Get The App

VIDEO: ગાંધીજી એ 'રઘુપતિ રાઘવ રાજા રામ'ને રાષ્ટ્રગીત બનાવ્યું, મનરેગા અંગે સવાલ કરતાં સાંસદ કંગના રનૌતે બાફ્યું

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: ગાંધીજી એ 'રઘુપતિ રાઘવ રાજા રામ'ને રાષ્ટ્રગીત બનાવ્યું, મનરેગા અંગે સવાલ કરતાં સાંસદ કંગના રનૌતે બાફ્યું 1 - image


Kangana Ranaut controversial statement: કેન્દ્ર સરકારે મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ)ની જગ્યાએ વિકાસિત ભારત- રોજગાર અને આજીવિકા માટે ગેરંટી મિશન (VB-G RAM G) લાવવાનો પ્રસ્તાવ લોકસભા મૂકતાં આજે ભારે હંગામો થયો હતો. કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષોએ ભાજપ દ્વારા નામ બદલવાને ગાંધીજીનું અપમાન ગણાવીને ટીકા કરી હતી ત્યારે ભાજપ સાંસદ કંગના રનૌતે વિપક્ષી પાર્ટીના આરોપોનો જવાબ આપવામાં 'રઘુપતિ રાઘવ રાજા રામ' ને રાષ્ટ્રગીત કહી દેતા વિપક્ષના નેતાઓએ ટ્રોલ કરી છે.

ગાંધીજી અને રાષ્ટ્રગીત પર કંગના શું બોલી?

મહત્વનું છે કે ચર્ચા બાદ સંસદની બહાર મીડિયા દ્વારાCને સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં સાંસદએ કહ્યું હતું કે 'મનરેગાનું 'જી રામ જી'નું નામ બદલવાથી ગાંધીજીનું અપમાન કેવી રીતે થઈ શકે? મહાત્માજીએ શ્રી રામ, રઘુપતિ રાઘવ રાજા રામ વિશે રાષ્ટ્રગીત બનાવ્યું. આ સાથે તેમણે સમગ્ર દેશને એક કર્યો. તો, આ મહાત્મા ગાંધીજીનું અપમાન કેવી રીતે થઈ શકે? સરકાર ગાંધીજીનું જ સ્વપ્ન પૂર્ણ કરવા માટે રામના નામ પર રાખી રહી છે.'

કોંગ્રેસ નેતા બાદ લોકોએ કરી ટ્રોલ

કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે ટ્વિટ કરીને વીડિયો શેર કર્યો. તેમણે લખ્યું, "સારું, આજે આપણે નવું રાષ્ટ્રગીત પણ શોધી કાઢ્યું છે! ભાજપ મહાન વ્યક્તિઓથી ભરેલો છે." ટ્વિટર પર બીજા એક યુઝરે કટાક્ષમાં લખ્યું  છે કે 'કંગનાજી, તમે અમને કહેવાનું ભૂલી ગયા કે આ રાષ્ટ્રગીત બાપુએ 2014માં દેશને આઝાદી મળ્યા પછી રચ્યું હતું.' બીજા એક યુઝરે લખ્યું, 'તેઓ એવા લોકોને શોધે છે જેઓ વોટ્સએપ સંદેશાઓ ફોરવર્ડ કરતી વખતે પોતાના મગજનો ઉપયોગ કરતા નથી!'

યોજનાઓના નામ બદલવા પર પ્રિયંકા ગાંધીએ કરી ટીકા

બીજી તીરફ સંસદમાં મનરેગા(MGNREGA) કાયદાને નાબૂદ કરી તેની જગ્યાએ નવું બિલ લાવવા મુદ્દે ભારે હોબાળો મચ્યો છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ 'વિકસિત ભારત - ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન(ગ્રામીણ) - VB-GRAM G' બિલ, 2025નો સખત વિરોધ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે આ નવું બિલ રોજગારના કાયદાકીય અધિકારને નબળો પાડે છે અને સત્તાનું કેન્દ્રીકરણ કરે છે. પ્રિયંકા ગાંધીએ સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે, 'સરકારને દરેક યોજનાનું નામ બદલવાની જે સનક છે, તે સમજાતી નથી. જ્યારે પણ નામ બદલવામાં આવે છે, ત્યારે સરકારી તિજોરી પર મોટો ખર્ચ થાય છે. કોઈ પણ બિલ કોઈની અંગત મહત્ત્વાકાંક્ષા કે પૂર્વગ્રહના આધારે રજૂ ન થવું જોઈએ.' તેમણે આ બિલને પાછું ખેંચીને સ્થાયી સમિતિ પાસે મોકલવાની માંગ કરી છે.

મનરેગાના મૂળ અધિકારો પર જોખમ

કોંગ્રેસ સાંસદે નવા બિલની ખામીઓ ગણાવતાં ચિંતા વ્યક્ત કરી હતી કે, 'આ કાયદાથી રોજગારનો કાયદાકીય અધિકાર નબળો પડશે અને મનરેગામાં અત્યાર સુધી જે કામની પાકી ગેરંટી મળતી હતી, તે હવે જોખમમાં મૂકાશે, આ બિલ દ્વારા કેન્દ્ર સરકાર પોતાની જવાબદારીઓ ઓછી કરી રહી છે અને સત્તાનું નિયંત્રણ પોતાના હસ્તક વધારી રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે, અત્યાર સુધી મનરેગામાં કેન્દ્ર સરકાર 90% ગ્રાન્ટ આપતી હતી, પરંતુ નવા બિલની જોગવાઈ મુજબ હવે રાજ્યોએ 60% હિસ્સો ભોગવવો પડશે, જેના કારણે રાજ્યોની અર્થવ્યવસ્થા પર અસહ્ય બોજ વધશે.'

પંચાયતી રાજ અને બંધારણ વિરોધી વલણ

પ્રિયંકા ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, 'આ બિલ બંધારણના 73મા સુધારા(પંચાયતી રાજ)ની વિરુદ્ધ છે. મનરેગામાં ગ્રામસભાઓને પોતાની જરૂરિયાત મુજબ કામ નક્કી કરવાનો અધિકાર હતો, જે હવે છીનવાઈ રહ્યો છે. બંધારણની ભાવના છે કે સત્તા દરેક વ્યક્તિના હાથમાં હોવી જોઈએ, જે પંચાયતી રાજનો મૂળ મંત્ર છે, આ બિલ તેની વિરુદ્ધ છે.'

આ પણ વાંચો: ભારતના ખેડૂતોએ પરાળી સળગાવવા નાસાના સેટેલાઇટથી બચવાનો જુગાડ શોધી કાઢ્યો, અભ્યાસમાં ખુલાસો

સૌથી ગરીબ મજૂરો માટે ક્રાંતિકારી હતું મનરેગા

છેલ્લા 20 વર્ષના ઇતિહાસને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે મનરેગા ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં સફળ રહ્યું છે. જ્યારે આપણે ક્ષેત્રમાં જઈએ છીએ ત્યારે મનરેગા મજૂર દૂરથી ઓળખાઈ જાય છે. તેના ચહેરા પર કરચલીઓ અને હાથ પથ્થર જેવા કઠણ હોય છે કારણ કે તે સખત મજૂરી કરે છે. આ કાયદો માંગ આધારિત હતો, જે ગરીબોને 100 દિવસના રોજગારની ખાતરી આપતો હતો. વિપક્ષના આ વિરોધ વચ્ચે શું સરકાર આ બિલમાં કોઈ ફેરફાર કરશે કે તેને બહુમતીના જોરે પસાર કરશે, તે જોવું મહત્ત્વનું રહેશે.