મા 1 - image


- દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માનું ગુનેગારો જેવું રટણ 'હું નિર્દોષ છું'

- સુપ્રીમે જજ વર્માના ઘર પર સળગેલી રોકડનો વીડિયો જાહેર કર્યો, ઘરની બહાર રસ્તા પરથી પણ બળેલી નોટો મળતા જજ વર્માની મુશ્કેલીઓ વધી

- દિલ્હી હાઈકોર્ટનો જસ્ટિસ વર્માને ફોન રેકોર્ડિંગ, વોટ્સએપ ચેટ ડીલીટ નહીં કરવા નિર્દેશ

- સ્ટોર રૂમ અમારા ઘરનો ભાગ નથી, ત્યાં અનેક લોકોની અવર-જવર રહેતી હોય છે ઃ જસ્ટિસ યશવંત વર્મા

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના સરકારી આવાસમાંથી કરોડો રૂપિયા મળવાના કેસમાં સુપ્રીમ કોર્ટે શનિવારે રાતે જસ્ટિસ વર્માના ઘરના સ્ટોર રૂમનો વીડિયો અને અન્ય દસ્તાવેજો તેની વેબસાઈટ પર જાહેર કર્યા હતા, જેમાં રૂ. ૫૦૦ની નોટના બંડલો સળગેલી હાલતમાં જોવા મળ્યા હતા. હવે જસ્ટિસ વર્માના ઘરની બહારથી પણ રૂ. ૫૦૦ની બળી ગયેલી નોટો મળી આવી છે. આ બંને વીડિયોએ જસ્ટિસ વર્માની મુશ્કેલીઓ વધારી દીધી છે. હવે આ સમગ્ર ઘટનાક્રમ અંગે જસ્ટિસ વર્માનું નિવેદન આવી ગયું છે. તેમણે કોઈ રીઢા ગુનેગારની જેમ રટણ ચાલુ રાખ્યું છે કે તેઓ નિર્દોષ છે અને સ્ટોર રૂમમાં કરોડો રૂપિયા કોણ મૂકી ગયું તેની તેમને કોઈ જાણ નથી. આગ લાગ્યાની રાતે પરિવારને જે સ્ટોર રૂમ બતાવ્યો તેમાં કોઈ બંડલો નહોતા. 

દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માનું સરકારી ઘર ૩૦ તુઘલક રોડ પર છે. આ ઘરના સ્ટોર રૂમમાં ૧૪ માર્ચને ધુળેટીના દિવસે આગ લાગી હતી. એક સપ્તાહ પછી હવે આ ઘટના અંગે ભારે હોબાળો મચ્યો છે. સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશ યશવંત વર્માને ફરજિયાત રજા પર ઉતારી દીધા છે. આ સિવાય સુપ્રીમ કોર્ટે આ ઘટનાના સંદર્ભમાં દસ્તાવેજોના ભાગરૂપે સ્ટોર રૂમનો એક વીડિયો શનિવારે રાતે તેની વેબસાઈટ પર અપલોડ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વધુમાં રવિવારે એનડીએમસીના સફાઈ કર્મચારીઓ ૩૦ તુઘલક રોડ પર સાફ-સફાઈ કરવા ગયા ત્યારે તેમને કાગળના કેટલાક સળગેલા ટૂકડા મળ્યા હતા. કથિત રીતે આ ટૂકડા રૂ. ૫૦૦ની નોટોના હતા. પોલીસ અને તપાસ એજન્સીઓ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે, જેમાં અડધી સળગેલી નોટો અને અન્ય સામાનનો પણ સમાવેશ થાય છે.  એક સફાઈ કર્મચારી ઈન્દ્રજીતે કહ્યું કે ૪-૫ દિવસ પહેલા પણ અહીં સફાઈ કરી રહ્યા હતા ત્યારે રૂ. ૫૦૦ની સળગેલી નોટો મળી હતી. જોકે, તે સમયે તેમને એક-બે નોટો મળી હતી. અન્ય એક કર્મચારી સુરેન્દ્રએ કહ્યું કે, અમે કચરાની ગાડી પર કામ કરતા હતા. ૪-૫ દિવસ પહેલા પણ સળગેલી નોટો મળી હતી. આજે પણ રોડ પર સળગેલી નોટો મળી હતી. આ સમગ્ર ઘટનામાં દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે આંતરિક તપાસનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાને સોંપી દીધો છે. સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશ યશવંત વર્માને કોઈ ન્યાયીક કામ નહીં સોંપવા દિલ્હી હાઈકોર્ટને આદેશ આપ્યા છે. સાથે જ ન્યાયાધીશ યશવંત વર્માને પણ તેમના કોલ રેકોર્ડ્સ અને વોટ્સએપ ચેટ ડીલીટ નહીં કરવા જણાવ્યું છે.

દરમિયાન આ વિવાદમાં હવે જેમના પર કથિત રીતે ભ્રષ્ટાચારના આરોપ મૂકાયા છે તે ન્યાયાધીશ યશવંત વર્માનું નિવેદન સામે આવ્યું છે. તેમણે પોતાને નિર્દોષ ગણાવ્યા છે અને સ્ટોર રૂમમાં કરોડો રૂપિયા કોણ મૂકી ગયું તેની તેમને કોઈ જાણ નહીં હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે, આ મારી સામે કોઈ કાવતરું ઘડાયું છે, જેની ગંભીરતાથી તપાસ થવી જોઈએ. જસ્ટિસ વર્માએ દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયને આપેલા જવાબમાં જણાવ્યું હતું કે, આ સ્ટોર રૂમમાંથી મળેલા કરોડો રૂપિયા તેમના નથી અને કોણ ત્યાં મુકી ગયું તેની પણ તેમને કે તેમના પરિવારમાં કોઈને કંઈ જ માહિતી નથી. મારા પરિવારને આ રોકડ બતાવાઈ પણ નથી. આ સ્ટોર રૂમનો ઉપયોગ સામાન્ય રીતે વપરાશમાં ન લેવાતા ફર્નિચર, બોટલ, ક્રોકરી, અન્ય વસ્તુઓ મૂકવામાં આવે છે. સાથે જ સ્ટોર રૂમમાં સીપીડબલ્યુડીનો સામ પણ રાખવામાં આવે છે. સ્ટોર રૂમમાં કોઈ તાળુ નથી અને ત્યાં અનેક અધિકારીઓ આવતા-જતા હોય છે. આ સ્ટોર રૂમમાં આગળ અને પાછળના દરવાજાથી આવી-જઈ શકાય છે. આ સ્ટોર રૂમ સીધી રીતે અમારા ઘર સાથે જોડાયેલો નથી, તેથી તે અમારા ઘરનો ભાગ પણ નથી.  

આગ લાગવાની ઘટનાના દિવસનો ઘટનાક્રમ જણાવતા જસ્ટિસ વર્માએ કહ્યું કે, તે દિવસે તેઓ પત્ની સાથે મધ્ય પ્રદેશમાં હતા. તે સમયે ઘરે માત્ર મારી પુત્રી અને વૃદ્ધ માતા જ હતા. હું ૧૫ માર્ચે સાંજે ભોપાલથી દિલ્હી પાછો ફર્યો. આગ લાગી ત્યારે મારી પુત્રી અને અંગત સચિવે ફાયર બ્રિગેડને ફોન કર્યો. આગ ઓલવતી સમયે મારા સ્ટાફ અને ઘરના સભ્યોને ત્યાંથી હટાવી દેવાયા હતા. આગ ઓલવાઈ ગયા પછી તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ રોકડ નહોતી. મેં અથવા મારા પરિવારે કોઈએ સ્ટોર રૂમમાં રોકડ મૂકી નથી અને કથિત રીતે મળેલી રોકડ સાથે અમને કોઈ સંબંધ નથી. આ રૂપિયા અમારા છે તે વાત જ હાસ્યાસ્પદ છે. લોકોની અવર-જવર હોય તેવા સ્થળ પર કોઈ આટલી મોટી સંખ્યામાં રોકડ મૂકે તે વાત તર્કહીન છે.


Tags :