લમ્પી વાયરસ અંગે કોંગ્રેસી નેતા કહે, સરકાર જાણીજોઈને ખેડૂતોને નુકસાન પહોંચાડવા ચિત્તા ભારતમાં લાવી
- 'ચિત્તાઓના શરીર પરના ધબ્બા અને ગાયોના શરીર પર વાયરસના કારણે જે ધબ્બા જોવા મળે છે તે એક સમાન'
મુંબઈ, તા. 04 ઓક્ટોબર 2022, મંગળવાર
મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ લમ્પી વાયરસ અંગે એક ખૂબ જ વિચિત્ર નિવેદન આપ્યું છે. કોંગ્રેસી નેતાના કહેવા પ્રમાણે નાઈજીરિયામાં ઘણાં લાંબા સમયથી લમ્પી વાયરસના કેસ જોવા મળે છે અને કેન્દ્ર સરકાર ત્યાંથી ચિત્તાઓને ઉઠાવી લાવી છે. સરકાર જાણીજોઈને ખેડૂતોને નુકસાન પહોંચાડવા માટે આ ચિત્તાઓને ભારતમાં લઈ આવી છે.
આ પણ વાંચોઃ ગૂડ ન્યૂઝ, નામિબિયાથી ભારત લવાયેલી એક માદા ચિત્તા ગર્ભવતી હોવાના સંકેત
નાના પટોલેએ જણાવ્યું હતું કે, આ જે લમ્પી વાયરસનો રોગ છે તે નાઈજીરિયાનો છે. ત્યાં અનેક વર્ષોથી લમ્પી વાયરસ હતો. આ જે ચિત્તાઓને ભારતમાં લાવવામાં આવ્યા છે તેમને નાઈજીરિયાથી લાવવામાં આવ્યા છે. ચિત્તાઓના શરીર પરના ધબ્બા અને ગાયોના શરીર પર વાયરસના કારણે જે ધબ્બા જોવા મળે છે તે એક સમાન છે. કેન્દ્ર સરાકરે જાણીજોઈને ખેડૂતોને નુકસાન પહોંચાડવા માટે આ પગલું ભર્યું છે.
ઉલ્લેખનીય છે કે, લમ્પી વાયરસના કેસ શરૂઆતમાં રાજસ્થાન અને ગુજરાતમાં નોંધાયા હતા. ત્યાર બાદ ધીમે-ધીમે આ બીમારી પંજાબ, યુપી, મધ્ય પ્રદેશ, હરિયાણા અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ફેલાઈ હતી. આ વાયરસના કારણે અનેક પશુઓનો ભોગ લેવાયો છે. આ વાયરસના પ્રકોપના કારણે સ્વસ્થ પશુઓને ગોટ પોક્સની વેક્સિન આપવામાં આવી રહી છે. ડોક્ટર્સના કહેવા પ્રમાણે લમ્પી વાયરસ પોક્સો વાયરસની માફક ફેલાય છે જે કીડા, માખી, મચ્છરના કારણે થાય છે.