અમેરિકા-યુરોપ સાથે ડીલ થશે તો ભારતના 172 લાખ કરોડના નિકાસનું લક્ષ્ય પૂરું થશેઃ સીતારમણ
India Hopes To Conclude Deal For FTA With USA And EU: નાણામંત્રી નિર્મલા સીતારમણે અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) પર થઈ રહેલી ચર્ચાઓ સકારાત્મક રૂપે આગળ વધી રહી હોવાનું જણાવ્યું છે. તેમજ ટૂંકસમયમાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે તેમ પણ જણાવ્યું છે. જો અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથે આ ડીલ થઈ તો ભારતને 2030 સુધી 2 લાખ કરોડ ડોલર અર્થાત રૂ. 172 લાખ કરોડનો નિકાસ લક્ષ્યાંક હાંસલ કરવામાં મદદ મળશે. આ ડીલ માટે ભારત તરફથી તમામ સંભવિત પ્રયાસ થઈ રહ્યા હોવાનું નાણામંત્રીએ જણાવ્યું છે.
નાણામંત્રીએ જણાવ્યું હતું કે, ભારતે પહેલાંથી જ યુએઈ, ઓસ્ટ્રેલિયા સહિત ચાર દેશો સાથે EFTA (યુરોપિયન ફ્રી ટ્રેડ યુનિયન) બ્લૉક સાથે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યો છે. બ્રિટન સાથે આ મુદ્દે ચર્ચાઓ પૂરી થઈ છે. અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથે વાતચીત થઈ રહી છે. જેને ટૂંકસમયમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. જેનો લાભ ભારત, યુરોપ, અને અમેરિકાને મળશે.
મુક્ત વેપાર પર વધુ ફોકસ
નાણામંત્રીએ EXIM બેન્ક દ્વારા આયોજિત એક સંમેલનમાં આ અંગે જણાવ્યું હતું કે, હવે મોટાભાગના લોકો મુક્ત વેપાર કરાર પર ભાર મૂકી રહ્યા છે. 2024-25માં ગુડ્સ એન્ડ સર્વિસિઝની કુલ નિકાસ 825 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી હતી. જે 2023-24ની તુલનાએ 6 ટકા વધુ છે. ભારત વિવિધ દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવા ચર્ચાઓ કરી રહ્યું છે. યુએઈ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, મોરિશિયસ, સાઉથ કોરિયા, જાપાન સહિતના દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ધરાવે છે.
ભારતની નિકાસ વેગવાન
વૈશ્વિક નિકાસમાં માત્ર 4 ટકા ગ્રોથ જોવા મળ્યો છે. જ્યારે વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની નિકાસ 6.3 ટકાના દરે વધી છે. નાણા મંત્રીએ નિકાસકારોને સંભવિત તમામ મદદ કરવાનું વચન આપતાં ઈનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે. તેમજ પ્રોડક્ટ્સ માટે નવા બજારની તકો શોધવા પણ કહ્યું છે.
વિશ્વ માટે આશાનું કિરણ ભારત
નાણા સચિવ એમ. નાગરાજુએ જણાવ્યું હતું કે, વૈશ્વિક અર્થવ્યવસ્થા જિઓ-પોલિટિકલ પડકારોનો સામનો કરી રહ્યું હોવા છતાં ભારતમાં આર્થિક ગ્રોથની સંભાવનાઓ જોવા મળી છે. વિશ્વમાં ભારત પ્રત્યે આશાનું કિરણ જોવા મળ્યું છે. વિવિધ રેટિંગ એજન્સીઓએ ભારતનો ચાલુ નાણાકીય વર્ષ માટેનો જીડીપી ગ્રોથ અંદાજ વધાર્યો છે.
આ સેક્ટર્સમાં તેજી
મેડિકલ, ડાયમંડ અને જ્વેલરી સેક્ટરમાં નિકાસ સતત વધી રહી છે. જેમાં નાણા મંત્રાલય નીતિ, યોજનાઓ અને નાણાકીય સહાયતાના માધ્યમથી સમર્થન આપવા પ્રતિબદ્ધ હોવાનું જણાવતાં નિર્મલા સીતારમણે આગળ કહ્યું કે, અમારી નાણાકીય પ્રણાલીઓ પર્યાપ્ત મૂડી અને ઓછી એનપીએ સાથે મજબૂત બની રહી છે. જેનાથી ભારતની નાણાકીય જરૂરિયાતોને મજબૂત સમર્થન મળ્યું છે.