ગિલગિટ-બાલ્ટિસ્તાનનું ભારતીય ટ્વિટર એકાઉન્ટ બન્યું : કલાકોમાં હજારો ફોલોઅર્સ
- પીઓકેના ટ્વીટર એકાઉન્ટના પ્રોફાઈલ પિક્ચરમાં સત્યમેવ જયતેની મુદ્રા
- ભારતે આતંકવાદી સંગઠનો સામે ઉગ્ર ઓપરેશન હાથ ધર્યું હોવાથી પાકિસ્તાને સરહદે 'મુઝાહિદ બટાલિયન' તૈનાત કરી
નવી દિલ્હી, તા. 12 મે 2020, મંગળવાર
ગિલગિટ-બાલ્ટિસ્તાનનું ભારતીય ટ્વિટર એકાઉન્ટ બન્યું હતું. એ સાથે જ કલાકોમાં હજારો ભારતીયોએ એ એકાઉન્ટને ફોલો કરવાનું શરૂ કર્યું હતું. પીઓકેના આ ટ્વિટર એકાઉન્ટના પ્રોફાઈલ પિક્ચરમાં સત્યમેવ જયતેની મુદ્રા છે. તો કવર પિક્ચરમાં તિરંગો છે.
ગિલગિટ-બાલ્ટિસ્તાનનું ભારતીય ટ્વિટર એકાઉન્ટ શરૂ થયું હતું. 'ગિલગિટ-બાલ્ટિસ્તાન, લદાખ (યુનિયન ટેરેટરી), ભારત' એવા નામથી ટ્વિટર એકાઉન્ટ બન્યું છે. એની વિગતમાં ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ ઓફ ગિલગિટ-બાલ્ટિસ્તાન, લદાખ, ઈન્ડિયા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે.
ટ્વિટર એકાઉન્ટ ખૂલ્યું કે તરત જ હજારો ફોલોઅર્સ થયા હતા. ટ્વિટર એકાઉન્ટ ૩૦૦ એકાઉન્ટને ફોલો કરે છે, જેમાં પીએમ મોદી ઉપરાંત પીએમઓ સહિતના પ્રોફાઈલ્સનો સમાવેશ થાય છે. ગિલગિટ-બાલ્ટિસ્તાન અને લદાખના વેધર રીપોર્ટના વિડીયોઝ પણ એમાં શેર થયા હતા.
દરમિયાન ભારતે આતંકવાદી સંગઠનો સામે શરૂ કરેલા આક્રમક ઓપરેશન પછી બેબાકળાં થયેલા પાકિસ્તાને સરહદે મુઝાહિદ બટાલિયનને તૈનાત કરી છે. મુઝાહિદ ફોર્સ પાકિસ્તાનની પેરા મિલિટરી ફોર્સ છે. એની રચના ૧૯૬૨માં થઈ હતી.
આ મુઝાહિદ ફોર્સની મદદથી પાકિસ્તાન લશ્કરે વધારે ફાયરિંગ કરે એવી શક્યતા છે. પાકિસ્તાન આ ફોર્સની મદદથી ઉરી, રાજોરી, પૂંચ, મેંઢર જેવા સેક્ટર્સમાં ફાયરિંગ કરીને આતંકવાદીઓને ઘૂસાડવાની કોશિશ વધારશે. પીઓકેના ચાર સ્થળોએ પાકિસ્તાને આ ફોર્સને તૈનાત કરી છે. જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોના લોંચ પેડ નજીક જ આ ફોર્સને તૈનાત રાખીનેપાકિસ્તાન સ્પષ્ટ રીતે આતંકવાદીઓને આર્મીનું કવચ આપે છે. આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવા માટે જ પાકિસ્તાન સરકારે આ ફોર્સને તૈનાત કરી છે. ગુપ્તચર એજન્સીઓના કહેવા પ્રમાણે પાકિસ્તાન આગામી દિવસોમાં સરહદે વધારે સક્રિય થઈને આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવશે.