હરિદ્વારમાં કાંવડ યાત્રા બાદ 30,000 મેટ્રિક ટન કચરાનો ઢગલો થયો, સફાઇમાં બેથી ત્રણ દિવસ લાગશે
હરિદ્વારમાં પ્લાસ્ટિક પર બૅન છતાં સૌથી વધુ કચરો તેનો જ જોવા મળી રહ્યો છે, તંત્રએ સફાઈ કામગીરી શરૂ કરી
આ વખતે ગંગાજળ લેવા માટે દેશભરમાંથી લગભગ 4 કરોડ 7 લાખ શ્રદ્ધાળુઓ હરિદ્વાર પહોંચ્યા હતા
image : Twitter / Wikipedia |
ગુરુ પૂર્ણિમાએ શરૂ થયેલી કાંવડ યાત્રા 15મી જુલાઈના રોજ પૂર્ણ થઈ છે. આ દરમિયાન ગંગાજળ લેવા માટે દેશભરમાંથી લગભગ 4 કરોડ 7 લાખ શ્રદ્ધાળુઓ હરિદ્વાર પહોંચ્યા હતા. આ કાંવડિયાઓ અહીંથી ગંગાનું પાણી લઈન નીકળી ચૂક્યા છે. પરંતુ તેમના પરત ફર્યા બાદ હરિદ્વારના ઘાટો પર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યાં છે.
સફાઈની જવાબદારી અધિકારીઓને સોંપાઈ
હરિદ્વારમાં ઘણી જગ્યાએ ફેલાયેલા કચરાને સાફ કરવાની જવાબદારી અધિકારીઓને સોંપવામાં આવી છે. મ્યુનિસિપલ અધિકારીઓએ જણાવ્યું હતું કે કચરાને સંપૂર્ણપણે સાફ કરવામાં હજુ બેથી ત્રણ દિવસનો સમય લાગી શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે હરિદ્વારમાં 30,000 મેટ્રિક ટન કચરો સાફ કરવાનો છે. તેમાં પોલીથીનનો મોટો જથ્થો છે.
રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં કચરો
કાંવડયાત્રા દરમિયાન દેશના ખૂણે-ખૂણેથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગા નદીમાંથી પવિત્ર જળ લેવા માટે હરિદ્વાર પહોંચ્યા હતા. જોકે હરિદ્વારના રસ્તાઓ અને ઘાટો, બજારો અને રાજમાર્ગો હવે કાંવડિયાઓ દ્વારા ફેંકવામાં આવેલા કચરોથી ભરાઈ ગયા છે. કચરા સાથે પોલીથીનના ઢગલા પણ જોવા મળી રહ્યા છે. જેના પર હરિદ્વારમાં સખત પ્રતિબંધ છે. રવિવારે હરિદ્વાર પોલીસે પણ વિષ્ણુ ઘાટની સફાઈની કામગીરી હાથ ધરી હતી.
પોલીસ પણ સફાઇકામમાં જોડાઈ
કાંવડ મેળા બાદ પોલીસની ટીમે ઘાટ અને આસપાસની ગંદકી અને કચરો દૂર કરવાની કામગીરી કરી હતી. તે જ સમયે, મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ ઘાટ અને હર કી પૈડી વિસ્તારમાંથી કચરો એકત્ર કરવાના દાવા કરી રહી છે. કોર્પોરેશનનું કહેવું છે કે કચરો એકઠો કરવામાં હજુ 2 થી 3 દિવસનો સમય લાગી શકે છે.