Get The App

પતિની હત્યારી મુસ્કાન જેલમાં ડ્રગ્સ વગર તડપી રહી છે, ઇન્જેક્શનની માગ કરી

Updated: Mar 24th, 2025

GS TEAM

Google News
Google News
પતિની હત્યારી મુસ્કાન જેલમાં ડ્રગ્સ વગર તડપી રહી છે, ઇન્જેક્શનની માગ કરી 1 - image

- મેરઠ હત્યાકાંડના આરોપીઓના જેલમાં બુરે દિન શરૂ

- નશેડી મુસ્કાન અને પ્રેમી સાહિલ ઉંઘી નથી શકતા, ભોજન પાણી લેવામાં પણ મુશ્કેલી વધતા ડોક્ટરોને બોલાવાયા

- માતા-પિતા બહુ જ ગુસ્સામાં છે, મારો કેસ લડવા કોઇ નહીં આવે માટે સરકારી વકીલ આપો ઃ મુસ્કાનનો જેલને પત્ર

મેરઠ: પૂર્વ મર્ચન્ટ નેવી ઓફિસર પતિ સૌરભ રાજપુતની મેરઠમાં તેની પત્ની મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્લાએ ઘાતકી રીતે હત્યા કરી હતી, મુસ્કાન અને સાહિલ બન્ને હત્યારા હાલ મેરઠની જેલમાં કેદ છે. બન્નેને ડ્રગ્સ અને ગાંજાનો નશો કરવાની ટેવ હોવાથી હાલ જેલમાં તેના વગર તડફડિયા મારી રહ્યા છે. મુસ્કાલ હાલ ડ્રગ્સના ઇન્જેક્શનની માગ કરી રહી છે. જ્યારે એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે મુસ્કાનનો પ્રેગ્નેન્સી ટેસ્ટ કરવામાં આવી શકે છે. 

જ્યારે મેરઠની જેલના વરીષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે પતિની હત્યાની આરોપી મુસ્કાન અને સાહિલને જેલમાં મળવા કોઇ નથી આવ્યું, કોઇ વકીલ સામે ચાલીને તેમનો કેસ લડવા પણ તૈયાર નથી. આ સ્થિતિ વચ્ચે મુસ્કાને સરકારી વકીલ આપવાની માગણી કરી છે. બન્ને હાલ જેલમાં નશીલા પદાર્થો ના મળતા નશો ઉતરી રહ્યાની સમસ્યામાંથી પસાર થઇ રહ્યા છે. કોર્ટે બન્નેને ૧૪ દિવસની કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો તે બાદથી મેરઠની ચરણસિંહ જેલમાં તેઓ કેદ છે. 

જેલ પ્રશાસનના સુત્રોએ જણાવ્યું હતું કે હાલ બન્ને આરોપીઓની હાલત નશા વગર ખરાબ થઇ ગઇ છે, મુસ્કાન અને સાહિલ રાત્રે યોગ્ય રીતે ઉંઘી નથી શકતા, સાથે જ ખાવા અને પીવાની પણ ના પાડી દીધી છે. હાલ ડોક્ટરો તેમની ચકાસણી કરી રહ્યા છે અને ડ્રગ્સ વિડ્રોવલ સિન્ડ્રોમ્સનો સામનો કરવા માટે દવા આપી રહ્યા છે. જેલના સુપ્રિટેન્ડન્ટ વિરેશ રાજ શર્માએ કહ્યું હતું કે સાહિલ અને મુસ્કાન વર્ષોથી ડ્રગ્સ લેતા હતા. ડોક્ટરે વિડ્રોવલ સિન્ડ્રોમ્સ માટે દવા લખી આપી છે. 

પોલીસ તપાસમાં પણ સામે આવ્યું છે કે બન્ને આરોપીઓ નિયમિત દારુ અને ડ્રગ્સનો નશો કરતા હતા. મુસ્કાને જેલ પ્રશાસનને લખેલા પત્રમાં કહ્યું છે કે મારા માતા પિતા આ ઘટના બાદથી નારાજ છે, કોઇ પણ મારા વતી કેસ નહીં લડે, જેને પગલે મારે સરકારી વકીલની જરૂર છે. જો કોઇ કેદી સરકારી વકીલની માગણી કરે તો નિયમ મુજબ તેને વકીલ પુરા પાડવા અમારી ફરજ છે. ૧૦ દિવસ બાદ બન્નેને જેલનું કામ સોંપવામાં આવશે. સૌરભ અને મુસ્કાને ૨૦૧૬માં લગ્ન કર્યા હતા, તેમનો પરિવાર આ લગ્નથી ખુશ ના હોવાથી બન્ને મેરઠમાં ભાડાના મકાનમાં રહેતા હતા, સૌરભ વિદેશમાં નોકરી કરતો હતો ત્યારે મુસ્કાન સાહિલને મળી હતી અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. સૌરભને વચ્ચેથી હટાવવા તેની હત્યા કરીને શરીરના ૧૫ ટુકડા કરીને ડ્રમમાં સિમેન્ટ નાખીને સીલ મારી દીધુ હતું, જે બાદ મુસ્કાન-સાહિલ મજા માણવા હિલ સ્ટેશને ગયા હતા.