સરકારે 16મા નાણા પંચની જાહેરાત કરી, અરવિંદ પનગઢિયાને અધ્યક્ષ બનાવ્યા
16મા નાણા પંચને 31 ઓક્ટોબર-2025 સુધીમાં ભલામણો રજુ કરવા નિર્દેશ
15મા નાણા પંચની ભલામણો નાણાકીય વર્ષ 2025-26 સુધી લાગુ રહેશે
નવી દિલ્હી, તા.31 નવેમ્બર-2023, રવિવાર
Finance Commission : કેન્દ્ર સરકારે 16મા નાણા પંચની જાહેરાત કરી છે. નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયા (Arvind Panagariya)ને નાણા પંચના અધ્યક્ષ અને ઋત્વિક રંજનમ પાંડે (Ritvik Ranjanam Pandey)ને સચિવ બનાવાયા છે. પંચના અન્ય 2 સભ્યોના નામ પછી જાહેર કરાશે.
નાણા મંત્રાલયએ સત્તાવાર જાહેર કરી
નાણા મંત્રાલયે સત્તાવાર જાહેરાત મુજબ નાણા પંચના સભ્યોનો કાર્યકાળ 31 ઓક્ટોબર-2025 સુધીનો અથવા રિપોર્ટ રજુ કરવા સુધીનો રહેશે.
નવા નાણા પંચ પર કંઈ કંઈ જવાબદારી ?
કેન્દ્ર સરકાર દ્વારા નવરચિત 16મું નાણા પંચ સંઘ અને રાજ્યો વચ્ચે કર વહેંચણી, મહેસૂલ અનુદાન, રાજ્યના નાણા પંચની ભલામણો બાદ ત્યાંની પંચાયતો અને નગરપાલિકાઓમાં સંસાધનો પૂરા પાડવા અને રાજ્યનું ભંડોળ વધારવા માટે જરૂરી ઉપાયોમાં ભલામણ રજુ કરશે. 16મું નાણા પંચ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005 હેઠળ ફંડ વિતરણનો પણ નિર્ણય કરશે.
31 ઓક્ટોબર-2025 સુધીમાં ભલામણો રજુ કરવા નિર્દેશ
16મા નાણા પંચને નિર્દેશ કરાયો છે કે, તેઓ 31 ઓક્ટોબર-2025 સુધીમાં ભલામણો રજુ કરે, જેથી તેને એક એપ્રિલ-2026થી 5 વર્ષ સુધી લાગુ કરી શકાય. 27 નવેમ્બર-2017ના રોજ 15મા નાણા પંચની રચના કરાઈ હતી. 15મા નાણા પંચે પોતાના વચગાળાના અને અંતિમ રિપોર્ટમાં 1 એપ્રિલ-2020થી શરૂ થનારા 6 વર્ષના સમયગાળા માટેની ભલામણો રજુ કરી હતી. 15મા નાણા પંચની ભલામણો નાણાકીય વર્ષ 2025-26 સુધી લાગુ રહેશે.
નવા નાણા પંચની રચના કેમ કરાઈ ?
નાણા પંચની રચના દર 5 વર્ષ અથવા તે પહેલા કરવામાં આવે છે. જોકે 15મા નાણા પંચની ભલામણો 31 માર્ચ-2026 સુધી એટલે કે છ વર્ષના સમયગાળાને આવરી લે છે, તેથી નવા પંચની રચના કરાઈ છે. નાણા મંત્રાલયે 21 નવેમ્બર-2022માં 16મા નાણા પંચની એડવાન્સ સેલની રચના કરી હતી. જ્યા સુધી નવા પંચની ઔપચારિક જાહેરાત ન થાય ત્યાં સુધી પ્રારંભિક કામગીરી પર દેખરેખ રાખવા આ એડવાન્સ સેલની રચના કરાઈ હતી.