VIDEO: 'સત્ય સામે આવે એટલા માટે આહુતિ આપી રહ્યો છું...', સ્યુસાઈડ કરનારા ASI સંદીપનો અંતિમ વીડિયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Cyber Cell ASI Sandeep Suicide Case : હરિયાણાના રોહતક જિલ્લામાં સોમવારે સાયબર સેલમાં તૈનાત ASI સંદીપ લાઠરે પોતાની સર્વિસ પિસ્તોલથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. મૃતક પાસેથી ત્રણ પાનાની સ્યુસાઈડ નોટ અને એક વિડિયો મેસેજ મળી આવ્યો છે, જેમાં સ્વર્ગસ્થ આઈપીએસ અધિકારી વાઈ.પૂરન પર ગંભીર આક્ષેપ કરાયા છે.

સ્યુસાઇડ નોટમાં IPS અધિકારી પર ગંભીર આક્ષેપ
સ્યુસાઇડ નોટમાં ASI સંદીપે લખ્યું છે કે, ‘આઈપીએસ અધિકારી પૂરન કુમાર ભ્રષ્ટાચારમાં લિપ્ત હતા, તેમના વિરુદ્ધ અનેક પુરાવા છે. તેમણે સિસ્ટમને જાતિવાદના સહારે હાઇજેક કરી રાખી હતી અને ઈમાનદાર અધિકારીઓને પરેશાન કરતા હતા. હું હંમેશા સત્યની સાથે ઉભો રહ્યો અને મને ઈમાનદાર લોકો પસંદ છે. મારા દાદા અને પરદાદા સેનામાં હતાં, જેઓ દેશ માટે ઉભા રહ્યા હતા.’
ડીજીપી શત્રુજીત કપૂરને ઈમાનદાર અને નીડર અધિકારી ગણાવ્યા
સંદીપે એમ પણ લખ્યું છે કે, તેમણે ધરપકડના ડરથી આ પગલું ભર્યું છે, પરંતુ તેઓ આત્મહત્યા પહેલા ન્યાયની અને તપાસની માંગ કરી રહ્યા છે. તેમણે વિનંતી કરી છે કે આ ભ્રષ્ટાચારી પરિવારને છોડવામાં ન આવે. આ ઉપરાંત તેમણે ડીજીપી શત્રુજીત કપૂરને ઈમાનદાર અને નીડર અધિકારી ગણાવ્યા છે.
ASI સંદીપ મહેનતુ અધિકારી હતા : SP બોહરિયા
મૃતકના સાથી કર્મચારીઓએ જણાવ્યું કે, સંદીપ ઘણા દિવસથી તણાવમાં હતો અને ઓફિસમાં પણ ઓછું બોલતો હતો. રોહતક પોલીસના એસપી સુરેન્દ્ર બોહરિયાએ જણાવ્યું કે, તેઓ ખૂબ જ મહેનતુ અધિકારી હતા અને આ સમયે કંઈ કહેવું મુશ્કેલ છે. પોલીસે હાલમાં શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું છે અને તપાસ શરૂ કરી દીધી છે. અધિકારીઓએ કહ્યું કે, સ્યુસાઈડ નોટ અને વિડિયોની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે અને આરોપોની સત્યતાની તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.









