Nimesulide Ban India: કેન્દ્ર સરકારે Nimesulide (પેઇન કિલર) દવા પર મોટો નિર્ણય લીધો છે. 100mgથી વધારે માત્રા વાળી Nimesulideની ગોળીઓના નિર્માણ, વેચાણ, અને વિતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવી દીધો છે. સરકારનું કહેવું છે કે આ દવા સ્વાસ્થ્ય માટે જોખમરૂપ છે. તેના સુરક્ષિત વિકલ્પો બજારમાં ઉપલબ્ધ છે. આ નિર્ણય ડ્રગ્સ અને કોસ્મેટિક્સ ઍક્ટ, 1940ની કલમ 26એ હેઠળ લેવામાં આવ્યો છે. સરકારે ટાંક્યું છે કે આ દવાનું વધારે માત્રામાં સેવન માણસોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
લીવર પર કરે છે અસર
આરોગ્ય મંત્રાલયના નોટિફિકેશન મુજબ, 100mgથી વધારે Nimesulide (પેઇન કિલર) દવા લોકો માટે ખતરારૂપ છે, આ એક નોન-સ્ટીરોઇડલ એન્ટી-ઈન્ફ્લેમેટરી દવા (NSAID) છે, જેની લીવર પર સંભવિત ઝેરી અસર અને અન્ય આડઅસરો અંગે દુનિયાભરમાં તપાસ થઈ રહી છે. સરકારે ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડની સલાહ લીધા બાદ આ નિર્ણય લીધો છે. આદેશ મુજબ, આ દવા પર પ્રતિબંધ સમગ્ર દેશમાં લાગુ પડશે. જો કે ઓછા ડોઝ વાળા ફોર્મ્યુલેશન અને અન્ય સુરક્ષિત વિકલ્પ બજારમાં મળી રહેશે.
'લોકોનું આરોગ્ય જોખમાવવું ન પડે'
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 100 mgથી વધારે Nimesulideના ઓરલ ફોર્મ્યુલેશન તરત જ રિલીઝ થતાં ડોઝના રૂપમાં હોય છે જે ખતરો ઊભો કરે છે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય પાછળનો ઉદ્દેશ્ય લોકોનું આરોગ્ય જોખમાય નહીં તે છે.
કેમ દુનિયાભરમાં થઈ રહી છે તપાસ
Nimesulide નામની આ દવા નોન-સ્ટીરોઇડલ એન્ટી-ઈન્ફ્લેમેટરી છે, જે લીવર પર અસર કરે છે, તેનો પ્રભાવ જાણવા હાલ દુનિયાભરમાં તપાસ ચાલી રહી છે. આ પગલું સુરક્ષા હેતુને ચકાસવા અને વધારે ખતરનાક દવાઓનો ધીરે ધીરે નાશ કરવા માટે છે.


