કેદારનાથ નજીક હેલિકોપ્ટર તૂટી પડયું એક ગુજરાતી સહિત સાત શ્રદ્ધાળુનાં મોત
- ધૂંધળા હવામાનના કારણે અકસ્માત સર્જાયાની શક્યતા
- મૃતકોમાં પાયલોટ ઉપરાંત મહારાષ્ટ્રના બે, ઉત્તર પ્રદેશના બે અને ઉત્તરાખંડના એક પ્રવાસીનો સમાવેશ
- 30 એપ્રિલથી શરૂ થયેલી ચારધામ યાત્રામાં આ પાંચમી હેલિકોપ્ટર હોનારત
મૃતકોમાં પાંચ શ્રદ્ધાળુઓ, એક પાયલોટ તથા બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિના એક કર્મચારીનો સમાવેશ થાય છે.
હેલિકોપ્ટરે સવારે ૫.૧૦ વાગ્યે ગુપ્તકાશીથી ઉડવાનું શરૂ કર્યુ હતું અને થોડાક જ સમયમાં આ હેલિકોપ્ટર તૂટી પડયું હતું. ગૌરીકુંડથી પાંચ કિમી ઉપર અકસ્માત સર્જાયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ હેલિકોપ્ટર આર્યન એવિએશન પ્રાઇવેટ લિમિટેડનું હતું અને આ હેલિકોપ્ટર કેદારઘાટીમાં ગૌરીકુંડ અને ત્રિજુગિનારાયણની વચ્ચે તૂટી પડયું હતું અને તેમાં આગ લાગી ગઇ હતી.
રાજવરના જણાવ્યા અનુસાર ખરાબ હવામાનને કારણે શૂન્ય દ્રશ્યતા થઇ જવાથી અકસ્માત સર્જાયો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બચાવ અને રાહત ટીમો તરત જ ઘટના સ્થળે જવા રવાના થઇ ગઇ હતી. મૃતકો મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના રહેવાસી હતાં. મૃતકોમાં મહારાષ્ટ્રના ૩૫ વર્ષીય રાજકુમાર જૈસવાલ, મહારાષ્ટ્રનો બે વર્ષનો કાશી, ગુજરાતના ૪૧ વર્ષીૂય રાજકુમાર સુરેશ જૈસવાલ, ઉત્તરાખંડના વિક્રમ સિંહ રાવત, ઉત્તર પ્રદેશના ૬૬ વર્ષના વિનોદ દેવી, ઉત્તર પ્રદેશના ૧૯ વર્ષીય તુશ્તી સિંહ અને પાયલોટ કેપ્ટન રાજવિર સિંહ ચૌહાનનો સમાવેશ થાય છે. મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ એક્સ પર જણાવ્યું છે કે સ્ટેટ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સ અને અન્ય એજન્સીઓ રાહત અને બચાવ કાર્યમાં વ્યસ્ત છે.
આ અગાઉ ૮ મેના રોજ ગંગોત્રી ધામ જતું હેલિકોપ્ટર ઉત્તરકાશી જિલ્લામાં તૂટી પડયું હતું જેમાં છ લોકોનાં મોત થયા હતાં.
ધામીએ તાજેતરમાં થયેલા હેલિકોપ્ટર અકસ્માતોની તપાસ કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે.
- બાળકી બે વર્ષની થતાં માનતા પૂરી કરવા કેદારનાથ ગયા હતા
મુંબઈ: અમદાવાદમાં તાજેતરમાં થયેલ વિમાન દુર્ઘટના વચ્ચે આજે કેદરનાથ ધામમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં પાયલટ સહિત સાતના મોત નિપજ્યા હતા. જો કે આ અકસ્માતમાં યવતમાળના વણી વિસ્તારના એક જ પરિવારના ત્રણ સભ્યોના પણ મોત નિપજ્યા હતા. જેમાં બે વર્ષીય બાળકીનો પણ સમાવેશ થાય છે.
આ અકસ્માતમાં ૪૨ વર્ષીય રાજકુમાર જયસ્વાલ, ૩૪ વર્ષીય શ્રદ્ધા જયસ્વાલ અને બે વર્ષીય બાળકી કાશીનું મોત નીપજ્યું હતું. રાજકુમારનો પરિવાર યવતમાળના વણીંનો રહેવાસી હતો અને વ્યવસાયે બિઝનેસમેન હતો. જયસ્વાલ પરિવાર તેમના અન્ય સંબંધીઓ સાથે ચારધામ યાત્રા પર ગયો હતો.
ઘટના મુજબ, આજે સવારે તમામ ભક્તો હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ જવા રવાના થયા હતા. જેમાં તમામ ભક્તો બે હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહ્યા હતા. જેમાં જયસ્વાલ પરિવાર ગુજરાત અને ઉત્તરપ્રદેશના કેટલાક ભક્તો આર્યન એવિએશન હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન રુદ્રપ્રયાગના ગૌરીકુંડમાં આજે સવારે ખરાબ હવામાન અને ગૌરીકુંડ- સોનપ્રયાગ જંગલમાં લો વિઝિબિલિટીના કારણે હેલિકોપ્ટર ભટકી ગયું હતું અને ક્રેશ થઈ ગયું હતું. આ અકસ્માતમાં પાયલટ સહિત સાત લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં. જેમાં બે વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે.
રાજકુમારની પહેલી પત્નીનું થોડા વર્ષો પહેલા જ અવસાન થયું હતું. તેથી તેણે બીજા લગ્ન કર્યા હતા. પહેલી પત્નીથી તેને એક પુત્ર પણ હતો. જો કે, રાજકુમારનો છ વર્ષીય પુત્ર વિવાન પંઢરકવડામાં તેના દાદા દાદી સાથે જ રહેતા તે બચી ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, જયસ્વાલ પરિવાર વણીમાં ધાર્મિક અને સામાજિક કાર્યમાં અગ્રેસર હતા. જેમાં ગયા વર્ષે પુત્રીના નામકરણના પ્રસંગે રાજકુમારે પંડિત પ્રદીપ શર્મા દ્વારા શિવ મહાપુરાણ કથાનું વણીમાં આયોજન કર્યું હતું. રાજકુમારની દિકરી બે વર્ષની થતા અને તેના નામકરણ બાદ માનતા હોવાથી પરિવાર ચાર ધામની યાત્રાએ ગયો હતો. જો કે, જયસ્વાલ પરિવારનું આ દુર્ઘટનામાં મોત નીપજતા વણી શહેરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
- આર્યન એવિએશન પ્રા. લિ.ની હેલિકોપ્ટર સેવા સસ્પેન્ડ કરાઇ
મુંબઇ: કેદારનાથની પાસે હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાને પગલે સરકારે તાત્કાલિક અસરથી આર્યન એવિએશન પ્રાઇવેટ લિમિટેડની સેવા સસ્પેન્ડ કરી દીધી છે. આ અગાઉ ઉત્તરાખંડ સરકારે ખરાબ હવામાનને પગલે ૧૫ અને ૧૬ જૂન એમ બે દિવસ માટે તેમામ હેલિકોપ્ટર સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી હતી. ક્રેશ થયેલ બેલ ૪૦૭ હેલિકોપ્ટર પ્રાઇવેટ કંપની આર્યન એવિએશન પ્રાઇવેટ લિમિટેડનું હતું. હેલિકોપ્ટર તૂટવાની સાથે જ તેમાં આગ લાગી ગઇ હતી અને તેમાં સવાર તમામ સાત લોકોનાં મોત થયા હતાં. આ સાત લોકોમાં પાંચ યાત્રીઓ, એક પાયલોટ અને એક બદરીનાથ કેદારનાથ મંદિર કમિટીના કર્મચારીનો સમાવેશ થાય છે. પાંચ યાત્રીઓમાં એક બે વર્ષનું બાળક પણ હતું.
- ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટનાની તપાસ એએઆઇબી કરશે
મુંબઇ : ઉત્તરાખંડમાં ગૌરીકુંડની પાસે હેલિકોપ્ટર તૂટવાની ઘટનાની તપાસ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટીગેશન બ્યુરો (એએઆઇબી) કરશે. આ ઘટનામાં એક બાળક સહિત સાત લોકોનાં મોત થયા છે. સિવિલ એવિએશન મંત્રાલયે જારી કરેલા નિવેદન અનુસાર આ અકસ્માતની તપાસ એએઆઇબી દ્વારા કરવામાં આવશે. સાવચેતીના પગલારૂપે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ ચાર ધામમાં હેલિકોપ્ટર યાત્રાની સંખ્યામાં ઘટાડો કર્યો છે. નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ડીજીસીએએ સર્વેલન્સમાં વધારો કર્યો છે.