India

સગી દીકરી પર 20થી વધુ વખત દુષ્કર્મ કરનારા પિતાની ફાંસીની સજામાં ફેરફાર, હવે ન ભૂલાય તેવી કરી સજા

By GS TEAM
24 Apr 20264 mins read
TukuTouch Logo
મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે એક ઐતિહાસિક અને દાર્શનિક ચુકાદો આપતા પોતાની જ સગીર દીકરી પર વારંવાર દુષ્કર્મ ગુજારનારા પિતાની ફાંસીની સજાને આજીવન કારાવાસમાં ફેરવી દીધી છે. જસ્ટિસ એન. આનંદ વેંકટેશ અને જસ્ટિસ કે.કે. રામકૃષ્ણનની ખંડપીઠે આ કેસની સુનાવણી દરમિયાન નોંધ્યું કે મૃત્યુદંડની સરખામણીએ દોષિતને તેના અપરાધના પસ્તાવા સાથે જીવતો રાખવો અને તેને પળેપળ મરવા દેવો એ વધુ પ્રભાવી સજા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સગી દીકરી પર 20થી વધુ વખત દુષ્કર્મ કરનારા પિતાની ફાંસીની સજામાં ફેરફાર, હવે ન ભૂલાય તેવી કરી સજા

Madras High Court: મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે એક ઐતિહાસિક અને દાર્શનિક ચુકાદો આપતા પોતાની જ સગીર દીકરી પર વારંવાર દુષ્કર્મ ગુજારનારા પિતાની ફાંસીની સજાને આજીવન કારાવાસમાં ફેરવી દીધી છે. જસ્ટિસ એન. આનંદ વેંકટેશ અને જસ્ટિસ કે.કે. રામકૃષ્ણનની ખંડપીઠે આ કેસની સુનાવણી દરમિયાન નોંધ્યું કે મૃત્યુદંડની સરખામણીએ દોષિતને તેના અપરાધના પસ્તાવા સાથે જીવતો રાખવો અને તેને પળેપળ મરવા દેવો એ વધુ પ્રભાવી સજા છે. મૃત્યુદંડ દ્વારા ગુનેગારની પીડાનો અંત ઝડપથી આવી જાય છે, પરંતુ આજીવન કારાવાસમાં તેણે કરેલા જઘન્ય અપરાધનો પસ્તાવો તેને આજીવન કોરી ખાશે, જે સજા મૃત્યુ કરતા પણ વધુ કઠોર સાબિત થશે.

કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી

એક અહેવાલ પ્રમાણે હાઈકોર્ટે મૃત્યુદંડની સજા પર વિગતવાર દાર્શનિક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે, 'ફાંસીની સજા એ અંતિમ, તાત્કાલિક અને અપરિવર્તનીય છે. તે માત્ર જીવનનો અંત જ નથી લાવતી, પરંતુ તેની સાથે ગુનેગારમાં પશ્ચાતાપ કે નૈતિક સુધારાની તમામ શક્યતાઓને પણ ખતમ કરી દે છે.'

અદાલતે સ્વીકાર્યું કે, 'દોષિતને જીવતો રાખીને તેને તેની અંતરાત્મા સાથે આજીવન સંવાદ કરવા માટે છોડી દેવો એ ન્યાયના ઉદ્દેશ્યોને વધુ સારી રીતે પૂર્ણ કરે છે. કોર્ટે કહ્યું કે, જ્યાં મૃત્યુદંડ જીવનના પુસ્તકને કાયમ માટે બંધ કરી દે છે, ત્યાં આજીવન કારાવાસ અપરાધીને પોતાના પ્રાકૃતિક જીવનના અંત સુધી દરેક પાનાને વારંવાર વાંચવા માટે મજબૂર કરે છે.'

કોર્ટે એ પણ નોટ કર્યું કે, મુર્ગન નામનો આ દોષિત પહેલાથી પરિવાર અને સમાજ દ્વારા સંપૂર્ણપણે ત્યાગી દેવામાં આવ્યો છે. પીઠના મતે, તે અત્યારે 'જીવિત દેશનિકાલ' (living exile) જેવી કઠોર પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે, જે પોતાનામાં જ એક અત્યંત ગંભીર સજા છે.

સજાની સખત શરતો

કોર્ટે એ સ્પષ્ટ કર્યું છે કે, મુર્ગનને આપવામાં આવેલી આજીવન કારાવાસની સજા તેના પ્રાકૃતિક જીવનના અંત સુધી એટલે કે જીવિત રહેશે ત્યાં સુધી લાગુ રહેશે. તેને સમય પહેલા મુક્તિ મેળવવાનો કોઈ અધિકાર રહેશે નહીં. તેને સજામાં કોઈ પણ પ્રકારની છૂટછાટ કે માફી નહીં મળશે. તેણે પોતાના અંતિમ શ્વાસ સુધી જેલના સળિયા પાછળ જ રહેવું પડશે.  

શું હતો સમગ્ર મામલો?

આ સમગ્ર ઘટના પર નજર કરીએ તો મુર્ગને પોતાની પત્નીની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને પોતાની જ 14 વર્ષની સગી દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ અદાલત સમક્ષ નિવેદન આપ્યું હતું કે મારી સાથે 20થી વધુ વખત દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું.

 કાળજુ કંપાવનારી આ ઘટના 5 ફેબ્રુઆરી, 2025ના રોજ ત્યારે સામે આવી જ્યારે પીડિતાની માતાએ દીકરીના શરીરમાં અમુક શારીરિક ફેરફારો જોયા અને તેને ડોક્ટર પાસે લઈ ગઈ હતી, જ્યાં આ સમગ્ર કુકર્મનો ભાંડો ફૂટ્યો હતો.

મેડિકલ તપાસમાં પુષ્ટિ થઈ કે, સગીર બાળકી અંદાજે પાંચ મહિનાની ગર્ભવતી હતી. જરૂરી કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ તેનું સુરક્ષિત ગર્ભપાત કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ કરવામાં આવેલી ડીએનએ (DNA) તપાસમાં એ વાતની અકાટ્ય પુષ્ટિ થઈ કે, ભ્રૂણનો જૈવિક પિતા અન્ય કોઈ નહીં પણ મુર્ગન પોતે જ હતો.  

પોક્સો કોર્ટનો નિર્ણય

5 જાન્યુઆરી 2026ના રોજ POCSO અધિનિયમ હેઠળ રચાયેલી એક ખાસ અદાલતે મુર્ગનને કલમ 6 હેઠળ "ગંભીર પ્રવેશન જાતીય હુમલો" માટે દોષિત ઠેરવ્યો અને તેને મૃત્યુદંડની સજા ફટકારી હતી. નીચલી અદાલતના જજે તેને પિતા દ્વારા "ભયંકર વિશ્વાસઘાત" ગણાવ્યો અને કહ્યું કે આવા ગુનેગાર સમાજ માટે ખતરો છે. ગુનાની ચરમ પ્રકૃતિ અને બાળકીને પહોંચેલા શારીરિક અને માનસિક આઘાતને ધ્યાનમાં રાખીને જજે કહ્યું કે મૃત્યુદંડ કરતાં ઓછી કોઈ પણ સજા ન્યાય માટે અપર્યાપ્ત હશે. 

હાઈકોર્ટે ફાંસીની સજામાં કેમ કર્યો ફેરફાર

હાઈકોર્ટે નીચલી અદાલતનો ચુકાદો પલટાવ્યો અને તેના મુખ્ય કારણો જણાવ્યા.

'રેયરેસ્ટ ઓફ રેર' શ્રેણીમાં નહીં

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે ફાંસીની સજા માત્ર 'દુર્લભથી અતિ દુર્લભ' કિસ્સામાં જ આપી શકાય છે. હાઈકોર્ટે કહ્યું કે આ અપરાધ નિઃશંકપણે ઘૃણાસ્પદ છે, પરંતુ જાતીય હુમલા સિવાય પીડિતા સાથે અલગથી કોઈ શારીરિક ક્રૂરતા (જેમ કે મારપીટ કે અમાનુષી અત્યાચાર) કરવામાં આવી હોય તેવા પુરાવા નથી મળ્યા, તેથી આ કેસ આ શ્રેણીમાં નથી આવતો.

આ પણ વાંચો: યુદ્ધ વચ્ચે ચાબહાર પોર્ટ અંગે ભારત સરકાર લેશે મોટો નિર્ણય, 12 કરોડ ડૉલર લાગેલા છે દાવ પર

રાજ્ય સરકાર એ સાબિત કરવામાં નિષ્ફળ રહી છે કે દોષિતમાં સુધારાની કોઈ શક્યતા નથી રહી જે મૃત્યુદંડ આપવા માટે એક અનિવાર્ય શરત છે.

ભાવનાઓથી પ્રભાવિત ચુકાદો 

હાઈકોર્ટે નીચલી અદાલતની ટ્રાયલમાં ક્ષતિઓ શોધી અને કહ્યું કે ટ્રાયલ જજ કદાચ અપરાધની ભયાનકતા અને સંવેદનાઓથી પ્રભાવિત થઈને ફાંસીની સજા સંભળાવી બેઠા હતા.

હાઈકોર્ટે મુર્ગનનો ગુનો અને તેની સજા તો યથાવત રાખી છે, પરંતુ તેની ફાંસીની સજા ઘટાડીને બાકીના જીવન માટે કઠોર આજીવન કેદમાં ફેરવી દીધી છે.