છ વર્ષ માટે રૃ. ૨૫,૦૬૦ કરોડનાં ખર્ચે એક્સપોર્ટ પ્રમોશન મિશનને મંજૂરી
આ મિશનને કારણે દેશનાં નિકાસકારોને અમેરિકાએ લાદેલા ઉંચા ટેરિફનો સામનો કરવામાં મદદ મળશે
કેન્દ્રીય કેબિનેટનાં કેટલાક મહત્ત્વ નિર્ણયો
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૨
કેન્દ્ર સરકારે બુધવારે ચાલુ નાણાકીય વર્ષથી શરૃ કરીને છ
નાણાકીય વર્ષ માટે રૃ. ૨૫,૦૬૦ કરોડનાં
ખર્ચે એક્સપોર્ટ પ્રમોશન મિશનને મંજૂરી આપી છે. જે નિકાસકારોને અમેરિકા દ્વારા
લાદવામાં આવેલા ઉંચા ટેરિફનો સામનો કરવામાં મદદ કરશે.
આ મિશન બે પેટા યોજનાઓ નિર્યાત પ્રોત્સાહન (રૃ. ૧૦,૪૦૧ કરોડ) અને
નિર્યાત દિશા (રૃ. ૧૪,૬૫૯
કરોડ) દ્વારા અમલમાં મૂકવામાં આવશે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે
પત્રકારોને જણાવ્યું હતું કે આ એક ખૂબ જ વ્યાપક મિશન છે અને તે સંપૂર્ણ નિકાસ
ઇકોસિસ્ટમને ટેકો આપશે. આ મિશન હેઠળ ટેક્સટાઇલ, લેધર,
હીરા અને ઝવેરાત, એન્જિનિયરિંગ
વસ્તુઓ અને દરિયાઇ ઉત્પાદનો જેવા તાજેતરનાં વૈશ્વિક ટેરિફ વધારાથી અસરગ્રસ્ત
ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવશે.
આ પગલાથી સ્થાનિક નિકાસકારોને ભારતીય વસ્તુઓ પર અમેરિકા
દ્વારા લાદવામાં આવેલા ઉંચા ટેરિફથી બચાવવામાં મદદ મળશે. અમેરિકાએ ૨૭ ઓગસ્ટથી
ભારતીય વસ્તુઓ પર ૫૦ ટકા જેટલો ઉંચો ટેરિફ નાખ્યો છે.
અન્ય એક મહત્ત્વપૂર્ણ નિર્ણય હેઠળ કેન્દ્રીય કેબિનેટે
બુધવારે નિકાસકારો માટે ક્રેડિટ ગેરંટી સ્કીમ
ફોર એક્સપોર્ટ્સ (સીજીએસઇ)ને મંજૂરી આપી છે. આ યોજનાને કારણે નેશનલ ક્રેડિટ ગેરંટી
ટ્રસ્ટી કંપની લિમિટેડ (એનસીજીટીસી) દ્વારા સભ્ય ધિરાણ સંસ્થાઓ (એમએલઆઇ)ને ૧૦૦ ટકા
ક્રેડિટ ગેરંટી કવરેજ પૂરુ પાડશે. આ ઉપરાંત એમએસએમઇ સહિતનાં નિકાસકારોને રૃ. ૨૦,૦૦૦ કરોડ
સુધીની વધારાની ક્રેડિટ સુવિધાઓ પૂરી પાડશે.
આ ઉપરાંત કેન્દ્રીય કેબિનેટે સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા
માટે ગ્રેફાઇટ, સીઝિયમ, રુબિડિયમ અને
ઝિંકેનિયમ પર રોયલ્ટી દરોને તર્કસંગત બનાવવાને મંજૂરી આપી છે. આ ચાર મહત્ત્વપૂર્ણ
ખનિજ બ્લોક્સની હરાજી કરવામાં આવશે.

