India

મણિપુરમાં નવેસરથી હિંસા ભડકી, અનેક ઘરો સળગાવાયા

By GS TEAM
10 Feb 20262 mins read
મણિપુરમાં નવેસરથી હિંસા ભડકી, અનેક ઘરો સળગાવાયા

- શાંતિ પ્રયાસો ચાલુ હોવા છતાં તોફાન ફરી શરૂ થયા

- ગેરસમજણને કારણે હિંસા ભડકી હોવાની માન્યતા, કુકી અને નાગા સમુદાયને શાંતિ જાળવવા અપીલ કરાઈ

ઈમ્ફાલ : મણિપુરના ઉખરુલ જિલ્લામાં સોમવારે નવેસરથી હિંસા ભડકી ઉઠી હતી જેમાં લિટાન સારીખોન્ગ ગામમાં સશસ્ત્ર તોફાનીઓએ અનેક ઘરોને આગ લગાડી દીધી હતી. સશસ્ત્ર જૂથો દ્વારા હવામાં ગોળીબાર કરાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને રહેવાસીઓ પડોશના કાંગપોકપી જિલ્લાના સુરક્ષિત વિસ્તારોમાં નાસી ગયા હતા. તાંગખુલ નાગા સમુદાયના અનેક ગામવાસીઓ વિસ્થાપિત થયા હતા અને તણાવમાં તીવ્ર વધારો થયો હતો.

હિંસાના મૂળ હતા શનિવાર રાતની ઘટનામાં જેમાં તાંગખુલ નાગા સમુદાયના એક સભ્યને લિટાન ગામના કેટલાક લોકોના એક જૂથે હુમલો કર્યો હોવાનું કહેવાય છે. શરૂઆતમાં આ સમસ્યા ગામ પ્રશાસનને સામેલ કરતા પારસ્પરિક કરાર દ્વારા ઉકેલાઈ ગઈ હોવાનું માનવામાં આવતું હતું પણ પ્રસ્તાવિત ઔપચારિક બેઠક ન થઈ શકી. તેના સ્થાને નજીકના વિસ્તારના ગામવાસીઓએ ચીફના રહેણાંક પર હુમલો કર્યો જેના કારણે તોફાન વધુ વકર્યા.રવિવારે રાત્રે તોફાનો વધી ગયા જ્યારે બે જાતિઓ વચ્ચે પથરાવ ચાલુ થયો જેના કારણે પ્રશાસને પ્રતિબંધક આદેશો લાગુ કરવા પડયા. મધરાત્રે તાંગખુલ નાગા સમુદાયના અનેક ઘરો કુકી લડાયકોએ સળગાવી દીધા હોવાનું કહેવાય છે. ઉપરાંત નજીકના કેટલાક કુકી ઘરોને પણ આગ લગાડવામાં આવી હતી. રાજ્યના અધિકારીઓના જણાવ્યા અનુસાર સોમવારે વહેલી સવાર સુધીમાં ઓછામાં ઓછા ૨૧ ઘરોને સળગાવી દેવાયા હતા.

રાજ્યના નેતાઓ અને સુરક્ષા બળોએ તાત્કાલિક પરિસ્થિતિ સંભાળી લીધી હતી. ડેપ્યુટી મુખ્ય મંત્રી એલ દિખોએ વિસ્તારની મુલાકાત લીધી અને તાંગખુલ તેમજ કુકી પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરીને શાંતિ જાળવવા પર ભાર મુક્યો. વધારાના સુરક્ષા બળો તૈનાત કરવામાં આવ્યા જ્યારે મુખ્ય મંત્રી વાય ખેમચંદ સિંઘએ સંયમની અપીલ કરી અને જણાવ્યું કે આ ઘટના ગેરસમજણમાંથી ઉદ્ભવી હતી અને સ્થિતિ સામાન્ય બનાવવા પ્રયાસો કરાઈ રહ્યા છે.