India

JEEના વિદ્યાર્થીઓ માટે ખુશખબર: જેમિનીની ફ્રી મોક ટેસ્ટ

By GS TEAM
17 Feb 20263 mins read
JEEના વિદ્યાર્થીઓ માટે ખુશખબર: જેમિનીની ફ્રી મોક ટેસ્ટ

- એક લાખ કરોડના કોચિંગ માર્કેટમાં ગૂગલનો પ્રવેશ

- ટયુશન માર્કેટમાં નવો યુગ: આઈઆઈટીની પ્રવેશ પરીક્ષા માટે લાખોની ફી ખર્ચતા વિદ્યાર્થીઓને રાહત 

- ગૂગલ ભારતમાં એઆઇ અભ્યાસનો વિસ્તાર કરવા 85 કરોડ ખર્ચશે

નવી દિલ્હી : ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ માટે આપવામાં આવતી જેઈઈ (જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ)ની તૈયારીઓમાં એઆઈનો પ્રવેશ થયો છે. હવેથી, ગૂગલના ચેટબોટ જેમિની પર વિદ્યાર્થીઓ મફતમાં મોક ટેસ્ટ આપી શકશે. મોક ટેસ્ટ માટે વિદ્યાર્થીઓ મોટી રકમ ખર્ચ કરતા હોય છે ત્યારે, ગૂગલ દ્વારા આ ટેસ્ટ ફ્રીમાં રાખવામાં આવી છે. આ નવા ફીચર સાથે જ વિશ્વના સર્ચ જાયન્ટ ગૂગલની રૂ. ૧ લાખ કરોડના કોચિંગ માર્કેટમાં એન્ટ્રી થઈ છે.   

ગૂગલ દ્વારા મોક ટેસ્ટને તાજેતરના અભ્યાસક્રમ મુજબ બનાવવામાં આવ્યા છે. આ સાથે જ તે સાચી પરીક્ષા જેવી જ મુશ્કેલ હોય છે. જાણીતી કોચિંગ કંપનીઓના પ્રશ્ન પત્રો અને અન્ય સામગ્રીઓના અભ્યાસ બાદ જ આ મોક ટેસ્ટ બનાવવામાં આવી છે. વિદ્યાર્થીઓને ટેસ્ટ બાદ નબળા અને મજબૂત વિષયો તથા  સ્ટડી પ્લાન સહિતની માહિતી આપવામાં આવે છે. આ માટે વિદ્યાર્થીઓએ ગૂગલ જેમિનાઇ પર કોઈપણ સબસ્ક્રિપ્શન વિના ફક્ત લોગ-ઈન કરવાનું રહેશે. 

ગૂગલ જેમિની સ્ટડી આસિસ્ટન્ટ તરીકે પણ કામ કરે છે. તે વિદ્યાર્થી માટે નોટ્સ અપલોડ કરવાની સાથે ક્વીઝ પણ બનાવી આપે છે. તે સ્ટડી ગાઈડ તૈયાર કરે છે અને વિદ્યાર્થીઓને ટૂંકમાં મહત્વના વિષયોની માહિતી આપે છે. ગૂગલ ભારતમાં એઆઈ અભ્યાસનો વિસ્તાર કરવા પાછળ રૂ. ૮૫ કરોડનો ખર્ચ કરવાનું છે. તે ૨૦૨૭ સુધીમાં ૭.૫ કરોડ વિદ્યાર્થીઓ અને ૧૮ લાખ શિક્ષકો સુધી પહોંચવા માંગે  છે. ગૂગલે અમેરિકામાં એસએટી એક્ઝામ મોક ટેસ્ટ શરૂ કર્યા છે. 

આઈઆઈટીના પૂર્વ વિદ્યાર્થી  રહેલા સુંદર પિચાઈએ કહ્યું કે, એઆઈ ટૂલ્સ તેમના સમયમાં આવી હોત તો તેમને મદદ મળી હોત. ઉલ્લેખનીય છે કે, ભારતના કોચિંગ માર્કેટમાં અનેક સંસ્થાઓ તેમના ઓફલાઈન પ્રોગ્રામ માટે રૂ. ૧ થી ૨ લાખની ફી વસૂલે છે. તેમની ટેસ્ટ સિરીઝની ફી રૂ. ૩,૮૦૦થી રૂ. ૫,૯૦૦ સુધીની હોય છે. ઘણી સંસ્થાઓ અનેક ઓફર્સ સાથે ડિસ્કાઉન્ટ પણ આપતી હોય છે. પરંતુ, વિદ્યાર્થીઓ પર આ મોક ટેસ્ટની સાથે અનેક નવી સ્કીમ ખરીદવાનું દબાણ રહેતું હોય છે.  

એચસીએલના પૂર્વ સીઇઓ વિનીત નાયરનો દાવો

એઆઈ યુગમાં નોકરીની ગેરંટી નહી મોટી કંપનીઓનું લક્ષ્ય વધુ નફો રહેશે

- ફોર્ડ, ફેસબૂક, એમેઝોન, સેલ્સફોર્સ, માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓમાં વ્હાઇટ કોલર જોબ્સ એઆઈ ખાઈ જશે

નવી દિલ્હી : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)નો વધતો પ્રભાવ ભારતીય આઇટી સેક્ટર માટે મોટી ચેતવણી લઈ આવ્યો છે. એચસીએલ ટેકના પૂર્વ સીઇઓ વિનીત નાયરે દિલ્હીમાં યોજાયેલી એઆઈ સમિટમાં જણાવ્યું હતું કે ભારતીય આઇટી કંપનીઓ રોજગાર વૃદ્ધિના બદલે નફો વધારવા પર ધ્યાન આપશે. એઆઈ સોફ્ટવેર ડેવલપમેન્ટ, ફેક્ટરી વર્ક, મ્યુઝિક અને ફિલ્મ ઉદ્યોગમાં મોટાપાયા પર પરિવર્તન લાવી શકે છે. 

આ સંજોગોમાં જો તમે આશા રાખતા હોવ કે મોટી આઇટી કંપનીઓ મોટાપાયા પર રોજગાર સર્જન કરશે તો તમે ભૂલ કરો છો. તેમના જણાવ્યા મુજબ એઆઈના યુગમાં રોજગાર વૃદ્ધિનું અસલી એન્જિન મોટાપાયા પર ચાલતા સ્ટાર્ટઅપ્સ બની શકે છે. સરકાર આ દિશામાં મોટાપાયા પર કામ કરી રહી છે. 

નાયરનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે એઆઈ આસિસ્ટન્ટ ટૂલ્સમાં ઝડપી પ્રગતિના કારણે દેશની આઉટસોર્સિંગ કંપનીઓના શેરોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. એઆઈ સ્પર્ધાના મામલામાં ભારત વૈશ્વિક સ્તરે ત્રીજા સ્થાને છે. તેનાથી આગળ અમેરિકા અને ચીન છે. આ રેન્કિંગ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ઇન્સ્ટિટયુટ ફોર હ્યુમન  સેન્ટર્ડ એઆઈ આંકડા પર આધારિત છે. એઆઈને લઈને સૌથી મોટી ચિંતા હોય તો એ છે કે તે વ્હાઇટ કોલર જોબ્સ ખતમ કરી દેશે. વિશ્વની ઘણી મોટી કંપનીઓ તે વતનો સંકેત આપી ચૂકી છે કે ટેકનાલોજીના લીધે આગામી સમયમાં કેટલીય કંપનીઓમાં વ્હાઇટ કોલર જોબ્સ ખતમ થઈ શકે છે. ફોર્ડ, ફેસબૂક, એમેઝોન, સેલ્સફોર્સ અને જેપી મોર્ગન જેવી કંપનીઓના સીઇઓ જાહેરમાં કહી ચૂક્યા છે કે ટેકનોલોજી અને ઓટોમેશનની વધતી માંગથી ઓફિસોમાં થતાં ઘણા કામકાજ ઓછા થઈ જશે. માઇક્રોસોફ્ટના એઆઈ પ્રમુખ મુસ્તફા સુલેમાને આવી જ ચેતવણી આપી છે કે આગામી બે વર્ષમાં તે ઘણી વ્હાઇટ કોલર નોકરીઓનું ઓટોમેશન કરી શકે છે.જો કે અહીં સૌથી શાંતિની વાત એ છે કે ફક્ત કમ્પ્યુટર પર થતી જ નોકરીઓનું ઓટોમેશન થશે.