India

સંચાર સાથી એપ મામલે મોદી સરકાર બેફકૂટ પર, પ્રિ ઇન્સ્ટોલેશનનો આદેશ પાછો ખેંચ્યો

By GS TEAM
3 Dec 20252 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે તમામ નવા સ્માર્ટફોનમાં ફરજિયાત સાયબર સુરક્ષા માટેની સંચાર સાથી એપ પહેલેથી જ ઈન્સ્ટોલ કરવાનો આદેશ પરત ખેંચ્યો છે. આ આદેશ આવ્યા બાદથી જ યુઝર્સની પ્રાઈવસી મુદ્દે સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

સંચાર સાથી એપ મામલે મોદી સરકાર બેફકૂટ પર, પ્રિ ઇન્સ્ટોલેશનનો આદેશ પાછો ખેંચ્યો

Sanchar Saathi App Not Mandatory: કેન્દ્ર સરકારે તમામ નવા સ્માર્ટફોનમાં ફરજિયાત સાયબર સુરક્ષા માટેની સંચાર સાથી એપ પહેલેથી જ ઇન્સ્ટોલ કરવાનો આદેશ પરત ખેંચ્યો છે. આ આદેશ આવ્યા બાદથી જ યુઝર્સની પ્રાયવસી મુદ્દે સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો હતો. સરકારનો દાવો છે કે તમામ નાગરિકોની સાયબર સિક્યુરિટી માટે પ્રિ-ઇન્સ્ટોલેશનનો આદેશ આપવામાં આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં જ આ એપના યુઝર્સમાં 10 ગણો વધારો થયો છે અને 6 લાખ લોકોએ એપ ડાઉનલોડ કરી છે. જેથી હવે ફરજિયાતપણે એપ પહેલેથી જ ઇન્સ્ટોલ કરવાનો આદેશ પરત લઈએ છીએ. 


કાલે સ્પષ્ટતા અને આજે આદેશ જ પરત ખેંચ્યો 

નોંધનીય છે કે કેન્દ્ર સરકારે તમામ મોબાઈલ ફોન કંપનીઓને આદેશ આપ્યો હતો કે તમામ નવા સ્માર્ટફોનમાં પહેલેથી જ સંચાર સાથી એપ ઈન્સ્ટોલ કરીને આપવામાં આવે. જે બાદ એવા અહેવાલો પણ વહેતા થયા હતા કે યુઝર્સ તેમની ઈચ્છા અનુસાર આ એપ ડિલીટ પણ નહીં કરી શકે. વિપક્ષ દ્વારા સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જે બાદ સરકારે ગઇકાલે એવી સ્પષ્ટતા કરી હતી કે એપ રાખવી ફરજિયાત નથી, યુઝર્સ ઈચ્છે તો ડિલીટ કરી શકશે. જોકે આ સ્પષ્ટતાના 24 જ કલાકમાં હવે સરકારે નવો આદેશ આપી સમગ્ર મામલે યુટર્ન લીધો છે. 

મોબાઇલ ઉત્પાદક કંપનીઓને શું સૂચના અપાઈ હતી? 

સરકાર દ્વારા 28 નવેમ્બરના રોજ સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓએ નીચે મુજબની સૂચનાઓ અપાઈ હતી. 

- આગામી 90 દિવસમાં 'સંચાર સાથી' (Sanchar Saathi) એપ તમામ નવા મોબાઇલ ફોનમાં પ્રિ-ઇન્સ્ટોલ કરી દેવાની રહેશે.  

- જે મોબાઇલ ગ્રાહકો દ્વારા ખરીદીને ઉપયોગમાં છે, એ તમામમાં પણ કંપનીઓએ સોફ્ટવેર અપડેટ્સ દ્વારા આ એપ પહોંચાડી દેવાની રહેશે. 

સંચાર સાથી ઍપ્લિકેશનનું કામ શું છે?

- યુઝર પોતાના નામ પર કેટલા મોબાઇલ નંબર એક્ટિવેટ છે એ જાણી શકશે.

- મોબાઇલ ચોરી થઈ ગયો હોય તો એની રિપોર્ટ કરવાની સાથે એને બ્લોક પણ કરી શકશે.

- છેતરપિંડી કરનારી વેબસાઇટ લિંકને રિપોર્ટ કરી શકાશે.

- બૅંક અને અન્ય સર્વિસ સેન્ટરના નંબરને ચેક કરી શકાશે.

- સ્પેમ અને છેતરપિંડી વિશે સરળતાથી રિપોર્ટ કરી શકાશે.

- મોબાઇલ ઓરિજિનલ છે કે પછી ડુપ્લિકેટ એ ચેક કરી શકાશે.

- ભારતીય નંબર ડિસ્પ્લે પર દેખાય પરંતુ ઇન્ટરનેશનલ કોલ હોય તો એને રિપોર્ટ કરી શકાશે.

આ તમામ સુવિધાનો ઉપયોગ કરવા માટે હાલમાં વેબસાઇટ પર જવું પડી રહ્યું છે. જોકે એકવાર ઍપ્લિકેશન મોબાઇલમાં આવી જવાથી યુઝર એના પરથી તરત જ રિપોર્ટ કરી શકશે. આથી યુઝરને સરળતા રહેશે અને તેમણે પોતાના મોબાઇલને IMEI નંબર પણ યાદ રાખવો નહીં પડે.