India

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રીનો દીકરો 23 વર્ષે હત્યાના કેસમાં દોષિત, હવે સરેન્ડર કરવા આદેશ

By GS TEAM
3 Apr 20262 mins read
TukuTouch Logo
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીના દીકરા અમિત જોગીને હાઈકોર્ટે 23 વર્ષ જૂના હત્યાના કેસમાં દોષિત ઠેરવ્યો છે. અમિતને દોષિત ઠેરવતા હાઈકોર્ટે તેને સરેન્ડર કરવા માટે 3 અઠવાડિયાનો સમય આપ્યો છે. અમિત જોગી પર 2003માં રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના નેતા રામ અવતાર જગ્ગીની હત્યા કરવાનો આરોપ લાગ્યો હતો. અમિત જોગીએ આ ચુકાદા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે મારી સાથે અન્યાય થયો છે અને હું હવે સુપ્રીમ કોર્ટમાં જઈશ.

Summarized by AI; it may make mistakes. Check important info

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રીનો દીકરો 23 વર્ષે હત્યાના કેસમાં દોષિત, હવે સરેન્ડર કરવા આદેશ

Image Source: Twitter

Chhattisgarh HC Convicts Amit Jogi in 2003 Murder Case: છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીના દીકરા અમિત જોગીને હાઈકોર્ટે 23 વર્ષ જૂના હત્યાના કેસમાં દોષિત ઠેરવ્યો છે. અમિતને દોષિત ઠેરવતા હાઈકોર્ટે તેને સરેન્ડર કરવા માટે 3 અઠવાડિયાનો સમય આપ્યો છે. અમિત જોગી પર 2003માં રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના નેતા રામ અવતાર જગ્ગીની હત્યા કરવાનો આરોપ લાગ્યો હતો. અમિત જોગીએ આ ચુકાદા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે મારી સાથે અન્યાય થયો છે અને હું હવે સુપ્રીમ કોર્ટમાં જઈશ. 

ટ્રાયલ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો

આ મામલે છત્તીસગઢની એક ટ્રાયલ કોર્ટે અમિત જોગીને નિર્દોષ જાહેર કર્યો હતો. હાઈકોર્ટે CBIની અપીલ પર સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ 2003ના હત્યા કેસમાં કાર્યવાહી ફરીથી શરૂ કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે CBIએ ઘણા વિલંબ પછી આ અરજી દાખલ કરી છે, પરંતુ એ પણ સત્ય છે કે પ્રતિવાદી અમિત જોગી સામેના આરોપો ખૂબ ગંભીર છે. તેમના પર એક વિરોધી પાર્ટીના સભ્યની હત્યાનો આરોપ છે. ત્યારબાદ હાઈકોર્ટમાં ચાલેલી કાર્યવાહીમાં અમિત જોગીને દોષિત ઠેરવવામાં આવ્યો છે. 


ગુરુવારે છત્તીસગઢ હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટિસ રમેશ સિન્હા અને જસ્ટિસ અરવિંદ કુમાર વર્માની બેન્ચે અમિત જોગીના નિર્દોષ છૂટવાના નિર્ણયને રદ કરતા દોષિત ઠેરવતા ત્રણ અઠવાડિયામાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે.

શું બોલ્યો અમિત જોગી

છત્તીસગઢ હાઈકોર્ટના આદેશ પર પ્રતિક્રિયા આપતા અમિત જોગીએ કહ્યું કે, મારી સાથે અન્યાય થયો છે. પહેલા મને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો અને હવે મારો પક્ષ સાંભળ્યા વિના જ મને દોષિત જાહેર કરી દેવામાં આવ્યો છે. સત્યની જીત થશે અને હવે હું આ મામલે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવીશ. 

આ પણ વાંચો: કોટામાં એક જ પરિવારના 12 સભ્યોને જન્મટીપની સજા, બકરાના વિવાદમાં યુવકની કરી હતી હત્યા

અમિત જોગીની સોશિયલ મીડિયા પોસ્ટ

અમિત જોગીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, 'આજે, માનનીય હાઈકોર્ટે મારી વિરુદ્ધ CBIની અપીલને માત્ર 40 મિનિટમાં સ્વીકારી લીધી, સુનાવણી તક આપ્યા વિના. મને દુઃખ છે કે કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયેલ વ્યક્તિને સુનાવણીની એક પણ તક આપ્યા વિના દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ અણધાર્યું છે. કોર્ટે મને સરેન્ડર કરવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે. મને લાગે છે કે મારી સાથે ગંભીર અન્યાય થયો છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મને સુપ્રીમ કોર્ટ તરફથી ચોક્કસ ન્યાય મળશે. મને ન્યાયિક પ્રણાલીમાં સંપૂર્ણ વિશ્વાસ છે. હું સંપૂર્ણ શાંતિ, વિશ્વાસ અને ધીરજ સાથે આગળ વધી રહ્યો છું.'