દિલ્હીમાં ફલેટમાં આગ : બે બાળકો સહિત એક જ પરિવારના ત્રણના મોત
આગથી બચવા યશ યાદવ, તેમની દીકરી અને ભત્રીજો આઠમા માળની બાલ્કનીમાંથી કૂદી પડતાં મોતને ભેટયા
નવી દિલ્હી: દિલ્હીના દ્વારકા વિસ્તારમાં મંગળવાર સવારે એક ફલેટના આઠમા અને નવમા માળે લાગેલા આગથી બચવા માટે એક પુરુષ અને બે બાળકો બિલ્ડિંગમાંથી કૂદી પડતા ત્રણેયનાં મોત થયા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર બે બાળકો (૧૦ થી ૧૨ વર્ષ વર્ષની ઉંમરનો છોકરો અને છોકરી) પોતાને બચાવવા માટે આઠમા માળની બાલ્કનીમાંથી કૂદી ગયા હતાં. ઘાયલ અવસ્થામાં તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતાં જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં.
ત્યારબાદ ૩૫ વર્ષીય યશ યાદવ પણ આ જ બાલ્કનીમાંથી કૂદી પડયા હતાં. તેમને આઇજીઆઇ હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતાં.
બિલ્ડિંગના આઠમા માળે આવેલા મંદિરમાં આગ લાગી હતી જે પીવીસી પેનલને કારણે સમગ્ર ફલોરમાં ફેલાઇ ગઇ હતી. મૃતકોની ઓળખ ૩૫ વર્ષીય યશ યાદવ અને તેમની ૧૨ વર્ષની છોકરી તથા તેમના ૧૧ વર્ષના ભત્રીજા તરીકે કરવામાં આવી છે.
અધિકારીના જણાવ્યા અનુસાર આ પરિવાર બિલ્ડિંગના ટોચના બે માળ પર રહેતો હતો. જ્યારે આગ લાગી ત્યારે આ પરિવાર સીડીઓથી નવમા માળે જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જો કે તેમના બે નાના બાળકો પાછળ રહી ગયા હતાં. યશ તેમને બચાવવા પાછા ફર્યા હતાં. જો કે ત્યાં સુધીમાં આગ ફેલાઇ ગઇ હતી.
બાળકોને આકાશ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. યશના પત્ની અને પુત્ર પણ ઘાયલ થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દિલ્હી ફાયર વિભાગને સવારે ૧૦.૦૧ કલાકે આગની જાણ કરવામાં આવી હતી.