Taj Mahal Fire: ઉત્તર પ્રદેશના આગ્રામાં વિશ્વપ્રસિદ્ધ તાજમહલના દક્ષિણ બાજુના દરવાજા પર અચાનક ધુમાડો ફેલાવાથી અફરા-તફરીનો માહૉલ સર્જાયો હતો. તાજમહેલના દક્ષિણ બાજુના ગેટના વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગના તણખા ઉડ્યા, જોત-જોતામાં તો ચારે બાજુએ ધુમાડો ફેલાઈ ગયો. જો કે તે સમયે સ્થળ પર હાજર કર્મચારીઓએ તરત જ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના અધિકારીઓ અને ટોરેન્ટ પાવરને જાણ કરી હતી. પાવર સપ્લાય બંધ કરવામાં આવ્યો.
તાજમહેલના કેમ્પસમાં આગની સૂચના મળતા જ ટોરેન્ટો પાવરની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી પાવર સપ્લાય બંધ કરી અંદાજે બે કલાકમાં ખામી દૂર કરી આગ પર કાબૂ મેળવ્યો. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઇ જાન હાની થઈ નથી.
ASI સુપરિટેન્ડન્ટ સ્મિતા એસ.કુમારએ માહિતી આપી હતી કે તાજમહેલના દક્ષિણ બાજુના દરવાજા પર આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી.આ જ લાઇનથી તાજમહલને પણ વીજ પુરવઠો થાય છે. આગની ઘટના દરમિયાન વીજ પુરવઠો ખોરવાયો હતો, પરંતુ તાજમહલમાં UPS મારફતે તરત જ વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો હતો. આગની ઘટનાથી તાજમહલની સુરક્ષા અથવા કોઈ વ્યવસ્થાએ કોઈ અસર પડી નથી.ટોરેન્ટ પાવરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ અને ખામી દૂર કરી દીધી. કોઈ મોટો મુદ્દો નહોતો. ઈમારત અને સમગ્ર પરિસર સંપૂર્ણ સુરક્ષિત છે.
નોંધનીય છે કે તાજમહલનો દક્ષિણ બાજુનો દરવાજો વર્ષ 2018થી પ્રવાસીઓ માટે બંધ છે. સુરક્ષાના કારણોસર આ દ્વારથી પ્રવાસીઓનો પ્રવેશ પ્રતિબંધિત છે. આ જ દક્ષિણ દ્વાર પર રવિવારે સવારે અચાનક ધુમાડો ઉઠતા હડકંપ મચી ગયો હતો. શોર્ટ સર્કિટના કારણે આ આગની ઘટના બની હતી. હાલ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.


