'દહેજ વિરોધી કાયદાનો દુરુપયોગ ચિંતાજનક...' સુપ્રીમે પતિને આપી રાહત, અન્ય કોર્ટને આપી સલાહ
Supreme Court on Dowry Case | દહેજ ઉત્પીડનના એક કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા દોષી ઠેરવવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો હતો. આ સાથે જ સુપ્રીમ કોર્ટે દહેજ ઉત્પીડનના કાયદાના દુરુપયોગને લઇને પણ ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમના ન્યાયાધીશ સી. ટી. રવીકુમાર, ન્યાયાધીશ સંજય કુમારની બેંચ દ્વારા કોર્ટોને સલાહ અપાઇ છે કે દહેજ ઉત્પીડનના મામલામાં ખોટી હેરાનગતીથી નિર્દોષોનું રક્ષણ થવું જોઇએ સાથે જ વધુ સતર્કતાથી મામલાની સુનાવણી કરવી.
દહેજ ઉત્પીડનના મામલામાં એક વ્યક્તિને નિર્દોશ જાહેર કરતા સુપ્રીમની બેંચે કહ્યું હતું કે અમારુ માનવુ છે કે કોર્ટોએ આવા મામલામાં પુરી તપાસ કરવી જોઇએ, કેટલાક મામલાઓમાં જે આરોપો લગાવવામાં આવે છે તેના કોઇ પુરાવા પણ નથી મળતા.
2010માં પણ પ્રીતિ ગુપ્તા અને ઝારખંડ સરકારના મામલામાં પણ અમે આવુ જ કહ્યું હતું. તે સમયે સુપ્રીમે સરકારને કહ્યું હતું કે દહેજ ઉત્પીડનના કાયદામાં સુધારા કરવામાં આવે. આવુ એટલા માટે કેમ કે મહિલા દ્વારા લગાવવામાં આવતા આરોપોને કારણે પતિ ઉપરાંત તેના પરિવારે પણ સજા ભોગવવી પડે છે.
કલમ 498એ હેઠળ દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કરવામાં આવે છે. જો મહિલાનું તેના પતિ અથવા સાસરિયા દ્વારા દહેજ માટે ઉત્પીડન કરવામાં આવે ત્યારે આ કલમ હેઠળ ફરિયાદ દાખલ થતી હોય છે. તે સમયે પણ કોર્ટે કહ્યું હતું કે આ કાયદાનો દુરુપયોગ પણ થઇ રહ્યો છે. કોર્ટોમાં લાંબા સમયથી કેસો પેન્ડિંગ છે. સમાજમાં સદભાવ પણ બગડી રહ્યો છે. લોકોની ખુશિયો છિનવાઇ રહી છે. તેથી આ જ યોગ્ય સમય છે કે સંસદ કાયદામાં સુધારા કરવા અંગે વિચારે. સુપ્રીમ કોર્ટે 14 વર્ષ પહેલાના મામલાને યાદ કરીને કહ્યું કે આજે પણ તેવી જ સ્થિતિ છે. મોટા પ્રમાણમાં દહેજ ઉત્પીડનના મામલા સામે આવી રહ્યા છે. જેમાં કેટલાક કેસોમાં લગાવવામાં આવેલા આરોપો હકીકતથી દૂર હોય છે.