વૈશ્વિક તાપમાન 2 ડિગ્રી વધી જાય તો પાકિસ્તાનના કરોડો લોકો તરસ્યાં મરી જશે! અભ્યાસમાં દાવો
Hindu Kush Glacier: એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો વૈશ્વિક તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય છે, તો સદીના અંત સુધીમાં હિન્દુ કુશ હિમાલયના ગ્લેશિયરનો બરફ 75 ટકા ઘટી શકે છે. હિન્દુ કુશ પર્વતોના આ ગ્લેશિયર ઘણી નદીઓનું મૂળ છે, જે આ ગ્લેશિયરમાંથી પાણી મેળવે છે અને આ નદીઓ બે અબજ લોકો માટે આજીવિકાનું સાધન બની જાય છે. જો આવું થશે, તો કાબુલ, હેલમંડ જેવી નદીઓ સુકાઈ જશે. આ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન માટે મોટો ઝટકો હશે. ભારત સાથે સિંધુ જળ સંધિ હેઠળ પાકિસ્તાનને પહેલાથી જ ઘણી નદીઓમાંથી પાણી મળે છે. આવી સ્થિતિમાં, જો હિન્દુ કુશ પર્વતોના ગ્લેશિયર ઓગળી જાય છે, તો કાબુલ નદીના પ્રવાહને અસર થશે. આના કારણે પાકિસ્તાનને સીધું નુકસાન થશે.
કાકેશસ પર્વતોમાં 40-45 ટકા ગ્લેશિયર બરફ સાચવી શકાશે
કાબુલ નદી હિન્દુ કુશની સંગલાખ પર્વતમાળામાંથી નીકળે છે અને પછી પાકિસ્તાનમાં અટક ખાતે સિંધુ નદીમાં જોડાય છે. તે સિંધુની સૌથી મોટી નદી છે. 'સાયન્સ' નામના વિજ્ઞાન જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે જો દેશો પૂર્વ-ઔદ્યોગિક સ્તરથી તાપમાનમાં વધારો 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરી શકે છે, તો હિમાલય અને કાકેશસ પર્વતોમાં 40-45 ટકા ગ્લેશિયર બરફ સાચવી શકાશે. તેનાથી વિપરીત, જો આ સદીના અંત સુધીમાં વિશ્વ 2.7 ડિગ્રી સેલ્સિયસ ગરમ થાય છે, તો ગ્લેશિયર બરફનો માત્ર એક ચતુર્થાંશ ભાગ વૈશ્વિક સ્તરે ટકી શકશે.
આ પણ વાંચો: અંકિતા ભંડારીની હત્યાના ત્રણેય દોષિતોને જન્મટીપ, કોર્ટે 50-50 હજારનો દંડ ફટકાર્યો
સ્કેન્ડિનેવિયન પર્વતોનું ભવિષ્ય વધુ ભયાનક હોઈ શકે
અભ્યાસ અનુસાર, માનવ સમુદાયો માટે સૌથી મહત્ત્વપૂર્ણ ગ્લેશિયર પ્રદેશો, જેમ કે યુરોપિયન આલ્પ્સ, પશ્ચિમ અમેરિકા અને કેનેડાની પર્વતમાળાઓ અને આઇસલેન્ડ, ખાસ કરીને ખરાબ રીતે પ્રભાવિત થશે. 2 ડિગ્રી સેલ્સિયસ પર આ પ્રદેશો લગભગ બધો બરફ ગુમાવી શકે છે અને 2020ના સ્તરે ફક્ત 10-15 ટકા બરફ રહેશે. સ્કેન્ડિનેવિયન પર્વતોનું ભવિષ્ય વધુ ભયાનક હોઈ શકે છે, કારણ કે આ સ્તરના તાપમાને ગ્લેશિયર પર કોઈ બરફ બાકી રહેશે નહીં. અભ્યાસમાં ભાર મૂકવામાં આવ્યો છે કે, 2015ના પેરિસ કરાર દ્વારા નિર્ધારિત 1.5 ડિગ્રી સેલ્સિયસ લક્ષ્ય સુધી તાપમાન મર્યાદિત રાખવાથી તમામ પ્રદેશોમાં કેટલાક ગ્લેશિયર બરફને બચાવવામાં મદદ મળશે.