Image: Facebook
Manipur Violence: મણિપુરના જિરીબામ જિલ્લાથી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર 7 નવેમ્બર ગુરુવારની રાત્રે એક 31 વર્ષીય આદિવાસી મહિલાની સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને જીવતી ફૂંકી મરાઈ. આ દરમિયાન હથિયારબંધ હુમલાખોરોએ ગામમાં તાબડતોડ ફાયરિંગની સાથે લૂંટ અને આગ લગાડી. હુમલાખોરોએ 17 ઘરોને સળગાવીને રાખ કરી દીધા. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં પીડિતાની સાથે સામૂહિક દુષ્કર્મ અને હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.
પોલીસે એફઆઈઆરમાં 'વંશીય અને સમુદાયના આધારે દુષ્કર્મ અને હત્યા' નો ઉલ્લેખ કર્યો છે. પીડિતાના પતિએ પોલીસને ફરિયાદ કરી અને જણાવ્યું કે આ કૃત્ય ગેરકાયદેસર ઘૂસણખોરો તરફથી કરવામાં આવ્યુ હતુ પરંતુ હુમલાખોરોની ઓળખ અત્યાર સુધી થઈ શકી નથી. પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર શંકા છે કે હુમલાખોર મણિપુરના સ્થાનિક વિસ્તારોથી હોઈ શકે છે.
ગામમાં હુમલાખોરોનો આતંક
ઈન્ડિજિનસ ટ્રાઈબલ એડવોકેસી કમિટી (ITAC) એ નિવેદન જારી કરી કહ્યું કે હુમલાખોરોએ ગામમાં ઘૂસતાં જ ઘરોમાં આગ લગાડી દીધી અને ફાયરિંગ કર્યું. આ દરમિયાન ગામના લોકો જીવ બચાવવા માટે જંગલ તરફ ભાગવા લાગ્યા પરંતુ એક મહિલા ફસાઈ ગઈ અને તેની બર્બરતાથી હત્યા કરી દેવાઈ. આ ઘટના મણિપુરમાં જારી જાતિગત સંઘર્ષની વધુ એક ભયાવહ ઘટના બની ગઈ છે.
આ પણ વાંચો: 'અયોધ્યાથી બાબરને હટાવ્યો એ રીતે ઝારખંડથી...', ભાજપના દિગ્ગજ મુખ્યમંત્રી આ શું બોલી ગયા
મણિપુરમાં જાતિગત સંઘર્ષે સ્થિતિને કરી વધુ ગંભીર
મણિપુરમાં ચાલી રહેલો જાતિગત સંઘર્ષ રાજ્યમાં વિભાજનનું કારણ બની ચૂક્યો છે. મણિપુરમાં બહુસંખ્યક મૈતેઈ અને આદિવાસી કુકી સમુદાયોની વચ્ચે સતત સંઘર્ષ થઈ રહ્યો છે જેનાથી રાજ્યમાં હિંસાનો માહોલ છે. અત્યાર સુધી આ સંઘર્ષમાં 230 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 50,000 લોકો બેઘર થઈ ગયા છે. આ ઘટનાએ રાજ્યની સ્થિતિને વધુ ઉથલપાથલમાં મૂકી દીધી છે.
આદિવાસી સંગઠનોની કેન્દ્રથી હસ્તક્ષેપની માગ
આ ઘટના બાદ આદિવાસી સંગઠનોએ કેન્દ્ર સરકારથી મણિપુરમાં કુકી-જોમી-હમાર સમુદાયોની સુરક્ષા નક્કી કરવા માટે હસ્તક્ષેપની માગ કરી છે. ચુરાચાંદપુરના આદિવાસી સંગઠન ઈન્ડિજિનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમે પણ આ જઘન્ય અપરાધના જવાબદાર લોકોની તાત્કાલિક ધરપકડની માગ કરી છે. આ પહેલા મણિપુરમાં થયેલી હિંસાને લઈને ગૃહ મંત્રાલયે સંવાદની શરૂઆત કરી હતી પરંતુ સ્થિતિ સતત બગડતી જઈ રહી છે.


