Get The App

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા, કોઇ પણ પ્રકારની ઇમરજન્સી માટે મોકડ્રીલનો આદેશ

સંભવિત હુમલા સમયે વીજળી અને અન્ય સંચાર વ્યવસ્થા બંધ કરવામાં આવશે

નાગરિકોને મહત્વપૂર્ણ સુરક્ષા ઉપાયો અંગે પ્રશિક્ષિત કરવામાં આવશે.

Updated: May 5th, 2025

GS TEAM

Google News
Google News
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા, કોઇ પણ પ્રકારની ઇમરજન્સી માટે મોકડ્રીલનો આદેશ 1 - image

નવી દિલ્હી,૫ મે,૨૦૨૫,સોમવાર 

પહલગામમાં અત્યંત ક્રુર આતંકી હુમલા પછી ભારતમાં ગુસ્સો જોવા મળે છે ત્યારે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારીઓ થઇ રહી હોવાની હિલચાલ તેજ બની છે. ગૃહ મંત્રાલય દ્વારા અનેક રાજયોને ૭ મે ના રોજ નાગરિક સુરક્ષા અસરકારક બનાવવા માટે મોક ડ્રિલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ગૃહ મંત્રાલયના નિર્દેશો અનુસાર આ અભ્યાસમાં હવાઇ હુમલાના એલર્ટ સમયે સાયરન વગાડવાની પ્રક્રિયાનો પણ સમાવેશ થાય છે. ગૃહ મંત્રાલયે ૭ મે ના રોજ સિવિલ ડિફેન્સ સાથે જોડાયેલી મોક ડ્રિલનો કેટલાક રાજયોને આદેશ અપાયો છે. આ મોકડ્રિલમાં નાગરિકોને મહત્વપૂર્ણ સુરક્ષા ઉપાયો અંગે પ્રશિક્ષિત કરવામાં આવશે.ગૃહ મંત્રાલયના નિર્દેશો અનુસાર અભ્યાસમાં સંભવિત હવાઇ હુમલા દરમિયાન સાયરન વગાડવાની પ્રક્રિયા પર ભાર મુકવામાં આવશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા, કોઇ પણ પ્રકારની ઇમરજન્સી માટે મોકડ્રીલનો આદેશ 2 - image

આ ઉપરાંત નાગરિકો,વિધાર્થીઓ અને અન્ય સમુહોને હુમલા દરમિયાન પોતાની સુરક્ષાને લઇને માર્ગદર્શન અને પ્રશિક્ષણ આપવા પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.આ ડ્રિલ દરમિયાન એક મહત્વપૂર્ણ બિંદુ બ્લેક આઉટ પણ હશે જેને અંધારપટ કહેવામાં આવે છે. કોઇ પણ હુમલા સમયે વીજળી અને અન્ય સંચાર વ્યવસ્થા બંધ કરવામાં આવશે. 

આ ઉપરાંત મહત્વપૂર્ણ સંયંત્રો અને સ્થાપનાઓને હુમલા દરમિયાન છુપાવવા માટેના ઉપાયોનો પણ અભ્યાસ કરવામાં આવશે. મોકડ્રિલ દરમિયાન લોકોને સુરક્ષિત સ્થળોએ બહાર કાઢવાની યોજના પણ બનાવવાનો અભ્યાસ કરવામાં આવશે. જેથી કરીને કોઇ પણ પ્રકારની ઇમરજન્સીની સ્થિતિને પ્રભાવી રીતે લાગુ પાડી શકાશે. મોકડ્રિલનો ઉદ્દેશ નાગરિક કોઇ પણ પ્રકારની ઇમરજન્સીની સ્થિતિ માટે તૈયાર રહે તેવો છે.