Chandigarh Mayor News : ચંદીગઢ મહાનગરપાલિકામાં ગુરુવારે મેયર, સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગત વર્ષે થયેલા વિવાદોને ટાળવા માટે, પીઠાસીન અધિકારી રમનીક સિંહ બેદીની દેખરેખ હેઠળ 1996 પછી પ્રથમ વખત બેલેટ પેપરને બદલે હાથ ઊંચો કરી અને મૌખિક જાહેરાત દ્વારા મતદાન કરવાની પદ્ધતિ અપનાવવામાં આવી હતી. આ પ્રક્રિયામાં ભાજપના ઉમેદવાર સૌરવ જોશીને 18 મત મળ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટી(AAP)ના યોગેશ ઢીંગરાને 11 અને કોંગ્રેસના ગુરપ્રીત સિંહ ગબ્બીને માત્ર 7 મત મળ્યા હતા. જોકે ગઠબંધન ન કરવાને કારણે આપ અને કોંગ્રેસને આ ભૂલ ભારે પડી ગઈ અને ભાજપ આસાનીથી જીતી ગયું.
બહુમતીનો આંકડો અને જીતનું ગણિત
ચંદીગઢમાં મેયર પદ જીતવા માટે જાદુઈ આંકડો 19 મતોનો હતો. જોકે, આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષોએ કોઈ પણ પ્રકારના ગઠબંધન વિના સ્વતંત્ર રીતે ચૂંટણી લડી હતી. ત્રિપાંખિયા જંગમાં કોઈ પણ ઉમેદવાર 19 મતના આંકડા સુધી પહોંચી શક્યો ન હતો, પરંતુ સૌથી વધુ 18 મત મેળવવાના આધારે સૌરવ જોશીને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
પારદર્શિતા માટે કડક અમલીકરણ
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પારદર્શિતા જાળવી રાખવા માટે પીઠાસીન અધિકારી દ્વારા કડક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) લાગુ કરવામાં આવી હતી. દરેક કાઉન્સિલરે પોતાનો મત આપ્યા બાદ સંબંધિત દસ્તાવેજો પર હસ્તાક્ષર પણ કર્યા હતા જેથી ગત વખતની જેમ કોઈ ગેરરીતિની શક્યતા ન રહે. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ પણ ગૃહમાં હાજર રહીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
વિપક્ષોની અલગ રણનીતિ ભાજપને ફળી
ગયા વર્ષે આપ અને કોંગ્રેસે સાથે મળીને ભાજપને ટક્કર આપી હતી, પરંતુ આ વર્ષે બંને પક્ષો અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા. કોંગ્રેસને મળેલા 7 મતોમાં 6 કાઉન્સિલરો અને એક સાંસદ મનીષ તિવારીનો મત સામેલ હતો. વિપક્ષી મતોના વિભાજનને કારણે ભાજપને બહુમતીના આંકડા કરતાં એક મત ઓછો હોવા છતાં સરળતાથી વિજય પ્રાપ્ત થયો છે.


