ટામેટા બાદ ડુંગળી પણ સસ્તી આપશે સરકાર, કિંમત કરાઈ નક્કી, કાલથી શરૂ થશે વેચાણ
ડુંગળી પર મોંઘવારીના મારની આશંકાને પગલે સરકારે લીધો મોટો નિર્ણય : કાલથી NCCF દ્વારા સસ્તા ભાવે વેચશે ડુંગળી
ડુંગળીની કિંમતોને અંકુશમાં રાખવા અગાઉ સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટી લાદવાનો કર્યો હતો નિર્ણય
નવી દિલ્હી, તા.20 ઓગસ્ટ-2023, રવિવાર
સામાન્ય લોકોને મોંઘવારીમાં રાહત આપવા માટે સરકાર સતત પ્રયાસો કરી રહી છે. અગાઉ ટામેટાની કિંમત આસામાને પહોંચી ગઈ હતી, જોકે સરકારે હસ્તક્ષેપ કરતા કિંમતોમાં ખુબ જ ઘટાડો થયો હતો. હવે પ્રજાને સસ્તી કિંમતે ડુંગળી આપવા માટે સરકારે તૈયારીઓ કરી લીધી છે. સરકાર આવતીકાલથી ઓછી કિંમતની ડુંગળી ઉપલબ્ધ કરાવશે, જેની કિંમત પ્રતિકિલો રૂ.25 નક્કી કરવામાં આવી છે.
કાલથી ઓછી કિંમતે ડુંગળીનું વેચાણ શરૂ થશે
આવતીકાલથી ઓછી કિંમતે ડુંગળીનું વેચાણ શરૂ થશે. આ ડુંગળીનું વેચાણ સહકારી એજન્સી નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ એટલે કે NCCF દ્વારા કરવામાં આવશે.
સરકારે એક દિવસ પહેલા નિકાસ પર ડ્યુટી લાદી હતી
એક સરકારી જાહેરાતમાં જણાવાયું છે કે, એનસીસીએફ આવતીકાલથી 25 રૂપિયે કિલો સસ્તા ભાવે ડુંગળીનું વેચાણ કરશે. આ અગાઉના શનિવારે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવવાની જાણકારી આપી હતી. કેન્દ્ર સરકારે દેશમાંથી ડુંગળીની નિકાસ પર 40 ટકા ભારેભરખમ ડ્યુટી લગાવવાનો નિર્ણય કર્યો છે, જે 31 ડિયેમ્બર-2023 સુધી લાગુ રહેશે.
ડુંગળીમાં મોંઘવારી આશંકા દુર કરવા નિર્ણય
ઉલ્લેખનિય છે કે, દેશભરમાં ટામેટાની જેમ ડુંગળીની કિંમતો પણ વધવા અંગે વાતો વહેતી થઈ હતી, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીનું વેચાણ કરવાના નિર્ણયને લોકોની આશંકા દુર કરવા સાથે જોડવામાં આવી રહ્યું છે. એવું કહેવાતું હતું કે, ટામેટા બાદ ડુંગળીની કિંમતો પણ લોકોની મુસીબત વધારી શકે છે અને સપ્ટેમ્બરમાં ડુંગળીની કિંમતોમાં ધરખમ વધારો થઈ શકે છે. ત્યારે આગામી તહેવારોની સિઝન દરમિયાન લોકો મોંઘવારીનો સામનો ન કરે તે માટે સરકારે અગાઉથી જ તૈયારીઓ કરી લીધી હોય તેવું જોવા મળી રહ્યું છે અને સસ્તી કિંમતે ડુંગળી વેચવાનો નિર્ણય કર્યો છે.