India

આંખનાં દાનને વેગ આપવા સરકારે ટ્રાન્સપ્લાન્ટેશનનાં નિયમો હળવા કર્યા

By GS TEAM
11 Nov 20251 min read
આંખનાં દાનને વેગ આપવા સરકારે ટ્રાન્સપ્લાન્ટેશનનાં નિયમો હળવા કર્યા

ગ્રામીણ વિસ્તારોનાં નાના આંખ કેન્દ્રોને લાભ થશે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોર્નિયલ ટ્રાન્સપ્લાટેશન કેન્દ્રોમાં સાધનોની ફરજિયાત જરૂરિયાત દૂર કરી 

નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોર્નિયલ ટ્રાન્સપ્લાટેશન કેન્દ્રોમાં સાધનોની ફરજિયાત જરૂરિયાત દૂર કરી છે. જેના કારણે માળખાકીય પડકારો હળવા થશે. સરકારનાં આ નિર્ણયથી ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં આવેલા નાના આખ કેન્દ્રોને લાભ થશે.

સરકારનાં આ નિર્ણયથી દેશમાં કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન સેવાઓની એકંદર ઉપલબ્ધતા અને સુલભતામાં વધારો થશે. અંગ અને પેશીઓ ટ્રાન્સપ્લાન્ટેશન સેવાઓની સમાન પહોંચને પ્રોત્સાહન આપવાના સરકારના વિઝનને અનુરૂપ આરોગ્ય મંત્રાલયે માનવ અંગો અને પેશીઓ ટ્રાન્સપ્લાન્ટેશન (સુધારા) નિયમો ૨૦૨૫ રજૂ કર્યા છે.

સુધારેલા નિયમો ૬ નવેમ્બરના રોજ માનવ અંગો અને પેશીઓ ટ્રાન્સપ્લાન્ટેશન અધિનિયમ, ૧૯૯૪ હેઠળ રજૂ કરવામાં આવ્યા છે. 

નેશનલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ (એનઓટીપી)ને વધુ મજબૂત બનાવવા આ સુધારાનો હેતુ કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન કેન્દ્રોની કામગીરીને સુવ્યવસ્થિત કરવાનો અને સમગ્ર દેશમાં આંખનું દાન અને ટ્રાન્સપ્લાન્ટ સેવાઓની વ્યાપક સુલભતાને સરળ બનાવવાનો છે. 

કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન કેન્દ્રોમાં ક્લિનિકલ સ્પેક્યુલર સાધનોની ફરજિયાત જરૂરિયાત હવે આ સુધારા હેઠળ દૂર કરવામાં આવી છે. 

નિષ્ણાતોની ભલામણો અને હિસ્સેદારોની સલાહ સૂચનોની કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી આ ફેરફાર રજૂ કરવામાં આવ્યા છે.