VIDEO : ગાંધીનગરથી કેદારનાથ જઈ રહેલા પાંચ મિત્રોનો યુપીમાં અકસ્માત, કાર ફ્લાયઓવર પરથી નીચે પડતાં ચારના મોત
Accident Icident In UP : યુપીના મુઝફ્ફરનગરમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ગાંધીનગરથી કેદારનાથ કારથી જઈ રહેલા 5 મિત્રને મુઝફ્ફરનગરના છાપર વિસ્તારના રામપુર તિરાહા નજીક અકસ્મતા નડ્યો હતો. ગમખ્વાર અકસ્માતની ઘટનામાં 4ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
યુપીમાં ગમખ્વાર અકસ્માતમાં ગાંધીનગરના 4ના મોત
મળતી માહિતી મુજબ, ગાંધીનગરથી ઉત્તરાખંડના કેદારનાથ ખાતે જઈ રહેલા મિત્રો યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માતનો ભોગ બન્યા હતા. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, કારની સ્પીડ લગભગ 100ની હશે. જ્યારે ગમખ્વાર અકસ્માતમાં કાર ફ્લાયઓવરની રેલિંગ તોડીને ખેતરમાં પડી હતી.
ગંભીર અકસ્માતની ઘટના છપર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સર્જાઈ હતી. હરિયાણાથી ઈનોવા કારમાં આવી રહેલા યુવકોને પાણીપત-ખાતિમા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માત સર્જાયો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, ફ્લાયઓવર પર એક વળાંક છે. જેમાં કારની વધુ સ્પીડ અને વળાંક હોવાના કારણે ડ્રાઈવર કારને કાબૂમાં કરી ન શકતા અકસ્માત સર્જાયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં જીગ્નેશ, કરણ, અમિત, વિપુલનો સમાવેશ થાય છે. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવક સરગાસણનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે પીડિત પરિવારોને જાણ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ઘટનાને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે.