નવી દિલ્હી,૨૩ એપ્રિલ,૨૦૨૬,ગુરુવાર
ઇરાન યુધ્ધના પગલે ભારતમાં કૃષિ ખાતરનું સંકટ ઉભું થઇ શકે છે પ્રાપ્ત માહિતી અનુસાર ભારત ૨૫ લાખ મેટ્રિક ટન યુરિયાની આયાત કરી રહયું છે. જો કે આના માટે પહેલાની સરખામણીમાં બમણો ભાવ ચુકવવો પડશે આથી ખાતરોની કિંમતમાં વધારો તોળાઇ રહયો છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે નામ નહી આપવાની શરતે એક સરકારી સૂત્રને ટાંકીને જણાવ્યું હતું કે ઇન્ડિયન પોટાશ લિમિટેડ ૯૩૫ ડોલર પ્રતિ ટનની કિંમતે ૧૫ લાખ ટન અને ૯૫૯ યૂરો પ્રતિ ટનના દરથી ૧૦ લાખ મેટ્રિક ટન યૂરિયા ખરીદવા પર સંમતિ મળી છે.
આ સંભવિત યૂરિયા ખરીદીમાંથી ૧૫ લાખ ટન યૂરિયા ડિલીવરી પશ્ચિમ તટ અને ૧૦ લાખ ટન યૂરિયાની ડિલીવરી પૂર્વી કાંઠે થશે. ભારત વિશ્વમાં યુરિયાનો સૌથી મોટો આયાતકાર દેશ છે. એપ્રિલ મહિનામાં જ ૨૫ લાખ ટન યુરિયા ખરીદવા માટેનું ટેન્ડર બહાર પાડયું હતું જેમાં નીચેની બોલી ૯૩૫ ડોલર પ્રતિ ટન અને ઉંચી ૧૧૩૬ ડોલર પ્રતિ ટન હતી. આ પહેલા રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ યૂરિયા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જેમાં ૫૦૮ ડોલર પ્રતિ ટન અને પૂર્વી તટ માટે ૫૧૨ ડોલર પ્રતિ ટન બોલી પ્રાપ્ત થઇ હતી.
આ ટેન્ડર વર્તમાન ટેન્ડરનો ભાવ અડધો ઓછો હતો. આનો મતલબ કે ભારતે હવે યૂરિયા ખરીદવા માટે પહેલાની સરખામણીમાં બમણા ભાવ ચુકવવા પડશે. નિષ્ણાતોનું માનવું છે કે ભારતની આ યૂરિયા ખાતર ખરીદીથી વૈશ્વિક આપૂર્તિ પર અસર થશે. કિંમતમાં પણ વધારો થઇ શકે છે. ભારતે તો પોતાની યૂરિયા ખાતર જરુરિયાતો પુરી કરી લીધી પરંતુ બીજા ખાતર ખરીદારો પર ભય તોળાઇ રહયો છે કારણ કે ઉત્પાદક પહેલાથી જ ભારતને ખાતરનું શિપમેન્ટ મોકલવાનું કમિટમેન્ટ આપી ચૂકયા છે.


