1918માં ગાંધીજીના પુત્ર હરીલાલની પત્ની અને પૌત્રનું સ્પેનિશ ફલુથી મુત્યુ થયું હતું
એ સમયે સ્પેનિશ ફલુની મહામારીએ કોરોનાની જેમ હાહાકાર મચાવ્યો હતો
ગાંધીજી પણ બીમાર પડયા પરંતુ તેમને સ્પેનિશ ફલૂ નહી મરડો થયો હતો
અમદાવાદ,2 ઓકટોબર ,2020, શુક્રવાર
દુનિયામાં ૫ કરોડથી વધુ લોકોનો ભોગ લેનારી સ્પેનિશ ફલુની મહામારી વર્તમંાન કોરોના કરતા પણ ભયંકર હતી. આ ફલુએ વિશ્વને ૧૫ મહિના સુધી ઘમરોળ્યું હતું અને કુલ વસ્તીના ૩ થી ૫ ટકા લોકોના મોત થયા હતા. ભારતમાં કુલ ૧.૭૦ કરોડ લોકોનો ફલુએ ભોગ લીધો હતો જેમાં મહાત્મા ગાંધીના પુત્ર હરિલાલના પત્ની ગુલાબ અને મોટા પુત્ર શાંતિનો પણ સમાવેશ થતો હતો. દિકરાની વહુ ગુલાબ અને પૌત્રનું મોત થવાથી ગાંધીજીના પત્ની કસ્તુરબા પોતાના પૌત્ર અને પૌત્રીઓને લઇને આશ્રમ આવી ગયા હતા અને અહીંયા જ તેમનું પોષણ થયું હતું.
સ્પેનિશ ફલુની પરીવારમાં જયારે આપત્તી આવી પડી ત્યારે ગાંધીજી ગુજરાતના ખેડા જીલ્લાના એક ગામમાં હતા. ખેતી નિષ્ફળ જવાથી ખેડૂતોને ટેકસ નહી ભરવા સમજાવતા હતા. સત્યાગ્રહ લડત પુરી થયા પછી તેમને પેટની બીમારીથી દવાખાને જવું પડયું હતું. ગાંધીજી બીમાર પડયા ત્યારે તેમને અમદાવાદમાં મિરઝાપુર ખાતેના બંગલે લાવવામાં આવ્યા હતા. તેઓ કોઇ પણ પ્રકારની ટ્રીટમેન્ટ લેવાના સ્થાને કુદરતી ઉપચારોથી સાજા થયા હતા. તલવલકર નામના ડોકટરના નૂસખાઓ માનીને શરીર પર ઠડા પાણીના પોતા મુકવાની સલાહ માની હતી. તબીબોએ ગાંધીજીને દૂધ પીવાની સલાહ આપી પરંતુ તૈયાર ન હતા છેવટે કસ્તુરબાની સલાહથી બકરીનું દૂધ લેવા તૈયાર થયા હતા. સ્પેનિશ ફલુની મહામારી દરમિયાન ગાંધીજી પણ ગંભીર બીમાર થતા દિવસો સુધી પથારીવશ રહેવું પડયું હતું. જો કે ગાંધીજીના પ્રપોત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ એક લેખમાં ખુલાસો કર્યો છે કે ગાંધીજીને સ્પેનિશ ફલુ નહી પરંતુ મરડો થયો હતો. ગાંધીજીના ખાસ અનુયાયી અને સરહદના ગાંધી તરીકે ઓળખાતા ખાન અબ્દૂલ ગફ્ફારખાનના પુત્ર ગનીને સ્પેનિશ ફલુ થયો હતો. જો ગનીની માતા મેહરબેને પુત્ર સાજો થઇ જાય અને પોતે બીમાર થઇ જાય એવી ખુદાને પ્રાર્થના કરી હતી.બન્યું પણ એવું ગની સાજો થયો પરંતુ માતાનું બીમારીથી મુત્યું થયું હતું.
ગાંધીજીએ લખ્યું મારી મૂર્ખતાના કારણે રોગ થયો છે
૧૭ ઓગસ્ટના રોજ ગાંધીજીએ એન્ડરસન નામની વ્યકિતને પત્ર લખ્યો જેમાં હું અત્યારે પથારીમાં પડયો છુ અને જીવનની સૌથી મોટી બીમારી સુધી પસાર થઇ રહયો છું. આથી તમારા પત્રનો લાંબો જવાબ આપી શકતો નથી. બીજો પત્ર દક્ષિણ ભારત પ્રવાસે ગયેલા પોતાના પુત્ર દેવદાસને લખેલા પત્રમાં ગાંધીજીએ બીમારીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તે તબીયત સારી છે પરંતુ હજુ ખાટલામાં રહેવું પડશે ખૂબ દૂખ પડયું છે એમાં વાંક મારો જ છે. ગાંધીજીએ તેમના એક નજીકના સાથી મિત્રને પણ પત્ર લખ્યો જેમાં રોગ મારી મુર્ખતાના કારણે જ થયો છે એવું પ્રતિત કરું ત્યારે કષ્ટનો અનુભવ ઓછો થાય છે.